WFTW Body: 

જો કોઈ વ્યક્તિ પોતાની પવિત્રતાનો દાવો કરે છે પરંતુ દૈવી પ્રેમ પ્રગટ કરતો નથી, તો પછી તેની પાસે જે છે તે સાચી પવિત્રતા નથી પરંતુ ફરોશીઓ જેવું 'ન્યાયીપણું' છે. બીજી બાજુ, જેઓ દરેક માટે મહાન પ્રેમ હોવાનો દાવો કરે છે પરંતુ શુદ્ધતા અને ન્યાયીપણામાં જીવતા નથી, તેઓ નિરર્થક લાગણીઓને પણ દૈવી પ્રેમ સમજવાની ભૂલ કરીને છેતરાય છે.

ફરોશીઓનું 'ન્યાયીપણું' અયોગ્ય અને શુષ્ક હતું. તેઓ હાડપિંજર જેવા હતા - સખત અને ધિક્કારપાત્ર. તેમની પાસે થોડું સત્ય હતું, પરંતુ બધું વિકૃત હતું અને તર્કસંગત નહોતું.

ઈસુ પાસે સર્વ સત્ય હતું. ફરોશીઓ કરતા વધુ તે ઈશ્વરના નિયમના દરેક કાના અને માત્રા માટે અડગ ઊભા રહેતા હતા. પરંતુ તે માત્ર હાડકાં જ ન હતા. હાડકાં માંસથી ઢંકાયેલા હતા, ઈશ્વર માણસો માટે જેવી ઈચ્છા ધરાવતા હતા તેવી રીતે - સત્ય પ્રેમથી આચ્છાદિત હતું. તેમણે સત્ય કહ્યું, પરંતુ તેમણે તે પ્રેમથી કહ્યું (એફેસીઓને પત્ર 4:15). તેમના શબ્દોમાં અધિકાર હતો, પરંતુ તે કૃપાળુ પણ હતા (લૂક 4:22, 36).

આ તે સ્વભાવ છે જે પવિત્ર આત્મા ઈચ્છે છે કે આપણને તે આપે અને આપણા દ્વારા તે પ્રગટ થાય.

ઈશ્વર પ્રેમ છે. એવું નથી કે તે માત્ર પ્રેમથી વર્તે છે. તે તેમના ખરા ગુણ, એટલે પ્રેમમાં છે. ઈશ્વરનો મહિમા જે રીતે ઈસુમાં દેખાય છે, તે સ્પષ્ટપણે પ્રગટ થાય છે. ઈસુએ માત્ર પ્રેમના કાર્યો જ કર્યા ન હતા. તે "ભલું કરતા" ફર્યા. (પ્રેરિતોનાં કૃત્યો 10:38). પરંતુ તે એટલા માટે હતું કારણ કે ઈશ્વરનો પ્રેમ તેમના સમગ્ર અસ્તિત્વમાં છલકાતો હતો.

પવિત્રતા અને નમ્રતાની જેમ પ્રેમનું મૂળ આપણા આંતરિક માણસમાં છે. આત્માથી ભરપૂર માણસના આંતરિક મનુષ્યત્વમાંથી જીવનના ઝરણાં વહે છે (યોહાન 7:38, 39). આપણા વિચારો અને વલણ (ભલે ક્યારેય વ્યક્ત ન થાય તો પણ) આપણા શબ્દો અને કાર્યો અને આપણા વ્યક્તિત્વને સુગંધિત કરે છે. અને અન્ય લોકો આ સુગંધ સરળતાથી પામી શકે છે. જો આપણા વિચારો અને અન્ય પ્રત્યેના વલણ સ્વાર્થી અને ટીકાત્મક હોય તો આપણા પ્રેમના શબ્દો અને કૃત્યોનું કંઈ મહત્વ નથી. ઈશ્વર "અંતમાં સત્ય" ઈચ્છે છે (ગીતશાસ્ત્ર 51:6).

