માથ્થી 7:6 ની શરૂઆતથી પહાડ પરના ઉપદેશના અંતિમ ફકરા ચાલુ થાય છે. “જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, ને તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો; રખેને તેઓ તે પોતાના પગ નીચે છૂંદે, ને તમને ફાડી નાખે” (માથ્થી 7:6). ઈસુ આપણને શીખવી રહ્યા છે કે આપણે કોની સાથે શું બોલીએ છીએ તે અંગે આપણે સમજદાર બનવું જોઈએ. નીતિવચનો 26:4 માં, આપણને કહેવામાં આવ્યું છે કે આપણે મૂર્ખને તેની મૂર્ખાઈ મુજબ જવાબ ન આપવો જોઈએ. આપણે એવા લોકોને સત્ય ન આપવું જોઈએ જેઓ તેની કદર નથી કરતા. તેથી જ જ્યારે પણ આપણે લોકો સાથે વાત કરીએ ત્યારે આપણી પાસે ડહાપણ હોવું જોઈએ. આપણી પાસે દરેક માટે એક જ પ્રમાણભૂત સંદેશ ના હોવો જોઈએ. આપણે દરેક વ્યક્તિને ઈશ્વર શું કહેવા માંગે છે તે સાંભળવા માટે ઈશ્વરને શોધવાની જરૂર છે. ઈસુ આ રીતે જીવ્યા, અને જ્યારે આપણે શાસ્ત્રની કોઈપણ કલમને સમજવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણે ઈસુના ઉદાહરણ તરફ ધ્યાન આપવું જોઈએ.
યશાયા 50:4 માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે એક પ્રબોધવાણી છે જે એવા લોકો માટે ખૂબ જ યોગ્ય છે જેઓ વચનનો ઉપદેશ આપે છે, અને વિચારે છે કે, "મારે કોઈ વ્યક્તિને ઈશ્વરના સંદેશ તરીકે કયો સંદેશ આપવો જોઈએ?" મારે પહેલા તેની આત્મિક સ્થિતિ શું છે તે સમજવાની જરૂર છે. આ જ કારણ છે કે જ્યારે હું કોઈને ઈશ્વરનું વચન કહું છું ત્યારે મને ઈશ્વર તરફથી પ્રબોધકીય સમજની જરૂર છે. ઈશ્વરનું વચન આપવું એ અલૌકિક બાબત છે. જો તમે તેને ફક્ત વ્યાખ્યાન આપવા જેવું સમજો છો, જેમ કે રસાયણશાસ્ત્ર શીખવવું, તો તમે કોઈપણ સમયે કોઈને પણ બાઇબલ શીખવી શકો છો. પરંતુ જો તમે વ્યક્તિના આત્મિક સ્તર અનુસાર ઈશ્વરના વચનની સેવા કરવા માંગતા હો, તો તમારી પાસે અલૌકિક સમજ હોવી જોઈએ જે ફક્ત ઈશ્વર જ આપી શકે છે. યશાયા 50:4 કહે છે (આ ખ્રિસ્તનો ઉલ્લેખ કરી રહ્યું છે), "હું થાકેલાઓને શબ્દથી આશ્વાસન આપતાં જાણું, માટે પ્રભુ યહોવાએ મને ભણેલાની જીભ આપી છે." બીજા શબ્દોમાં કહીએ તો, "મારા માર્ગમાં આવતા થાકેલાઓને માટે યોગ્ય શબ્દ મેળવવા માટે, ઈશ્વર મારા પિતા મને દરરોજ સવારે જગાડે છે, અને તે સવારે મારા કાનને ભણેલાની જેમ સાંભળવા માટે જાગૃત કરે છે." ઈસુ અહીં કહી રહ્યા છે કે તે દરરોજ સાંભળશે, અને તે સતત સાંભળશે જેથી તે તેમની પાસે આવતા લોકોને યોગ્ય વચન આપી શકે.
