ઈશ્વરનું વચન કહે છે કે મંડળી પ્રત્યેના ઈસુના પ્રેમને એક ઉદાહરણ તરીકે ગણીને, પતિઓએ તેમની પત્નીઓને કેવી રીતે પ્રેમ કરવો જોઈએ તે જાણવું જોઈએ (એફેસીઓને પત્ર 5:25). કોઈપણ પતિ, દસ ટકા પ્રામાણિકતા સાથે પણ, સ્વીકારશે કે આ વચનનું પાલન કરવામાં જીવનભર લાગે છે. એવો કોઈ પુરુષ નથી જેણે તે પ્રાપ્ત કર્યું હોય. દુઃખદ વાત એ છે કે મોટાભાગના વિશ્વાસીઓ તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ પણ કરતા નથી. જો આપણે પ્રયાસ પણ ન કરીએ તો આપણે ક્યારેય તેનું પાલન કરી શકીશું નહિ. જ્યારે બાઇબલ આ કહે છે ત્યારે તેનો અર્થ એ છે કે "સંપૂર્ણતા તરફ આગળ વધો." પતિઓની એક ફરજ છે: ખ્રિસ્ત મંડળીને જે રીતે પ્રેમ કરતા હતા તેમ તેમની પત્નીઓને પ્રેમ કરવો. તેઓએ આ ક્ષેત્રમાં સંપૂર્ણતા તરફ આગળ વધવું જોઈએ જેથી દર વર્ષે તેઓ તેમની પત્નીઓને વધુ સંપૂર્ણ રીતે પ્રેમ કરતા જોવા મળે, જેમ ખ્રિસ્ત મંડળીને પ્રેમ કરતા હતા અને તેને શુદ્ધ કરવા માટે પોતાની જાતનું તેને માટે અર્પણ કર્યું.
જ્યારે ખ્રિસ્તે મંડળીમાં નિષ્ફળતા જોઈ, ત્યારે તેમણે તે નિષ્ફળતાને કેવી રીતે સુધારી? મોટાભાગના પતિઓ કરે છે તે રીતે નહિ. મોટાભાગના પતિઓ તેમની પત્નીઓમાં રહેલી નિષ્ફળતાઓને "તમે યોગ્ય રીતે વર્તી રહ્યા નથી" જેવા કઠોર, સખત શબ્દોથી સુધારવાનો પ્રયાસ કરે છે, અથવા બીજા કોઈ એવા જ શેતાની શબ્દોનો ઉપયોગ કરે છે. ઈસુએ એવું ન કર્યું. જ્યારે તે મંડળીને સંપૂર્ણ, કોઈ પણ ડાઘ કે કરચલીઓ વગર, પવિત્ર અને દોષરહિત બનાવવા માંગતા હતા, ત્યારે તેમણે શું કર્યું? તેમણે તેને પવિત્ર કરવા માટે પોતાનું જીવન આપી દીધું. શું તમે ક્યારેય તમારી પત્ની માટે આવું કરવાનું વિચાર્યું છે? તે ઈશ્વરનો માર્ગ છે. સમગ્ર માનવજાત ઊંધી છે, વિરુદ્ધ દિશામાં જઈ રહી છે. જો તમે ઈશ્વરના માર્ગને અનુસરો છો, તો તમારું લગ્નજીવન સારા જીવનથી આગળ વધીને ઉત્તમ જીવન બનશે. જ્યારે તમે પતિ તરીકે તમારી પત્નીમાં ખામી જુઓ છો, ત્યારે તમારે ઈસુને અનુસરવું જોઈએ. તમારે તે ન કરવું જોઈએ જે તમારી આસપાસના બીજા બધા માણસો કરી રહ્યા છે.
ત્યારબાદ સૌથી મુશ્કેલ બાબત એ છે કે આપણો અહંકાર - આ ઓળખ જેને "હું" કહેવાય છે - તે મહત્વપૂર્ણ વ્યક્તિ જે રાજ્યાસન પર બેસે છે. જ્યારે તેની પત્ની રાજ્યાસન પર બેઠેલા રાજાની અપેક્ષા મુજબ કામ કરતી નથી ત્યારે તે ખૂબ જ નારાજ અને દુઃખી થાય છે. તેને પવિત્ર કરવા માટે તમારે આ તમારા ‘સ્વ’ ને છોડી દેવાની જરૂર છે. એ દુઃખદ છે કે થોડા જ પતિઓ એવા છે જે આ રીતે કરવામાં રસ ધરાવે છે. જો તમે આ રીતે નહિ કરો, તો અલબત્ત તમારું લગ્નજીવન કથળતું જશે. પરંતુ જો તમને ખરેખર આ રીતે કરવામાં રસ હોય, તો તમારે તમારી પત્નીને પ્રેમ કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેને ગંભીરતાથી લેવું જોઈએ. પ્રેમનો અર્થ શબ્દકોશમાં ન શોધો. તેના બદલે ખ્રિસ્તના નમૂનામાં પ્રેમનો અર્થ શોધો - જેમ ખ્રિસ્ત તમારા સંબંધમાં મરવા માટે તૈયાર હતા તેમ. આ આપણું પતિ તરીકેનું તેડું છે.
