written_by :   Zac Poonen categories :   The Church Disciples
WFTW Body: 

ખ્રિસ્તી ધર્મના પ્રથમ 300 વર્ષો સુધી, લગભગ તમામ ખ્રિસ્તીઓ ખ્રિસ્તી-વિરોધી શાસકો હેઠળ રહેતા હતા, જેમણે ઘણીવાર તેઓને સતાવ્યા હતા અને તેઓમાંથી ઘણાને મારી નાખ્યા હતા. ઈશ્વરે, તેમના મહાન જ્ઞાનમાં, પોતાના મહિમાને અર્થે, લોકોને પોતાના બાળકોની સતાવણી કરવાની મંજૂરી આપી હતી. આજે પણ, ઈશ્વરે તેમના કેટલાક ઉત્તમ બાળકોને સતાવણી કરતી સરકારો હેઠળ રહેવાની મંજૂરી આપી છે. સતાવણી હેઠળ મંડળી હંમેશા ઉત્તમ રીતે વિકાસ પામી છે. પરંતુ જ્યાં પણ મંડળીએ શાંતિ, આરામ અને ભૌતિક સમૃદ્ધિનો અનુભવ કર્યો છે, ત્યાં મોટા ભાગના કિસ્સાઓમાં મંડળી દુન્યવી બની જાય છે. જ્યાં સુધી આપણે જગતમાં છીએ ત્યાં સુધી આપણે વિપત્તિ, સતાવણી અને કસોટીઓનો સામનો કરીશું. તેથી, જેમ આપણે આ યુગના અંતની નજીક આવી રહ્યા છીએ, તેમ આપણે આપણા કાર્યસ્થળમાં અથવા આપણા અંગત જીવનમાં પણ શાંતિના સમયની અપેક્ષા રાખવાની જરૂર નથી.

નાણાકીય મુશ્કેલીઓના દિવસો આવશે. તેથી આપણે અત્યારથી જ સાદગીભર્યું જીવન જીવતા શીખવું જોઈએ. જે લોકો વૈભવમાં જીવે છે તેઓને આવનારા દિવસોમાં ઘણી મુશ્કેલી પડશે. આપણે ભવિષ્ય માટે પૈસા બચાવવામાં સમજદાર બનવું જોઈએ, જેથી આપણને બીજાઓ પર નિર્ભર ન રહેવું પડે. આપણો ભરોસો આપણી બચત પર ન હોવો જોઈએ, પરંતુ ફક્ત પ્રભુ પર હોવો જોઈએ. ઈશ્વર આસ્થાવાન ઈશ્વર છે અને તે આપણને ક્યારેય ઉત્પન્ન કરેલી કોઈપણ વસ્તુમાં વિશ્વાસ કરવા દેશે નહીં. ઈશ્વર જગતની નાણાકીય વ્યવસ્થાઓને હચમચાવી નાખશે, જેથી જેઓ ઉત્પન્ન કરેલી વસ્તુઓમાં વિશ્વાસ રાખે છે તેઓ હચમચી જશે. ઈસુએ કહ્યું તેમ,આપણે ભાઈઓને દગો આપતા ભાઈઓ અને આપણા કુટુંબના સભ્યોને આપણા શત્રુ બનતા જોઈશું (માથ્થી 10:21).

કાર્યસ્થળો અને ફેક્ટરીઓમાં વિશ્વાસીઓની સક્રિય સતાવણી થશે. આ બધું આપણને શુદ્ધ કરશે અને આપણને વધુ સારા ખ્રિસ્તીઓ બનાવશે. પિતરનો પહેલો પત્ર 3:13 કહે છે કે જે ભલું છે તેને જો તમે અનુસરનારા થયા, તો તમારું ભૂંડું કરનાર કોણ છે? તેથી આપણે ઈશ્વરની કૃપાથી, દરેકનું ભલું કરવાનું નક્કી કરવું જોઈએ. જેઓ આપણને ધિક્કારે છે તેઓને આપણે પ્રેમ કરવો જોઈએ, આપણને શાપ આપનારાઓને આશીર્વાદ આપવો જોઈએ અને જેઓ આપણને સતાવે છે તેમને માફી મળે માટે પ્રાર્થના કરવી જોઈએ. પછી કોઈ આપણને નુકસાન પહોંચાડી શકશે નહીં. શેતાન અને તેના દલાલો આપણને છેતરી શકે છે, આપણને પરેશાન કરી શકે છે, આપણને લૂંટી શકે છે, આપણને ઇજા પહોંચાડી શકે છે, આપણને કેદ કરી શકે છે અને આપણા શરીરને મારી નાંખી પણ શકે છે. પરંતુ તેઓ આપણને આત્મિક રીતે ક્યારેય નુકસાન પહોંચાડી શકશે નહિ. આપણે વિશ્વભરના ખ્રિસ્તીઓને આગામી દિવસોમાં તેમના વિશ્વાસને લીધે સતાવણીનો સામનો કરવા માટે તૈયાર કરવા જોઈએ. આપણા પ્રભુએ આપણને આવા દિવસો માટે ચાર આદેશો આપ્યા છે:

