ઈસુએ આપણને શીખવેલી પહેલી ત્રણ વિનંતીઓ છે “તમારું નામ પવિત્ર મનાઓ,” “તમારું રાજ્ય આવો,” અને “તમારી ઈચ્છા પૂરી થાઓ.” ધ્યાન આપો કે બધું જ ઈશ્વર સાથે સંબંધિત છે. માણસ મૂળભૂત રીતે સ્વ-કેન્દ્રિત છે. આદમ પાસેથી આપણને વારસામાં મળેલું સ્વાર્થી જીવન આપણને મુખ્યત્વે પોતાના વિશે વિચારવા મજબૂર કરે છે, અને ઘણી વાર ફક્ત પોતાના વિશે જ. મોટાભાગના લોકો માટે હું, મને અને મારો પરિવાર ચિંતાનો વિષય છે. જો તેઓનું બદલાણ થાય છે, તો પણ હું, મને અને મારો પરિવાર જ છે. જ્યારે તેઓ ખ્રિસ્તને સ્વીકારે છે, ત્યારે તેઓ ફક્ત એ જ વિચારે છે કે ખ્રિસ્ત હવે હું, મને અને મારા પરિવારને કેવી રીતે આશીર્વાદ આપી શકે છે. તે ખ્રિસ્તી ધર્મ નથી. ઈસુ આપણને આ સ્વાર્થી જીવનમાંથી મુક્ત કરવા આવ્યા હતા, જે આપણી સઘળી વેદના અને દુ:ખનું મૂળ છે.
મોટાભાગના ખ્રિસ્તીઓ હંમેશા આનંદ કરી શકતા નથી તેનું કારણ એ છે કે તેઓના જીવનનું કેન્દ્ર તેઓ પોતે જ હોય છે. જ્યારે તેમની સાથે કંઈક સારું થાય છે, ત્યારે તેઓ આનંદ કરે છે; અને જ્યારે કંઈક ઈચ્છિત રીતે થતું નથી - જો તેમને અપેક્ષા મુજબ પ્રમોશન ન મળે - તો તેઓ પોતાનો આનંદ ગુમાવે છે. શા માટે? ઈશ્વર હજુ પણ રાજ્યાસન પર છે, તમારા પાપો હજુ પણ માફ કરવામાં આવ્યા છે, શેતાન હજુ પણ પરાજિત છે! તમે જે ઈચ્છતા હતા તે તમને મળ્યું નથી તે માટે તમે આનંદ કરી શકતા નથી. ઈસુ આપણને સ્વ-કેન્દ્રિત જીવનમાંથી મુક્ત કરવા આવ્યા છે, જે આપણી સઘળી સમસ્યાનું મૂળ છે.
શું આપણે ખોરાક માંગી શકીએ? અલબત્ત આપણે તે માંગી શકીએ છીએ, ઈસુએ માથ્થી 6:11 માં પ્રાર્થના કરવાનું શીખવ્યું, "દિવસની અમારી રોટલી આજ અમને આપો." "દિવસની રોટલી" માં ખોરાક, કપડાં, આશ્રય અને બાળકોનું શિક્ષણ શામેલ છે, કારણ કે તેમને શિક્ષિત થવાની અને નોકરી મેળવવાની જરૂર છે જેથી તેઓ તેમની રોજીરોટી કમાઈ શકે. આ વસ્તુઓ માંગવામાં કંઈ ખોટું નથી. "અમને માફ કરો," અને "ભૂંડાથી અમારો છૂટકો કરો" પણ સારી વિનંતીઓ છે, પરંતુ આપણા સંબંધમાં આ ત્રણેય વિનંતીઓ ઈશ્વરનું નામ, ઈશ્વરનું રાજ્ય અને ઈશ્વરનો મહિમા મેળવવા પછી આવે છે. ઈસુ આપણી પ્રાથમિકતાઓ બદલી રહ્યા છે.