આનું એક ઉદાહરણ યોહાન 8 માં છે. આપણે વાંચીએ છીએ કે ફરોશીઓ એક સ્ત્રીને ઈસુ પાસે લાવ્યા હતા જે વ્યભિચારમાં પકડાઈ હતી અને તેઓએ જૂના કરારના શાસ્ત્રોનો ઉલ્લેખ કર્યો, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તેને પથ્થર મારીને મારી નાખવામાં આવે. ઈસુ આ સાથે અસંમત નથી થતા કારણ કે તે જૂના કરારના શાસ્ત્રોને જાણતા હતા. તેમણે સેંકડો વર્ષો પહેલા આ શાસ્ત્રો મૂસાને આપ્યા હતા! તો હવે ઈસુ શું કરે છે? ઈસુએ કોઈ જવાબ આપ્યો નહિ. લોકો આ સ્ત્રી પર આરોપ લગાવતા રહ્યા, અને ઈસુએ ફક્ત નીચા વળીને પોતાની આંગળી વડે જમીન પર લખવાનું શરૂ કર્યું (યોહાન 8:6). તે પિતા તરફથી સ્પષ્ટ વચનની રાહ જોઈ રહ્યા હતા. "હું આ લોકોને શું આપીશ? આ લાચાર સ્ત્રીને પથ્થર મારીને મારી નાખવા માંગતા આ લોકોને કયું યોગ્ય વચન આપવાનું છે?" તે શાસ્ત્રનો વિરોધાભાસ કરી રહ્યા ન હતા, કારણ કે તેમણે પોતે મૂસાને આપેલા શાસ્ત્રમાં તેને પથ્થર મારવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે તેમને તેમના પિતા તરફથી કોઈ વચન મળ્યું, ત્યારે તેમણે ઊભા થઈને તેમને કહ્યું (યોહાન 8:7) "તમારામાંથી જે કોઈ પાપ વગરનો હોય, તે પહેલો પથ્થર મારે. આગળ વધો - નિયમ પ્રમાણે તમે આ સ્ત્રીને પથ્થર મારી શકો છો, પરંતુ જે કોઈ પાપ વગરનો છે તે જ પહેલો પથ્થર મારી શકે છે." અને તેઓ બધા, ઘરડાંથી માંડીને બધા ચાલ્યા ગયા, કારણ કે સૌથી ઘરડાંએ સૌથી વધુ પાપ કર્યું હતું.
પરિસ્થિતિને સંભાળવા માટે એક વચન પૂરતું હતું! આખું ભાષણ આપવાની જરૂર નહોતી. બીજા સમયે પણ ઈસુ કંઈ બોલ્યા નહોતા. ઉદાહરણ તરીકે, એકવાર જ્યારે કોઈએ તેમને પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે જવાબમાં કહ્યું, "પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછું: યોહાનનું બાપ્તિસ્મા સ્વર્ગથી હતું કે માણસોથી?" અને તેઓ એકબીજા સાથે દલીલ કરવા લાગ્યા, “જો આપણે કહીએ કે તે ‘માણસો તરફથી હતું’ તો લોકો નારાજ થશે કારણ કે તેઓ યોહાનને પ્રબોધક માનતા હતા, અને જો આપણે કહીએ કે ‘તે સ્વર્ગથી હતું’, તો ઈસુ આપણને પૂછશે ‘તમે ત્યારે તેના પર વિશ્વાસ કેમ ન કર્યો?’” તેથી તેઓને ખબર નહોતી કે શું જવાબ આપવો તેથી તેઓએ કહ્યું, “અમે નથી જાણતા. અમે કહીશું નહિ.” તેથી ઈસુએ કહ્યું, “સારું, હું પણ તમારા પ્રશ્નનો જવાબ આપવાનો નથી” (માથ્થી 21:27).
ઈસુ પાસે બધા સાથે વ્યવહાર કરવાની કોઈ એકસરખી રીત નહોતી. ક્યારેક લોકો તેમની પાસે આવતા અને તેમને મૂર્ખામીભર્યો પ્રશ્ન પૂછતા, જેમ કે, “એક માણસ મૃત્યુ પામ્યો અને તેની પત્નીએ તેના ભાઈઓ સાથે લગ્ન કર્યા, અને તેના બીજા સાત ભાઈઓ પણ મરણ પામ્યા. તો પુનરુત્થાનમાં તેનો પતિ કોણ બનશે?” ઈસુએ તેમને જવાબ આપ્યો; તે ચાલ્યા ગયા નહિ. તેમણે તેમને સમજાવવા માટે સમય કાઢ્યો કે પુનરુત્થાનમાં કોઈ લગ્ન નથી. જો તમે ઈસુએ આપેલા જવાબો પર નજર નાખો, તો તે કોઈ નિશ્ચિત જવાબ મેળવવા જેવો ન હતો, કમ્પ્યુટર પ્રોગ્રામમાં જો પૂછીએ કે "આનો જવાબ શું છે?" તો હંમેશા એકસરખો જવાબ મળશે. ઈસુ હંમેશા પવિત્ર આત્માનું સાંભળતા હતા, અને તે એક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે જે આપણે માથ્થી 7:6 માંથી શીખવાની જરૂર છે.
