અમારી CFC મંડળીઓમાં, અમે મરણ પછી સ્વર્ગમાં કેવી રીતે જવું તે અંગે ઉપદેશ આપતા નથી. ઈસુએ આપણને કહ્યું હતું કે દરેક દેશમાં જઈને શિષ્યો બનાવો - અને તેમણે જે આદેશ આપ્યો હતો તે બધું શીખવો - અને નર્કમાંથી બચીને સ્વર્ગમાં કેવી રીતે જવું તે અંગે નહીં!! પરંતુ, ખેદજનક રીતે, આજે સુવાર્તાનો મોટાભાગનો ઉપદેશ મુખ્યત્વે મરણ પછી સ્વર્ગમાં કેવી રીતે જવું તે અંગે હોય છે. હું તે સુવાર્તાનો ઉપદેશ આપતો નથી કારણ કે મને લોકોને સ્વર્ગમાં લઈ જવામાં રસ નથી. તે ઈશ્વરનું કામ છે. હું અહીં પૃથ્વી પર ઈસુ ખ્રિસ્ત માટે શિષ્યો બનાવવા માંગુ છું અને પછી હું તેમને ઈસુએ આપેલી દરેક આજ્ઞાનું પાલન કરવાનું શીખવવાનો પ્રયાસ કરું છું. પ્રભુએ માથ્થી 28:18-20 માં ખૂબ જ સ્પષ્ટ રીતે આ આદેશ આપ્યો છે. અને છેલ્લા 50 વર્ષથી, વિશ્વના ઘણા ભાગોમાં અમારી CFC મંડળીઓમાં અમે તે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
મારી સુવાર્તા એ છે કે પૃથ્વી પર ઈસુ ખ્રિસ્તના શિષ્ય કેવી રીતે બનવું અને દરરોજ તેમને કેવી રીતે અનુસરવું. ઈસુએ કહ્યું કે જીવનમાં પહોંચાડે તેવો માર્ગ, સાંકડો છે, ને તેનું બારણું નાનું છે (માથ્થી 7:14). આપણે આપણા પાપોનો પસ્તાવો કરીને અને ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાનમાં વિશ્વાસ કરીને સાંકડા બારણાંમાં પ્રવેશી શકીએ છીએ. પછી આપણને દરરોજ આપણો વધસ્તંભ ઊંચકીને અને પોતા માટે મરણ પામીને, અને ખ્રિસ્તને આપણા જીવનમાં પ્રથમ સ્થાને રાખીને અને તેમનું અનુસરણ કરીને સાંકડા માર્ગે ચાલવાનું કહેવામાં આવે છે. ઉપરોક્ત કલમમાં ઈસુએ શીખવેલ જીવન અને શિષ્યપણાનો આ માર્ગ છે - અને તે જ અનંતજીવનનો માર્ગ છે જે અમે અમારી બધી મંડળીઓમાં શીખવીએ છીએ.
શિષ્યપણાના સંબંધમાં, ઈસુએ લૂક 14:26 માં કહ્યું, “જો કોઈ મારી પાસે આવે, અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાંનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્વેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી." ઈસુએ તે કલમમાં કહ્યું તેમ, તમે કેટલી વાર કોઈને તમારા પ્રિયજનોને ધિક્કારવા વિશે ઉપદેશ આપતા સાંભળ્યા છે? પ્રભુ ઈસુના શિષ્ય બનવા માટે તે પ્રથમ શરત છે. અને ઈસુએ આપણને દરેક જગ્યાએ શિષ્યો બનાવવાનો આદેશ આપ્યો - ધર્મપરિવર્તિત લોકો બનાવવાનો નહીં. તેથી, જો આપણે શિષ્યો બનાવવા માંગતા હોઈએ, તો તેમને બીજું કંઈ પણ શીખવતા પહેલા, શિષ્યપણાની આ સૌથી પહેલી અને મુખ્ય શરત શીખવવી જ જોઈએ.
જ્યારે કોઈ બાળક શાળામાં જોડાય છે, ત્યારે તેને સૌથી પહેલા ભૌતિકશાસ્ત્ર કે રસાયણશાસ્ત્ર શીખવવામાં આવે છે. ના. તેને સૌથી પહેલા મૂળાક્ષરો - ABC શીખવવામાં આવે છે. તેવી જ રીતે, જેઓ આપણી મંડળીમાં જોડાય છે તેમને સૌ પ્રથમ શિષ્યપણાના મૂળાક્ષરો શીખવવા જોઈએ - ઈસુને સર્વોચ્ચ પ્રેમ કરવો. જેઓ આ શરત પૂરી કરવા માંગતા નથી તેમને શરૂઆતમાં જ સ્પષ્ટપણે કહેવું જોઈએ કે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો બની શકતા નથી. અને શિષ્યોનો કોઈ બીજો વર્ગ નથી. શિષ્યોનો માત્ર એક જ વર્ગ છે. - જેઓ "પિતા, માતા, ભાઈ, બહેન, પત્ની, બાળકો અને પોતાના જીવનો પણ દ્વેષ કરે" (લૂક 14:26).
આપણે પવિત્રશાસ્ત્રના અન્ય આદેશો—જેવા કે "તમારા પિતા અને માતાનું સન્માન કરો" અને "જેમ ખ્રિસ્તે મંડળીને પ્રેમ કર્યો હતો તેમ તમારી પત્નીને પ્રેમ કરો" અને “તમારા બાળકો અને તમારા ભાઈઓ અને બહેનોને પ્રેમ કરો" તેની સાથે ઈસુની આ માંગણીનો મેળ કેવી રીતે બેસાડી શકીએ?