પ્રાર્થના કરવાની સાચી રીત એ છે કે આપણે ઈશ્વરના રાજ્ય, તેમના નામ અને તેમની ઈચ્છાને આપણા વિચારોમાં પ્રાથમિકતા આપીને પ્રાર્થના કરીએ. બીજા શબ્દોમાં કહીએ તો, મારે મારી આખી જીવનશૈલી બદલવી પડશે, હવે ઈશ્વરના નામ, ઈશ્વરના રાજ્ય અને ઈશ્વરના મહિમાના સંદર્ભમાં વિચારવું પડશે. તે ખરેખર આત્મિક ખ્રિસ્તી છે. કોઈપણ વ્યક્તિ આ પ્રાર્થનાનું પુનરાવર્તન કરી શકે છે - એક પોપટ પણ કરી શકે છે. પરંતુ ફક્ત આત્મિક લોકો જ આ પ્રાર્થના તેમના હૃદયથી કરી શકે છે, કારણ કે ફક્ત આત્મિક લોકો જ પ્રામાણિકપણે કહી શકે છે કે જીવનમાં તેમની પ્રાથમિક રુચિ એ છે કે ઈશ્વરનું નામ દેશમાં, મંડળીમાં, પોતાનામાં અને તેમના પરિવારોમાં પવિત્ર મનાય.
"ઈશ્વરનું રાજ્ય ટૂંક સમયમાં આવવું જોઈએ, ઈશ્વરનું રાજ્ય મંડળીમાં સ્થાપિત થવું જોઈએ, અને ઈશ્વરની ઈચ્છા મારા જીવનમાં, મારા પરિવારમાં, દરેક જગ્યાએ પૂર્ણ થવી જોઈએ." તે આત્મિક માણસની નિશાની છે. જ્યાં સુધી આ ત્રણ ઇચ્છાઓ તમારા હૃદયમાં સૌથી ઉપર ન હોય ત્યાં સુધી તમારી જાતને આત્મિક ન માનો. જો તમારા જીવનનું કેન્દ્ર હજુ પણ તમારી પોતાની આસપાસ હોય તો બાકીનું બધું અર્થહીન છે. ઘણા લોકો, જ્યારે તેઓ ધર્મ સ્વીકારે છે, પણ તેમનું જીવન હંમેશા સ્વ-કેન્દ્રિત રહ્યું હોવાથી તેઓએ ઈસુને ફક્ત તેમની પોતાની સેવા કરવા માટે - એટલે તેમના પાપોને માફ કરવા, તેમની પ્રાર્થનાઓનો જવાબ આપવા, તેમને આશીર્વાદ આપવા, તેમને સમૃદ્ધ બનાવવા અને તેમની બીમારીઓને મટાડવા માટે - પોતાની ભ્રમણકક્ષામાં ઉમેર્યા છે. આ ખ્રિસ્તી ધર્મ નથી. આ એક સ્વ-કેન્દ્રિત જીવન છે જેમાં ધર્મ ઉમેરવામાં આવ્યો છે. જ્યારે ખ્રિસ્ત ખરેખર આવે છે, ત્યારે આપણે આપણા સ્વ-કેન્દ્રિત જીવનથી ફરીએ (પસ્તાવો કરીએ) છીએ, અને ઈશ્વર કેન્દ્રિત બની જઈએ છીએ.
પ્રભુની પ્રાર્થનાના અંતે આપણા વિશેની ત્રણ વિનંતીઓમાં, ઈસુ ભૌતિક વસ્તુઓનો ઉલ્લેખ કરે છે (દિવસની રોટલી આજે અમને આપો), પરંતુ તે તેમને "જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ" સાથે જોડે છે. હું કહું છું કે “મારા પિતા, હું મારા જીવનમાં પૃથ્વી પર તમારી ઈચ્છા બરાબર એ જ રીતે પૂરી કરવા માંગુ છું જેમ સ્વર્ગદૂતો કરે છે, જે તાત્કાલિક આજ્ઞાપાલન છે; અને તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે, મને તંદુરસ્તીની જરૂર છે, તેથી મને મારી દિવસની રોટલી આજે આપો. શું તમે ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવા માટે દિવસની રોટલી માટે પ્રાર્થના કરો છો, કે તમારી પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે? શું તે પાપ કરવા માટે છે, કે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે છે? આપણી પ્રાર્થના હોવી જોઈએ, “ઈશ્વર માટે જીવવા મને તંદુરસ્તી અને સામર્થ્ય માટે દિવસની રોટલી આજ અમને આપો.”
