WFTW Body: 

પ્રેરિત પાઉલે એક વાર કહ્યું હતું કે, "નિયમના ન્યાયીપણા પ્રમાણે, હું નિર્દોષ ઠર્યો." જ્યારે તેણે પ્રેરિતોનાં કૃત્યો 23:1 માં પ્રમુખ યાજક સમક્ષ સાક્ષી આપી, "હું આજ દિન સુધી ઈશ્વરની સમક્ષ શુદ્ધ અંત:કરણથી વર્ત્યો છું." ત્યારે તેનો અર્થ શું હતો? તેનો અર્થ એ હતો કે તે બધી આજ્ઞાઓનું પાલન કરી રહ્યો હતો. તે કઈ આજ્ઞાઓનું પાલન કરી રહ્યો હતો? ફક્ત પ્રથમ નવ, કારણ કે તે રોમનોને પત્ર 7:7-8 માં કહેવા માટે પૂરતો પ્રામાણિક છે કે જ્યારે તે દસમી આજ્ઞા પર આવ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, "તું લોભ ન કર, તું લાલસા ન રાખ," ત્યારે તેણે "દરેક પ્રકારની લાલસા શોધી કાઢી." તેણે પોતાની અંદર રહેલી દરેક પ્રકારની લાલસા શોધી કાઢી - પૈસાની લાલસા, બીજા લોકોની પત્નીઓ અને પુત્રીઓ માટેની વાસના, સન્માનની લાલસા અને દરેક પ્રકારની વાસના અને તેને સમજાયું કે તે આ આજ્ઞાનું પાલન કરી શકતો નથી.

જ્યારે પ્રેરિત પાઉલનું હૃદય પવિત્ર આત્માનું ભરપુરીપણું પામ્યું (જેમ કે પચાસમાના દિવસે પવિત્ર આત્માએ આવીને લોકોને ભરપૂર કર્યા હતા), ત્યારે તે રોમનોને પત્ર 8:2 માં કહે છે કે, "પવિત્ર આત્માનો નિયમ - જે દસ આજ્ઞાઓ નથી પણ - 'કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. 'અને તે કલમ 4 માં આગળ કહે છે, "નિયમની ન્યાયી જરૂરિયાત - જે "તમે વાસના ન કરો" - હવે આપણી અંદર પૂર્ણ થઈ છે કારણ કે આપણે દેહ પ્રમાણે ચાલતા નથી, પરંતુ પવિત્ર આત્માના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ છીએ." જૂના કરાર હેઠળ આ અશક્ય હતું.

જ્યારે ઈસુએ માથ્થી 5 માં આ પાપો પર કાબુ મેળવવા વિશે વાત કરી, ત્યારે તે એવી બાબત વિશે વાત કરી રહ્યા હતા જે પવિત્ર આત્માના સામર્થ્ય વિના માણસ માટે અશક્ય છે. જો તમે માથ્થી 5,6 અને 7 વાંચો છો, તો તમને મળશે કે, તે ત્રણ અધ્યાયોને અંતે, સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો નથી. તે શું છે? "પ્રભુ, હું આ જીવન કેવી રીતે જીવી શકું?" માથ્થી 5, 6 અને 7 માં પણ એનો ઉલ્લેખ નથી! પહાડ પરનો ઉપદેશ આપણને ફક્ત એ જીવન ધોરણ બતાવે છે જે ઈશ્વર નવા કરારના ખ્રિસ્તી પાસેથી, એટલે કે નવો જન્મ પામેલા ખ્રિસ્તી પાસેથી અપેક્ષા રાખે છે, પરંતુ ત્યાં સુધી કેવી રીતે પહોંચવું તેનો આખા ઉપદેશમાં ઉલ્લેખ નથી.

