WFTW Body: 

ગયા અઠવાડિયે, આપણે મહાન આદેશને સંપૂર્ણ રીતે પરિપૂર્ણ કરવાનો અર્થ શું છે તે વિશે વિચારવાનું શરૂ કર્યું: ફક્ત નહિ પહોંચાયેલા લોકો સુધી પહોંચવું એટલું જ નહિ, પરંતુ એવા શિષ્યો બનાવવા કે જેઓ ઈસુએ જે આદેશો આપ્યા છે તે બધું કરવાની કાળજી રાખે.

આપણે જોયું કે જ્યારે ઈસુએ ઘણા લોકોને તેમની સાથે આવતા જોયા, ત્યારે તે પાછા ફર્યા અને કેટલાક સખત શબ્દો બોલ્યા જે તેમણે ક્યારેય કોઈને કહ્યા નહોતા.

મોટાભાગના પ્રચારકો અને પાળકો, જો તેઓ જુએ કે એક મોટી ભીડ તેમને સાંભળવા આવી રહી છે, તો એવા શબ્દો બોલવાનું સ્વપ્નમાં પણ ક્યારેય નહિ વિચારે, અને આ આપણને બતાવે છે કે ઈસુ કેવી રીતે અલગ હતા. તેમને સંખ્યાઓમાં રસ નહોતો. આજે બહુ ઓછા ખ્રિસ્તી ઉપદેશકો છે જેમને સંખ્યામાં રસ નથી; પરંતુ લૂક 14 ના અંતમાં આપણે જે જોઈએ છીએ તે એ છે કે ઈસુ ગુણવત્તા પર ભાર મૂકે છે.

તેમને શિષ્યો જોઈતા હતા, અને તેથી તે ફરીને તેમને કહે છે, "જો કોઈ મારી પાસે આવે, અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાંનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્વેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી." એવું નથી કે તમે બીજા સ્તરના શિષ્ય બની શકો; તમે શિષ્ય બની જ ન શકો, અને તે બાબત નિશ્ચિત છે.

અહીં આપણે શિષ્યપણાની પ્રથમ શરત જોઈએ છીએ. બાઈબલ કહે છે કે આપણે આપણા પિતા અને માતાનું સન્માન કરવું જોઈએ. ત્યારે ઈસુના કહેવાનો અર્થ શું હતો જ્યારે તેમણે કહ્યું કે આપણે "દ્વેષ" કરવો જોઈએ? તે તુલનાત્મક નિવેદન છે.

ઈસુએ કેટલીકવાર કેટલીક કઠોર ભાષાનો ઉપયોગ કર્યો - ઉદાહરણ તરીકે: "જો તારી જમણી આંખ તમને ઠોકર ખવડાવે છે, તો તેને કાઢી નાખ." "જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે છે, તો તેને કાપી નાખ." "દ્રવ્યવાનને ઈશ્વરના રાજ્યમાં પેસવા કરતા ઊંટ માટે સોયના નાકમાં થઈને જવું સહેલું છે." "જો તમે મારું માંસ ન ખાઓ છો અને લોહી ન પીઓ, તો તમારી પાસે અનંતજીવન નથી." તે ઘણા સખત શબ્દો બોલ્યા છે. પરંતુ તે જે શબ્દો બોલ્યા તે આત્મા અને જીવન હતા. તેથી, તેનો અહીં ખરેખર અર્થ એ હતો કે, તેમના પ્રત્યેના આપણા પ્રેમની તુલનામાં, આપણા પૃથ્વી પરના સંબંધીઓ માટેનો આપણો પ્રેમ, પ્રકાશની તુલનામાં જેમ અંધકાર હોય તેવો હોવો જોઈએ.

ઉદાહરણ તરીકે, જો તમારા માતાપિતા, પત્ની, બાળકો, ભાઈઓ અને બહેનો માટેનો તમારો પ્રેમ તારાઓના પ્રકાશ જેવો છે, તો ખ્રિસ્ત માટેનો તમારો પ્રેમ સૂર્યના પ્રકાશ જેવો હોવો જોઈએ. જ્યારે સૂર્ય ઉપર આવે છે, ત્યારે તારાઓ અંધકારમય લાગે છે. તેઓ હજી પણ ત્યાં છે, પરંતુ તમે તેમને સૂર્યના પ્રકાશમાં જોઈ શકતા નથી. તેથી, અહીં "દ્વેષ" શબ્દનો અર્થ એ છે કે તમારા પિતા અને માતા માટેનો તમારો પ્રેમ લગભગ અદ્રશ્ય છે: તમે હજી પણ તેમને પ્રેમ કરો છો, પરંતુ ખ્રિસ્ત માટેના તમારા પ્રેમના પ્રકાશમાં, જે તેજસ્વી-ચમકતા સૂર્ય જેવો છે, એ પ્રેમ સરખામણીમાં અંધકાર જેવો છે.

ખ્રિસ્ત પ્રત્યેના આપણા પ્રેમની સરખામણીમાં આપણા કુટુંબના સભ્યો માટેનો પ્રેમ દ્વેષ જેવો છે. તેનો અર્થ એ પણ છે કે ઈશ્વર આપણને જે કંઈ કરવા માટે તેડે છે તેને અનુસરવાથી આપણા કુટુંબના કોઈપણ સભ્યને આપણને રોકવાની મંજૂરી આપી શકાય નહીં.

તેથી, શિષ્યપણાની પ્રથમ શરત એ ખ્રિસ્ત પ્રત્યેનો સર્વોચ્ચ પ્રેમ છે, જ્યાં આપણે ખ્રિસ્તને આપણા માતા-પિતા કરતાં, આપણી પત્નીઓ કરતાં, આપણાં બાળકો કરતાં વધુ, આપણા લોહીના સંબંધમાં હોય અથવા મંડળીના હોય એ દરેક ભાઈ અને બહેન કરતાં, અને આપણા પોતાના જીવ કરતાં વધુ અને વધુ પ્રેમ કરીએ છીએ. શું તમે કહી શકો કે મિશનરી કાર્ય અને સુવાર્તા પ્રચાર ખ્રિસ્તીઓને આ સ્થાન પર લાવ્યા છે?

શું દરેક વ્યક્તિ જે નવો જન્મ પામેલા ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે તે આ સ્થાને આવ્યો છે? શું તમે પોતે, જો તમે નવો જન્મ પામેલા ખ્રિસ્તી હોવાનો દાવો કરો છો, તો આ સ્થાન પર આવ્યા છો? શું તમે પ્રામાણિકપણે કહી શકો છો કે તમે આ પૃથ્વી પરના કોઈપણ કરતાં ખ્રિસ્તને સૌથી વધુ પ્રેમ કરો છો? છેલ્લી અડધી સદીમાં ઘણા દેશોમાં વિશ્વાસીઓના મારા અવલોકનમાં, મને તે ખરું લાગતું નથી. ઘણાએ ખ્રિસ્તને સ્વીકાર્યો છે અને ગાય છે કે, "મારા બધા પાપો માફ કરવામાં આવ્યા છે અને હું સ્વર્ગમાં જવાના માર્ગ પર છું," પરંતુ તેઓ શિષ્ય બન્યા નથી.

આવતા અઠવાડિયે, આપણે શિષ્યપણાની બીજી શરત પર વિચાર કરીશું.