બીજી વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આ આખી પ્રાર્થનામાં, “હું” અને “મારું” શબ્દો ગાયબ છે. શું એ રસપ્રદ નથી કે આપણી પોતાની પ્રાર્થનામાં તમને “હું” અને “મારું” ઘણી વાર મળશે, પરંતુ પ્રભુએ આપણને પ્રાર્થના કરવાનું શીખવ્યું તે પ્રાર્થનામાં, આ શબ્દો સંપૂર્ણપણે ગેરહાજર છે. તે કહે છે, “અમને આપો” - “તે ફક્ત મારા માટે જ નથી, પ્રભુ, હું મારા ભાઈ વિશે પણ વિચારું છું, તેને તેની દિવસની રોટલીની જરૂર છે.” “અમને માફ કરો” - “ફક્ત મને માફ કરો એમ નહીં, પણ મારા ભાઈને પણ માફ કરો.” "અમારો છૂટકો કરો..." સાચો આત્મિક માણસ એ માણસ છે જેનું જીવન ઈશ્વરમાં કેન્દ્રિત છે, અને જ્યારે પોતાને ધ્યાનમાં લેવાની વાત આવે છે, ત્યારે તે ફક્ત પોતાના વિશે જ નહીં, પણ તેની આસપાસના લોકો વિશે પણ વિચારે છે - જે અન્ય લોકો પણ ઈશ્વરના પરિવારનો ભાગ છે. કેમ કે ઈશ્વર મોટા પરિવારના પિતા છે, તે અન્ય લોકો વિશે પણ વિચારે છે.
યોગ્ય ક્રમ એ છે કે પહેલા ખ્રિસ્ત છે, અને પછી બીજાઓ અને હું સાથે; ફક્ત હું એકલો નહીં. એક આત્મિક વ્યક્તિ આ રીતે પ્રાર્થના કરે છે: ફક્ત પોતાની જરૂરિયાતો માટે જ નહીં. તે સ્વાભાવિક રીતે પોતાના બાળકોની ચિંતા કરે છે, પરંતુ તે બીજા કોઈના બાળકોની પણ ચિંતા કરે છે. તે તેમની અવગણના કરતો નથી. બીજા લોકોના બાળકો માટે આપણા પોતાના બાળકો જેટલો બોજ હોવો માનવીય રીતે શક્ય નથી. આપણે વાસ્તવિક બનવું જોઈએ, પરંતુ આપણે તેમના માટે થોડી ચિંતા રાખવી જોઈએ. દિવસની અમારી રોટલી આજ અમને આપો.
"જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો." આ એક મહત્વપૂર્ણ વિનંતી છે. આ એક વિનંતી છે જે ઈસુ અંતમાં પુનરાવર્તન કરે છે. તે માથ્થી 6:14 માં કહે છે, "કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો, તો તમારા આકાશમાંના પિતા તમને પણ માફ કરશે." આ શરત સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ઈસુએ પોતે તે નક્કી કર્યું છે: જો તમે માણસોને માફ નહીં કરો, તો તમારા પિતા તમારા પાપો માફ નહીં કરે. શું આ સાચું છે, કે નહીં?
શું ઈશ્વર માફી રોકે છે જ્યારે તમે બીજા કોઈને તે વ્યક્તિએ તમારી વિરુદ્ધ કરેલા કાર્યો માટે માફ ન કરો? બિલકુલ. જો તમે બીજા લોકોને માફ નહીં કરો તો તે તમને માફ નહીં કરે. કૃપા કરીને આ યાદ રાખો. ઈશ્વરના માણસો સાથેના વ્યવહારમાં એક મૂળભૂત સિદ્ધાંત છે કે તે આપણી સાથે એવી જ રીતે વર્તે છે જેવી રીતે આપણે બીજા લોકો સાથે વર્તીએ છીએ. જો આપણે બીજાઓ પ્રત્યે દયાળુ હોઈએ છીએ, તો ઈશ્વર આપણા પ્રત્યે દયાળુ છે. જો તમે બીજાઓને માફ કરો છો, તો ઈશ્વર તમને માફ કરે છે. આપણે માથ્થી 5:7 માં જોયું કે, "દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે." અહીં આપણે કહી શકીએ છીએ કે, જેઓ બીજાઓને માફ કરે છે તેઓ ધન્ય છે, કારણ કે તેઓને માફ કરવામાં આવશે; અને જેઓ બીજાઓને માફ નથી કરતા તેઓને માફ કરવામાં આવશે નહીં.