તો પછી આપણે કેવી રીતે જાણીશું કે શું કરવું? મારું માનવું છે કે ખ્રિસ્તે પહાડ પરનો ઉપદેશ ફક્ત આપણા હૃદયમાં આ જીવન માટે ઈચ્છા પેદા કરવા માટે જ જાહેર કર્યો હતો, અને જો કોઈ વ્યક્તિને આ જીવન માટે ઝંખના હોય, તો તે ઈશ્વર પાસે જશે અને કહેશે, "પ્રભુ, ઉકેલ શું છે?" અને પ્રભુ કહેશે, "તમારે પવિત્ર આત્માથી ભરપૂર થવાની જરૂર છે. તમારે આંતરિક મનુષ્યત્વમાં મજબૂત થવાની જરૂર છે."

મહાન પ્રેરિત પાઉલ નિયમ અનુસાર ખૂબ જ પ્રામાણિક માણસ હતો, પરંતુ જ્યાં સુધી તે પવિત્ર આત્માથી ભરપૂર ન થયા ત્યાં સુધી તે પણ આ ઈચ્છાને દૂર કરી શક્યો નહીં, અને પછી ઈશ્વરના આત્માએ તેને મુક્ત કર્યો. આ ઈસુ દ્વારા આંધળા માણસની આંખો ખોલવા જેવું છે: આંધળો માણસ પોતે તેમને ખોલી શકતો નથી.

પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા જ આ શક્ય છે. હકીકતમાં, આપણે ઈસુએ પહાડ પરના ઉપદેશમાં જે કંઈ કહ્યું હતું તે બધું જ ત્યારે જ જીવી શકીએ છીએ જો આપણે પવિત્ર આત્માથી ભરપૂર થઈએ.

હું આજે "આત્માની પૂર્ણતા"ના નામે ચાલી રહેલી સસ્તી બનાવટ વિશે વાત નથી કરી રહ્યો. જો તમે જે આત્માની પૂર્ણતાનો અનુભવ કર્યો હોવાનો દાવો કરો છો તેનાથી તમે ધ્રુજો, જમીન પર પડી જાઓ, હસો અને અન્ય ભાષાઓમાં બોલો છો, પરંતુ જો તમે ક્રોધ અને જાતીય વાસના જેવા પાપો પર વિજય મેળવ્યો નથી, તમે તમારી પત્ની કે પતિ સામે ઊંચા અવાજે બોલો છો, તો તમે પવિત્ર આત્માથી ભરેલા નથી. કોઈને તમને છેતરવા ન દો. ઘણા લોકો છેતરાઈ રહ્યા છે. પવિત્ર આત્મા આપણને એક નવી જીભ આપે છે, ફક્ત અન્ય ભાષાઓમાં બોલવાની ક્ષમતા જ નહીં, પણ આપણી માતૃભાષાને નિયંત્રિત કરવાની પણ ક્ષમતા આપે છે. રવિવારે સવારે પ્રભુમંદિરમાં અન્ય ભાષાઓમાં બોલવાનો અને રવિવારે બપોરે તમારી પત્ની પર તમારી માતૃભાષામાં બૂમો પાડવાનો કોઈ અર્થ નથી. તે પવિત્ર આત્માની પૂર્ણતા નથી.

પવિત્ર આત્માની પૂર્ણતા આપણને આપણી જીભ પર નિયંત્રણ આપે છે. આત્માનું ફળ સંયમ છે, અને તે આપણને અઠવાડિયાના સાતેય દિવસ, દિવસના 24 કલાક આપણી જીભ પર નિયંત્રણ આપે છે. જો આવું ન હોય, તો તમારે ઈશ્વર પાસે પવિત્ર આત્માની ખરી પૂર્ણતા માંગવી જોઈએ. આત્માના કૃપાદાનો માટે ઈશ્વરનો આભાર માનો, પરંતુ ઈશ્વર પાસે આત્માની ખરી પૂર્ણતા માંગો, જે ફક્ત પવિત્ર આત્માના કૃપાદાનો મેળવવા કરતા વધારે છે. આ જ માર્ગ છે જેના પર કાબુ મેળવવાનો છે. બીજો કોઈ માર્ગ નથી.