1. "તમે સાપના જેવા હોંશિયાર, તથા કબૂતરના જેવા સાલસ થાઓ" (માથ્થી 10:16).
આપણે આપણી સાક્ષીમાં મૂર્ખ નહિ, પણ જ્ઞાની બનવું જોઈએ. જ્યાં આપણે રહીએ છીએ અને જ્યાં કામ કરીએ છીએ ત્યાં આપણું જીવન ખ્રિસ્ત માટે બોલતું હોવું જોઈએ. ઈશ્વર વિશેની આપણી સાક્ષીમાં, આપણે સ્પષ્ટ કરવું જોઈએ કે આપણે એક વ્યક્તિ - ઈસુ ખ્રિસ્ત - વિશે વાત કરી રહ્યા છીએ અને ખ્રિસ્તી ધર્મ અન્ય ધર્મો કરતાં ઉત્તમ છે તે વિશે વાત નથી કરી રહ્યા. જયારે ઇસુને પૃથ્વી પરથી ઊંચા કરવામાં આવશે ત્યારે તેઓ સર્વને પોતાની તરફ ખેંચશે (યોહાન 12:32). આપણે બિન-ખ્રિસ્તી જાસૂસોને પારખવા માટે પણ સતર્ક રહેવું જોઈએ કે જેઓ ખ્રિસ્તી ધર્મમાં રસ હોવાનો ઢોંગ કરશે, જ્યારે તેમનો વાસ્તવિક ઉદ્દેશ્ય, આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ તેના પર આરોપ લગાવીને “બળજબરીથી ધર્માંતરણ કરવાનો પ્રયાસ" કરવા બદલ કોર્ટમાં લઈ જવાનો હોઈ શકે છે. તેથી જેવા ઈસુ હતા તેવા આપણે સમજદાર અને પ્રેમાળ બનવું જોઈએ - :

(a) "ઈસુએ તેમના પર વિશ્વાસ ન કર્યો, કેમ કે તેઓ સર્વને જાણતા હતા" (યોહાન 2:23-25). આપણે દરેકને પારખવા જોઈએ.
(b) "કેમ કે યહૂદીઓ ઈસુને મારી નાખવા શોધતા હતા, માટે યહૂદિયામાં ફરવાને તેઓ ચાહતા નહોતા" (યોહાન 7:1). આપણે બિનજરૂરી જોખમથી બચવું જોઈએ.
(c) "જેઓ તમારી પૂઠે લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો" (માથ્થી 5:44). લોકો સાથે સારા બનો. કારણકે અન્ય લોકો ભૂંડા છે, માટે તમે ભૂંડા ન બનો.

2. "હરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવો" (માથ્થી 4:4). સતાવણીના સમયમાં, સૌથી મહત્ત્વની જરૂરિયાત એ છે કે ઈશ્વર આપણા હૃદય સાથે જે વાત કરી રહ્યા છે તેના પ્રત્યે સંવેદનશીલ રહેવું. આપણે દિવસભર ઈશ્વરને સાંભળવાની ટેવ કેળવવી જોઈએ. આપણે જે વચન ઈશ્વર પાસેથી સાંભળીએ છીએ તેના પર વિશ્વાસ કરવો જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. અન્યથા તેનું કોઈ મૂલ્ય નથી. તેથી આપણે ઈશ્વરના વચનો (ખાસ કરીને નવો કરાર) પર વધુ ધ્યાન આપવું જોઈએ - કારણ કે ફક્ત આ જ રીતે આપણે ઈશ્વરના અવાજને પારખી શકીશું. અને ત્યાર પછી આપણે "વિશ્વાસ કરવો જોઈએ અને પાલન કરવું જોઈએ.”

3. "જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો" (યોહાન 13:34,35).
આપણા ઘરમાં અને મંડળીમાં, આપણે એકબીજાનો ન્યાય કરવાનો, એકબીજાની નિંદા કરવાનું, એકબીજા સાથે તકરાર કરવાની, અને એકબીજા પર શંકા કરવાનું બંધ કરવું જોઈએ. સમજદારી એક દૈવી ગુણ છે, પરંતુ શંકા એક શેતાની ગુણ છે. હવે આપણા જીવનમાં પાપ અને શેતાન સામે લડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ સમય છે. હવે આપણે સક્રિય રીતે આપણા જીવનસાથીઓને પ્રેમ કરવાનો અને આપણા સાથી-વિશ્વાસીઓ પર પ્રેમ રાખવામાં આગળ વધવાનો આ સમય છે.

4. "જગતમાં તમને સંકટ છે; પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે" (યોહાન 16:33).
ઈશ્વર રાજ્યાસન પર છે અને તેઓ ક્યારેય પોતાના લોકોને તજી દેશે નહીં. 2000 વર્ષ પહેલાં શેતાનનો પરાજય થયો હતો. આપણે ઈશ્વરની આંખની કીકી છીએ, અને તેથી તેઓ આપણી આસપાસ અગ્નિના કોટરૂપ થશે (ઝખાર્યા 2:5,8). આપણી વિરુદ્વ વાપરવા સારુ ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહીં (યશાયા 54:17). તો ચાલો આપણે "આપણી પાસે જે છે તેથી સંતોષી રહીએ, કેમ કે ઈશ્વરે પોતે કહ્યું છે કે, 'હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ'. તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે, 'પ્રભુ મને સહાય કરનાર છે; હું બીહીશ નહિ : માણસ મને શું કરનાર છે?’ (હિબ્રૂઓનો પત્ર 13: 5,6)

ચાલો આપણે પણ પ્રાર્થના કરીએ, "પ્રભુ ઈસુ, જલ્દી આવો" (પ્રકટીકરણ 22:20).