ઈસુએ એક વાર માથ્થી 18:21-35 માં આ સંદર્ભમાં એક વાર્તા કહી હતી. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ દૃષ્ટાંત છે જે આપણે સમજવાની જરૂર છે. એક રાજા હતો જેના ઘણા ચાકરો હતા અને તે બધાના રાજાના દેવાદાર હતા. એક માણસે રાજાને 10,000 તાલંત આપવાના હતા, જે એક અબજ રૂપિયા જેટલું મોટું દેવું હતું - એક મોટું દેવું જે તમે ક્યારેય ચૂકવી શકતા નથી. રાજા દયાળુ હતો અને તેણે તેને માફ કરી દીધો. આ માફ કરાયેલો માણસ બહાર ગયો અને બીજા એક વ્યક્તિને મળ્યો જેનું તેના પર સો રૂપિયાનું દેવું હતું, તેનું ગળું પકડીને કહ્યું, ‘જો તું મને ચૂકવશે નહીં, તો હું તને કોર્ટમાં લઈ જઈશ અને તને કેદ કરીશ,” અને પછી તે તે પ્રમાણે કરે છે. જ્યારે બીજા ચાકરોએ આ જોયું, ત્યારે તેઓએ રાજાને જાણ કરી. રાજાએ ચાકરને બોલાવ્યો અને કહ્યું, ‘અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી, માટે મેં તને તે બધું દેવું માફ કર્યું. મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત ન હતી? અને તેના શેઠે ગુસ્સે થઈને તેનું બધું દેવું વાળે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો.’
બીજા શબ્દોમાં કહીએ તો, તે માફ કરાયેલું દેવું તેના માથા પર પાછું મૂકવામાં આવ્યું. તમે તેનો હિસાબ કેવી રીતે કરશો? શું ઈશ્વર, જે આપણને માફ કરે છે, તે આપણને માફ નથી કરતા? શું તે આપણા માથા પર તે પાપો પાછા મૂકે છે જે તેમણે પહેલાથી જ માફ કરી દીધા છે? આ કલમ મુજબ, હા. બાઈબલ ક્યારેય કહેતું નથી કે ઈશ્વર આપણા પાપો ભૂલી ગયા છે. તે કહે છે, “હું હવે તમારા પાપો યાદ રાખીશ નહીં,” એટલે કે, “હું તમારા પાપો તમારી વિરુદ્ધ રાખીશ નહીં.”
એવી કોઈ કલમ નથી જે કહે છે કે ઈશ્વર સંપૂર્ણપણે ભૂલી જાય છે. હું પોતે મારા પાપો ભૂલી શકતો નથી, તો ઈશ્વર તેમને કેવી રીતે ભૂલી શકે? ના, તે હજુ પણ જાણે છે, પરંતુ તેમને આપણી વિરુદ્ધ રાખતા નથી. આ દૃષ્ટાંત આપણને શીખવે છે કે જો તમે બીજાઓને માફ કરો છો, તો ઈશ્વર તમને માફ કરે છે, અને જો તમે માફ નહીં કરો, તો ઈશ્વર તમને માફ કરશે નહીં.
અને પછી છેલ્લી વિનંતી છે, "અમને પરીક્ષણમાં ન લાવો." તેનો અર્થ શું છે? ઈશ્વર આપણને આપણી ક્ષમતા કરતાં વધુ પરીક્ષણમાં પડવા દેશે નહિ (કરિંથીઓને પહેલો પત્ર 10:13), પરંતુ આપણા માટે આ પ્રાર્થના કરવી સારી છે, કારણ કે આપણા માટે એ સ્વીકારવું સારું છે કે કેટલાક પરીક્ષણો એવા હોય છે કે જેમનો સામનો કરવો આપણી ક્ષમતા બહારની બાબત છે. આપણે જાણીએ છીએ કે ઈશ્વર આપણને આપણી ક્ષમતા કરતાં વધુ પરીક્ષણમાં નહિ આવવા દે, પરંતુ આપણે એવા પરીક્ષણમાં ન પાડીએ માટે પ્રાર્થના કરવાની જરૂર છે જે આપણા માટે ખૂબ જ અઘરું હોય. "પણ ભૂંડાથી અમારો છૂટકો કરો." હું નમ્ર સ્થિતિ વ્યક્ત કરી રહ્યો છું કે, "મને ખબર નથી કે આ પરીક્ષણને કેવી રીતે દૂર કરવું. મારી પાસે આ પરીક્ષણને દૂર કરવાની ક્ષમતા નથી. તો પ્રભુ, મારા પિતા, કૃપા કરીને મને એવા કોઈ પરીક્ષણમાં ન લાવો જે મારા માટે ખૂબ જ અઘરું હોય." જ્યારે હું આ રીતે પ્રાર્થના કરું છું, ત્યારે હું મારી અસમર્થતા અને લાચારી વ્યક્ત કરું છું. પરીક્ષણ પ્રત્યે આ એક સારું વલણ છે.