યાકૂબ કહે છે કે દરેક પ્રાણીને માણસે કાબૂમાં રાખ્યું છે, પરંતુ કોઈ માણસ જીભને કાબૂમાં રાખી શકતો નથી (યાકૂબનો પત્ર 3:7-8). ફક્ત પવિત્ર આત્મા જ કરી શકે છે. જો તમે પવિત્ર આત્માથી ભરપૂર છો, તો તે તમને તમારી જીભ અને તમારી આંખો પર નિયંત્રણ આપશે. માનવ શરીરના આ બે ભાગો છે જેના વિશે ઈસુએ માથ્થી 5:21-32 માં પાપના સંબંધમાં વાત કરી હતી. જીભથી પાપ કરવું અને આંખોથી પાપ કરવું. બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જો પવિત્ર આત્માની પૂર્ણતા તમને તમારી જીભ પર અને તમારી આંખો પર નિયંત્રણ ન આપે તો એવી કોઈપણ સસ્તી બનાવટથી ક્યારેય સંતુષ્ટ ન થાઓ. ઈશ્વર સમક્ષ જાઓ અને કહો, "પ્રભુ, મારી પાસે એક સસ્તી નકલ છે. હું તમારી સાથે પ્રમાણિક બનવા માંગુ છું. હું ફક્ત લોકોને ખાતરી આપી રહ્યો છું કે હું પવિત્ર આત્માથી ભરેલો છું, અને તેનું કંઈ મહત્વ નથી. હું પવિત્ર આત્માની વાસ્તવિક પૂર્ણતાને ગુમાવવા માંગતો નથી."

જ્યારે હું એક યુવાન ખ્રિસ્તી હતો, ત્યારે હું આ બંને ક્ષેત્રોમાં હારી ગયો હતો. જયારે હું પવિત્ર આત્માની પૂર્ણતાની શોધ કરતો હતો, લોકોએ મને વિવિધ સંમેલનોમાં મોકલ્યો, પરંતુ મેં ત્યાં જે જોયું તેનાથી હું ખૂબ નિરાશ થયો. મેં ઘણો અવાજ સાંભળ્યો અને મેં કહ્યું, "પ્રભુ, આ તે નથી જે હું શોધી રહ્યો છું. હું પાપને દૂર કરવા માટે બળ શોધી રહ્યો છું. ભલે તેમાં દસ વર્ષ લાગે, પણ હું વાસ્તવિક વસ્તુ ઈચ્છું છું. હું પચાસમાના દિવસે પિતર, યાકૂબ અને યોહાનને જે મળ્યું તે ઈચ્છું છું, તે સસ્તી બનાવટ નહીં જે આજે દુનિયાભરમાં ચાલી રહી છે."

શેતાન ઈચ્છે છે કે લોકો કેટલીક બનાવટથી સંતુષ્ટ થાય. જો તમે સોનું, હીરા, અથવા તો ચલણી નોટો ખરીદવા જઈ રહ્યા હોવ, તો તમે નકલી નોટો ન મળે તેની ખાતરી કરવા માટે કેટલા સાવચેત રહેશો. જો તમને ખબર હોય કે ઘણી બધી બનાવટી નોટો ફરતી હોય છે, તો તમે જે પાંચસો રૂપિયાની નોટો ઉપાડો છો તે જોવાનું ધ્યાન રાખશો. આપણા સનાતન ભાવિને લગતી બાબત વિશે આપણે કેટલું વધુ સાવચેત રહેવાની જરૂર છે: પવિત્ર આત્માની ખરી પૂર્ણતા!

બનાવટથી સંતુષ્ટ ન થાઓ. જો તમે નકલી સોના, હીરા અને ચલણી નોટોથી સંતુષ્ટ ન હોવ, તો આત્માની પૂર્ણતાના ક્ષેત્રમાં બનાવટથી તમારે કેટલું વધુ સંતુષ્ટ ન થવું જોઈએ. આ કસોટી છે: શું ઈશ્વરના આત્માએ તમને પાપ અને મરણના નિયમથી મુક્ત કર્યા છે (રોમનોને પત્ર 8:2)? તે કસોટી છે.