ઈસુએ બધા મનુષ્યોને ઘણા મૂલ્યવાન સમજ્યા છે અને તેથી તેમણે બધા માણસોનો આદર કર્યો. ધર્મપ્રેમી અને સંસ્કારી અને બુદ્ધિશાળીને માન આપવું સહેલું છે. આપણે એવું પણ વિચારી શકીએ છીએ કે આપણે ખ્રિસ્તમાં આપણા બધા સાથી-વિશ્વાસીઓને પ્રેમ કરીએ છીએ એટલે આપણે મહાન ઊંચાઈએ પહોંચી ગયા છીએ. પરંતુ ઈશ્વરનો મહિમા સર્વ માણસો માટેના ઈસુના પ્રેમમાં જોવા મળ્યો. ઈસુએ તેમની ગરીબી, અજ્ઞાનતા, કુરુપતા અથવા સંસ્કૃતિના અભાવ માટે ક્યારેય કોઈને ધિક્કાર્યા નથી. તેમણે ખાસ કરીને જણાવ્યું હતું કે આખું જગત અને તેમાં જે છે તે સઘળું, એક માનવ આત્મા જેટલું મૂલ્યવાન નથી (માર્ક 8:36). આ રીતે તે માણસોને મૂલવતા હતા. અને તેથી તે બધા માણસોમાં પ્રસન્ન થતા હતા. તેમણે માણસોને શેતાન દ્વારા છેતરાયેલા અને બંધાયેલા જોયા; અને તે તેમને મુક્ત કરવા ઈચ્છતા હતા.

ઈસુએ વસ્તુઓ કરતાં માણસોને વધુ મહત્ત્વના ગણ્યા. તે મનુષ્યને એટલો બધો પ્રેમ કરતા હતા કે તેમણે તેમના સમાન બની તેમનું રૂપ ધારણ કર્યું, અને માણસે સ્વીકૃતિ અનુભવી. ઈસુ તેઓના બોજના ભાગીદાર બન્યા અને કચડાયેલાઓ માટે દયાના શબ્દો અને જીવનની લડાઈમાં હારેલા લોકો માટે પ્રોત્સાહનના શબ્દો કહ્યા. તે ક્યારેય કોઈ મનુષ્યને નકામા ગણશે નહિ. માણસો અસંસ્કારી અથવા ઉદ્ધત હોઈ શકે છે, પરંતુ તેઓ હજુ પણ એવા લોકો હતા જેમનો ઉદ્ધાર કરવાની જરૂર હતી.

બીજી બાજુ, તેમના માટે વસ્તુઓ બિલકુલ મહત્વની નથી. ભૌતિક વસ્તુઓનું કોઈ મૂલ્ય હોતું નથી સિવાય કે તેનો ઉપયોગ બીજાના લાભ માટે કરવામાં આવે. કોઈ કલ્પના કરી શકે છે કે જો કોઈ પાડોશીનું બાળક ઈસુની સુથારની દુકાનમાં ઘૂસીને કોઈ મોંઘી વસ્તુ તોડી નાખે, તો તે કોઈ પણ રીતે ઈસુને બેચેન કરશે નહીં, કારણ કે બાળક તૂટેલી વસ્તુ કરતાં વધુ મૂલ્યવાન અને મહત્વપૂર્ણ હતું. તે લોકોને પ્રેમ કરતા હતા, વસ્તુઓને નહીં. વસ્તુઓનો ઉપયોગ લોકોને મદદ કરવા માટે થતો હતો.

પવિત્ર આત્મા આપણા મનનું નવીનીકરણ કરે છે જેથી આપણે "ઈશ્વરના દૃષ્ટિકોણથી વસ્તુઓ જોઈ શકીએ" (કલોસ્સીઓને પત્ર 1:9) કોઈ વ્યક્તિને પ્રેમ કરવો એટલે ઈશ્વર તેને જુએ છે તેમ તેને જોવું - કરુણાથી.

ઈશ્વર તેમના લોકો માટે ગાતા ગાતા હર્ષ કરે છે (સફાન્યા 3:17). અને પ્રભુ ઈસુ, ઈશ્વરના આત્માથી ભરપૂર હોવાથી, તેમણે તેમના બાળકો પર તેમના પિતાનો આનંદ દર્શાવ્યો. ઈશ્વરના દૃષ્ટિકોણથી લોકોને જોવા માટે જેમના મનનું નવીનીકરણ થયું છે તે બધા લોકો માટે એમ જ પણ હશે. ઈસુએ અન્ય લોકો વિશે જે વિચારો વિચાર્યા હતા તે હંમેશા અને સતત પ્રેમના વિચારો હતા - તેમની બેડોળતા અથવા તેમની અસંસ્કારીતા માટે ટીકાના વિચારો ક્યારેય નહીં. તેથી લોકો તેમના આત્માની મીઠી સુગંધને શોધી શક્યા, "અને સામાન્ય લોકોએ તેમને આનંદથી સાંભળ્યા" (માર્ક 12:37 - KJV). જ્યારે આપણે પવિત્ર આત્માથી ભરપૂર હોઈએ છીએ ત્યારે આ તે જ પ્રેમ છે જેનાથી ઈશ્વર આપણા હૃદયને છલકાવી દે છે (રોમનોને પત્ર 5:5).