આપણે એવું ન વિચારવું જોઈએ કે આપણે પરીક્ષણથી દૂર રહેવા માટે ખૂબ જ મજબૂત છીએ. આ જ કારણ છે કે ઘણા લોકો પાપ પર વિજય મેળવી શકતા નથી. મોટાભાગના ખ્રિસ્તીઓ પાપથી હાર પામે છે તેનું કારણ એ છે કે તેમની પાસે ખૂબ જ આત્મવિશ્વાસ છે. તેઓ માને છે કે તેમની પાસે ક્ષમતા છે - તેઓ માને છે કે થોડા વધુ સારા સંકલ્પો રાખવાથી અને દાંત કચકચાવવાથી તેમના પર વિજય મેળવવામાં મદદ મળશે. ના, એવું નહીં થાય. આપણે સ્વીકારવું પડશે, "પ્રભુ, મને એવા પરીક્ષણમાં ન લાવો જે મારા માટે ખૂબ જ અઘરા હોય, અને જ્યારે હું કોઈ પરીક્ષણનો સામનો કરું, ત્યારે મને ભૂંડાથી બચાવો, કારણ કે હું મારી જાતે ભૂંડાઈને દૂર કરી શકતો નથી." જો આપણે એ સમજીએ કે ભૂંડાઈ આપણા માટે ખૂબ જ શક્તિશાળી છે, બીજાઓને માફ કરવાના સંદર્ભમાં પણ, તો આપણે ઈસુ જે શીખવે છે તે પ્રમાણે પ્રાર્થના કરીશું. જો તમને કોઈને માફ કરવું મુશ્કેલ લાગે છે - જો કોઈએ તમને અથવા તમારા પરિવારને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે, અને તમને તે વ્યક્તિને, તે વ્યક્તિએ કરેલા દુષ્ટ કાર્ય માટે માફ કરવું ખૂબ જ મુશ્કેલ લાગે છે - તો તમે ઈશ્વર પાસે કૃપા માંગી શકો છો. કહો કે, “પ્રભુ, કૃપા કરીને મને મદદ કરો, મને આ ક્ષમા ન આપી શકવાના દુષ્ટ આત્માથી મુક્ત કરો. મારામાં આ વ્યક્તિને માફ કરવાની શક્તિ નથી, પરંતુ હું તમને વિનંતી કરું છું કે તમે મને તેને માફ કરવા માટે સહાય કરો.”
પ્રાર્થના એ આપણી નિર્બળતા અને ઈશ્વર પરની આપણી લાચાર નિર્ભરતાની અભિવ્યક્તિ છે, અને વિશ્વાસ એ ખાતરી છે કે ઈશ્વર મને મદદ કરશે કારણ કે તે મારા પિતા છે જે સ્વર્ગમાં છે, જેમણે મને મારા પાપોમાંથી મુક્ત કરવા માટે તેમના પુત્રને મરવા માટે મોકલ્યા. રોમનોને પત્ર 8:32 કહે છે, “જેમણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહિ, પણ આપણ સર્વને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બંધુએ કેમ નહિ આપશે?”
પ્રાર્થનાનો અંત માથ્થી 6:13 માં થાય છે, “કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારાં છે. આમીન.”
આપણી પ્રાર્થનાનો અંત આ રીતે કરવો અને એવું કહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, “પ્રભુ, આ બધું પૂર્ણ થયા પછી, જ્યારે તમે મારી પ્રાર્થનાનો ઉત્તર આપી દીધો હોય અને મેં જે માંગ્યું હતું તે બધું કરી દીધું હોય, ત્યારે હું સ્વીકાર કરવા માંગુ છું કે રાજ્ય તમારું છે, અને પરાક્રમ તમારું છે. આ જીવન જીવી શકવા માટે મારી પાસે સામર્થ્ય નથી; પાપ પર વિજય મેળવવાનું સામર્થ્ય મારામાં નથી. પરાક્રમ તમારું છે. અને જ્યારે હું પાપ પર વિજય મેળવું, ત્યારે તેનો મહિમા પણ તમારો જ હોય.”
પછી પ્રાર્થના "આમીન" સાથે પૂર્ણ થાય છે, જેનો અર્થ છે, "તેમ જ થશે".