ઈસુએ ઘણીવાર તેમના સંદેશાઓમાં મુદ્દો સ્પષ્ટ કરવા માટે ઉદાહરણોનો ઉપયોગ કર્યો. તેથી, મેં મારા પરિવારના સભ્યોને પ્રેમ કરવા અને નફરત કરવા માટેના આ દેખીતી રીતે વિરુદ્ધ આદેશોને સમજવા માટે કોઈ ઉદાહરણ શોધવાનો પ્રયાસ કર્યો! અને આ તે ઉદાહરણ છે જેણે મારા માટે સ્પષ્ટ કર્યું છે; હું મારા પિતા, માતા, પત્ની, બાળકો, ભાઈઓ અને બહેનો પ્રત્યેના મારા પ્રેમની તુલના તારાઓના પ્રકાશ સાથે કરું છું - તેજસ્વી અને સ્પષ્ટ અને તેમનામાં કોઈ પણ અંધકાર વિના - આપણા પરિવારના સભ્યો માટે આપણા પ્રેમનું ચિત્ર. પરંતુ સવારે, જ્યારે સૂર્ય ઉગે છે, ત્યારે તારાઓ અદ્રશ્ય થઈ જાય છે. તેઓ હજુ પણ ત્યાં છે, પરંતુ આપણે તેમને જોઈ શકતા નથી. તેમ, ખ્રિસ્ત માટેનો મારો પ્રેમ સૂર્યના પ્રકાશ જેવો હોવો જોઈએ, જેના પ્રકાશમાં, મારા પરિવારના સભ્યો માટેનો મારો પ્રેમ તુચ્છ બની જાય છે. મારા પરિવારના સભ્યો માટેનો મારો પ્રેમ હજુ પણ ત્યાં છે (જેમ કે સવારે તારાઓ હજુ પણ ત્યાં છે). પરંતુ ખ્રિસ્ત માટેનો મારો પ્રેમ એટલો મહાન છે કે હવે બીજા બધા ફક્ત ખ્રિસ્ત માટેના મારા પ્રેમ દ્વારા જ પ્રેમ કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે ખ્રિસ્ત માટેનો મારો પ્રેમ એટલો મહાન છે કે હું ક્યારેય મારી પત્ની, મારા માતાપિતા અથવા મારી નજીકના કોઈપણ વ્યક્તિને મારી અને ખ્રિસ્ત વચ્ચે આવવા દઈશ નહીં. હવેથી હું ફક્ત ખ્રિસ્ત માટેના મારા સર્વોચ્ચ પ્રેમ દ્વારા જ બીજા બધાને પ્રેમ કરીશ.
ઈસુએ કહ્યું, "હું મારી મંડળી બાંધીશ." ફક્ત તે જ તેને બાંધી શકે છે. આપણે ફક્ત તેમના શરીરના સભ્યો છીએ - એક જીભ જેવો છે, બીજો હાથ જેવો છે અને બીજો પગ જેવો છે. અને કેટલાક વિશ્વાસીઓ જે એટલા પ્રખ્યાત નથી તેઓ શરીરના છુપાયેલા અંગો જેવા છે. પરંતુ ખ્રિસ્ત તેમના શરીરને બાંધનાર શિર છે. આપણે ફક્ત તેમના શરીરના સભ્યો તરીકે તેમના દ્વારા શાસન, નિયંત્રણ અને ઉપયોગ કરવા માટે પોતાને તેમને અર્પણ કરી શકીએ છીએ. હાથ અને પગ પોતાની જાતે કંઈ કરી શકતા નથી. માથું હાથને શું કરવું તે કહે છે અને પગને ક્યાં જવું તે કહે છે. આ રીતે આપણે ખ્રિસ્તને આધીન થવાનું છે. અને તે જ રીતે ખ્રિસ્તનું શરીર કાર્ય કરે છે અને બને છે. અને તે જ છે જેના પર અમે ભાર મૂકવાનો પ્રયાસ કર્યો છે.
પરંતુ એકવાર ઈશ્વર કોઈ વ્યક્તિનો થોડો પણ ઉપયોગ કરવા લાગે અને તે વ્યક્તિ કોઈ સ્થાન પર ખ્રિસ્તના શરીરના નિર્માણનો ચમત્કાર જોવા લાગે, ત્યારે સૌથી મોટું જોખમ આત્મિક અભિમાન ઉત્પન્ન થવાનું રહેલું છે. જ્યારે ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે, ત્યારે અભિમાન છૂપી રીતે નજીક જ ઘાત લગાવીને બેઠું હોય છે. આપણે એવી કલ્પના કરવા લાગીએ છીએ કે તે સ્થાનિક મંડળીનું નિર્માણ કરનાર આપણે પોતે જ હતા, અથવા તે લોકોને ખ્રિસ્ત સુધી લાવનાર આપણે જ હતા. પરંતુ જ્યારે ઈશ્વરનો કોઈ સેવક કે મંડળી ઘમંડી બને છે, ત્યારે ઈશ્વર તુરંત જ તે વ્યક્તિ અને તે મંડળીનો વિરોધ કરવાનો પ્રારંભ કરી દે છે.
ઈશ્વર કરે કે આપણે સૌ તેમનાથી ડરીને ચાલીએ અને દરરોજ તેમના આત્માના સામર્થ્યની સહાય લઈએ, જેથી આપણે આપણા જીવન દ્વારા ઈશ્વરનો મહિમા કરી શકીએ અને આ અંતિમ દિવસોમાં તેમની મંડળીનું નિર્માણ કરી શકીએ.
આમીન.