ઘણી વાર, આપણે એ જાણવાની જરૂર પડે છે કે કોઈ ચોક્કસ વ્યક્તિ માટે યોગ્ય વચન શું છે. બધા સેવાકાર્યમાં લોકોને યોગ્ય વચન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા કરારમાં, કરિંથીઓને પહેલો પત્ર 14:1 માં શા માટે કહેવામાં આવ્યું છે કે આપણે પ્રબોધ કરવાની અભિલાષા રાખવી જોઈએ? દરેક વિશ્વાસીને કહેવામાં આવ્યું છે કે તેણે પ્રબોધ કરવાની તીવ્ર ઈચ્છા રાખવી જોઈએ. કારણ એ છે કે નવા કરારની મંડળીની સભામાં, જો બધા પ્રબોધ કરે છે, અને બધા પાસે પ્રબોધ કરવાનું દાન છે (બધા પ્રબોધકો નથી, પરંતુ બધા પ્રબોધ કરી શકે છે), તો જ્યારે કોઈ વ્યક્તિ આવે છે જે એક અભણ કે અવિશ્વાસી માણસ છે, જે કદાચ આ કૃપાદાનોમાં માનતો નથી, ત્યારે તે જે સાંભળે છે તેનાથી તેની પરીક્ષા થાય છે અને તેના હૃદયની ગુપ્ત વાતો પ્રગટ થાય છે કારણ કે તેણે તેની જરૂરિયાતો અનુસારનું જ વચન સાંભળ્યું (કરિંથીઓને પહેલો પત્ર 14:24-25). પછી તે ઊંધો પડીને ઈશ્વરનું ભજન કરશે અને કહેશે, "ઈશ્વર ચોક્કસપણે તમારામાં છે, કારણ કે મને મારી જરૂરિયાત મુજબ વચન મળ્યું છે!"
દરેક મંડળીની સભા આવી જ હોવી જોઈએ. દરેક મંડળીમાં એવા લોકો હોવા જોઈએ જે પ્રબોધકીય વચનોનો પ્રબોધ કરે. તમારે ઈશ્વરની રાહ જોવાની જરૂર છે, અને તે કરવા માટે તમારે બધું તેમને સમર્પિત કરવાની જરૂર છે. અને જો તમે તે નથી કરી રહ્યા, તો તમે ઈશ્વરના વચનના ઉપદેશક બનવા માટે લાયક નથી. તમારે બરાબર જાણવાની જરૂર છે કે વ્યક્તિને શું આપવું યોગ્ય છે. માથ્થી 7:6 માં ઈસુએ જે કહ્યું તેનો મુદ્દો એ છે. જ્યારે તમે કોઈને ભૂંડ જેવો જુઓ છો, ત્યારે તેને ભૂંડને જે આપવું યોગ્ય હોય તે આપો; જ્યારે તમે કોઈને કૂતરા જેવા જુઓ છો, ત્યારે તેને હાડકું આપો. તમે પ્રાણીઓને પહાડ પરનો ઉપદેશ આપી શકતા નથી.
જયારે આપણે પ્રબોધના કૃપાદાનની ઈચ્છા રાખીએ છીએ, ત્યારે આપણે બોલવા માટે ઊભા થઈએ તે ક્ષણે, આપણી સામે રહેલા લોકોની જરૂરિયાત ખરેખર શું છે તે સમજવાની ક્ષમતા ઈશ્વર આપે છે, અને ઈશ્વર આપણને તેમની જરૂરિયાત મુજબ વચન આપશે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે જેના સાથે ઈસુ પહાડ પરના ઉપદેશનો અંત કરે છે અને તે સમજવું આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે - ખાસ કરીને આપણામાંના જેમને ઈશ્વરના વચનનો ઉપદેશ આપવાનું તેડું મળેલું છે, પછી ભલે તે અવિશ્વાસીઓને હોય કે વિશ્વાસીઓને. આપણે કોઈનો તિરસ્કાર કરતા નથી. જો તમે કોઈનો તિરસ્કાર કરો છો, તો તમે ઈશ્વરના સેવક બનવાને લાયક નથી. ઈસુએ સૌથી ખરાબ પાપીઓનો પણ તિરસ્કાર કર્યો ન હતો. પરંતુ લોકોની જરૂરિયાત મુજબ આપણી પાસે યોગ્ય વચન હોવું જોઈએ. માથ્થી 7:6 નો મુદ્દો એ છે.