ઈસુ આપણા આગેવાન છે, પરંતુ તે અર્થમાં નહિ કે દુનિયા નેતૃત્વને સમજે છે. શું તમે જાણો છો કે પૃથ્વી પરના તેમના છેલ્લા દિવસોમાં આપણે ઈસુને ક્યાં જોઈએ છીએ? તેમની કન્યાના ચરણોમાં, તેના પગ ધોતા. બીજા શબ્દોમાં કહીએ તો, જો કોઈ પતિ પૂર્ણતાની ઊંચાઈએ પહોંચ્યો હોય, તો તે તેની પત્નીના ચરણોમાં જોવા મળશે, તેના પગ ધોતા, તેને મદદ કરતા અને તેને પવિત્ર કરવા માટે તેને શુદ્ધ કરતા. તેના પગ ધોવાનો અર્થ શું છે? તે ગંદા કામો કરવા માટે છે. અલબત્ત, એવી મૂર્ખ પત્નીઓ છે જે તેનો લાભ લે છે અને તેમના પતિઓ પર અધિકાર જમાવે છે. ઈસુ કોઈ એવા પગલૂછણિયું નહોતા જ્યાં લોકો ચાલીને જઈ શકે, ખરું ને? કેટલીક સ્ત્રીઓ ગેરસમજ કરે છે જ્યારે આપણે કહીએ છીએ કે પતિએ તેની પત્નીના પગ ધોવા જોઈએ અને ગંદા કામ કરવા જોઈએ. તેમના પતિઓ નોકર બનીને બધા પ્રકારના વિચિત્ર, ગંદા કામો કરે છે. મારો મતલબ એ નથી. ઈસુ કોઈ એવા કોઈ પગલૂછણિયું નહોતા. જો તમે ઈસુને તેમના શિષ્યો સાથે બેઠેલા જોશો, તો કોઈ શંકા રહેશે નહિ કે આગેવાન કોણ છે. સ્પષ્ટ નેતૃત્વ હતું. તમે ક્યારેય વિચાર્યું ન હોત કે પિતર કે માથ્થી આગેવાન હશે. પતિઓનું પણ આવું જ સ્થાન હોવું જોઈએ. આગેવાન અને સેવક બનવાનું આ નાજુક સંતુલન આપણે ઈસુ પાસેથી શીખવું જોઈએ. આ પ્રકારની આગેવાની માટે તમારે ડહાપણની જરૂર છે, જે ફક્ત પ્રભુ જ આપી શકે છે, જો તમે પ્રાર્થનામાં તેમની પાસે માંગો તો.
ઈસુ એક ઘેટાંપાળક છે જે પોતાના ટોળાની આગળ ચાલે છે. તે તેમને પાછળથી લાત મારતા નથી. ઈસુએ ઘણી બધી સલાહ આપી ન હતી. તે તેમની કન્યાએ અનુસરવા માટે એક નમૂનો હતા. પતિએ પણ એવું જ હોવું જોઈએ - ઈસુ જેવું ઉદાહરણ - તેની પત્નીનું નેતૃત્વ કરવા માટે એક ઘેટાંપાળક. મારા પ્રિય ભાઈ, જ્યારે તમારી પત્ની ઠોકર ખાય છે, ત્યારે તમારી જાતને પૂછો, ‘શું હું મારા ઘેટાંને, મારી પત્નીને, જેને ઈશ્વરે મને સોંપી છે, યોગ્ય રીતે દોરી રહ્યો છું?’ તમારી પત્નીની પાછળ બીજા નાના ઘેટાં - બાળકો આવશે. તે બધા એક માણસ, ઘેટાંપાળક પર આધારિત છે. જો પતિ પાસે આત્મ-નિયંત્રણ ન હોય, તો તમે ઘેટું અને નાના ઘેટાં પાસે કેવા વર્તનની અપેક્ષા રાખો છો? જો તે ભય અને ધ્રુજારી સાથે પોતાનો ઉદ્ધાર વિષે કામ ન કરી રહ્યો હોય, અને જો તે ઈસુને અનુસરતો ન હોય, તો ઘર કઈ દિશામાં જશે? ઈશ્વર જે હેતુ રાખતા હતા તેનાથી વિરુદ્ધ દિશામાં, બાકીની માનવજાતની જેમ.
તો, જો આપણે ઇચ્છીએ છીએ કે લગ્ન વધુ સારાથી ઉત્તમ તરફ જાય, તો આપણી પાસે એવા પતિ હોવા જોઈએ જે ઈસુને અનુસરવાની આ બાબતને ગંભીરતાથી લે. આ તેનો શોખ, તેનો જીવનભરનો જુસ્સો, તેની પૂર્ણ-સમયની નોકરી પણ હોવી જોઈએ - ફક્ત એક પ્રસંગોપાત બાબત નહિ જે તે મંડળીની સભામાં કરે છે. આ પ્રકારનું લગ્ન શિષ્યો માટે છે, ફક્ત તે લોકો માટે નહિ જેઓ મરણ પછી સ્વર્ગમાં જવા માંગે છે.