written_by :   Zac Poonen categories :   The Home The Church Disciples
WFTW Body: 

"જ્યારે તમે પ્રાર્થના કરો છો, ત્યારે ઢોંગીઓ જેવા ન થાઓ..." (માથ્થી 6:5). પ્રાર્થના કેવી રીતે કરવી તે શીખવતા પહેલા, ઈસુએ ચેતવણી તરીકે પ્રાર્થના વિશે ઘણી વાતો કહી છે.

સૌ પ્રથમ, ઢોંગીઓને એ ગમે છે કે લોકો તેમને પ્રાર્થના કરતા જુએ. "માણસો તેમને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓના નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને ગમે છે. તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે." અહીં સિદ્ધાંત એ છે કે જો તમે જાહેરમાં પ્રાર્થના કરો છો, અને તમારો ઉદ્દેશ્ય એ છે કે અન્ય લોકો તમારી પ્રાર્થનાની પ્રશંસા કરે, તો તે માણસો પાસેથી માન મેળવવાનો છે. લગભગ દરેક વ્યક્તિ જે જાહેરમાં પ્રાર્થના કરવાનું શરૂ કરે છે તેણે સ્વીકારવું પડશે કે તેઓ પ્રાર્થના કરતી વખતે માન મેળવવાનું ઈચ્છી રહ્યા છે.

તમારી જાતને પૂછો, શું તમે જાહેરમાં એ જ રીતે પ્રાર્થના કરો છો જે રીતે તમે ખાનગીમાં પ્રાર્થના કરો છો? જ્યારે તમે એકલા તમારા પલંગ પાસે ઘૂંટણિયે પડો છો, ત્યારે તમે કેવી રીતે પ્રાર્થના કરો છો? તમે ઈશ્વરને શું કહો છો? જ્યારે તમે જાહેરમાં પ્રાર્થના કરો છો ત્યારે શું તમે આવું કહો છો? અથવા શું તમે તમારી ભાષાને વધુ સુંદર બનાવો છો અને તમારા અવાજમાં થોડો કંપન લાવો છો અને એક અભિનેતાની જેમ વર્તો છો, જેમ ઘણા લોકો જાહેરમાં પ્રાર્થના કરતી વખતે કરે છે, જેથી લોકોને પ્રભાવિત કરી શકાય કે તેઓ ખૂબ જ ગંભીર છે અથવા તેઓ ખૂબ જ લાગણીશીલ છે?

આ બધું દંભ છે. ઈશ્વર તેને ધિક્કારે છે. હું ઈચ્છું છું કે આપણે એ વાત સમજીએ કે જાહેરમાં પ્રાર્થના કરવી ઈશ્વર સમક્ષ ઘૃણાસ્પદ છે. ઈશ્વર તેને ધિક્કારે છે અને તે સાંભળતા પણ નથી. મંડળીની મોટાભાગની જાહેર પ્રાર્થના આ શ્રેણીમાં આવે છે, જ્યાં લોકો બીજા લોકો સમક્ષ કેટલી સારી રીતે પ્રાર્થના કરી શકે છે તે દર્શાવવા માટે પ્રાર્થના કરે છે. આ સંપૂર્ણપણે ઈસુના શિક્ષણની વિરુદ્ધ છે, અને લોકો તે કરે છે કારણ કે તેમને ઈસુએ જે આદેશ આપ્યો હતો તે બધું શીખવવામાં આવ્યું નથી.

આપણે તેનાથી પોતાને કેવી રીતે શુદ્ધ કરીશું? આપણે દર વખતે પ્રાર્થના કરતી વખતે પોતાનો ન્યાય કરવો જોઈએ. મને યાદ છે કે મેં પહેલી વાર જાહેરમાં ખ્રિસ્તી તરીકે પ્રાર્થના કરી હતી. મારે કબૂલ કરવું પડશે કે હું પ્રાર્થના કરતી વખતે લોકો પાસેથી માન માંગતો હતો. જ્યારે હું ઘરે ગયો અને મારી જાતનો ન્યાય કર્યો, ત્યારે મેં કહ્યું, "પ્રભુ, મારે આ રીતે પ્રાર્થના કરવી જોઈએ નહીં." બીજી વખતે જ્યારે હું ઉઠ્યો અને જાહેરમાં પ્રાર્થના કરી, ત્યારે હું હજી પણ માન ઈચ્છતો હતો, અને તેથી હું ઘરે ગયો અને ફરીથી મેં મારી જાતનો ન્યાય કર્યો. જાહેર પ્રાર્થનામાં માણસો પાસેથી માન મેળવવાની આ ઈચ્છાથી મને શુદ્ધ થવામાં ઘણા વર્ષો લાગ્યા, પણ છેવટે, ઘણા વર્ષો પછી, મેં ફક્ત સર્વશક્તિમાન ઈશ્વરને, મારા સ્વર્ગીય પિતાને પ્રાર્થના કરવાનું શીખી લીધું. શું તમે એ કરી રહ્યા છો? જો નહીં, તો હું તમને માણસોનું માન મેળવવાની તમારી ઈચ્છાથી છુટકારો મેળવવા માટે પ્રોત્સાહિત કરવા માંગુ છું.

પછી ઈસુએ કહ્યું, "પણ જ્યારે તું પ્રાર્થના કરે, ત્યારે તારી ઓરડીમાં પેસ, ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા પિતાની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે." આપણે જાહેરમાં આ કેવી રીતે કરી શકીએ? જો આપણા મનમાં એક દરવાજો હોય જે આપણે બંધ કરી શકીએ તો આપણે જાહેરમાં તે કરી શકીએ છીએ. જ્યારે હું 100 લોકોની વચ્ચે ઊભો હોઉં છું, ત્યારે પણ મારા મનમાં એક દરવાજો હોય છે. હું તેને બંધ કરું છું, અને પછી હું કહું છું, "હું હવે ફક્ત સર્વશક્તિમાન ઈશ્વર, મારા પિતા, સમક્ષ ઊભો છું." મારી આસપાસ લોકો હોઈ શકે છે, પરંતુ હું તેમના વિશે સભાન રહેવા માંગતો નથી. આ એક કારણ છે કે આપણે પ્રાર્થના કરતી વખતે આપણી આંખો બંધ કરીએ છીએ. એવો કોઈ કાયદો નથી જે કહે કે પ્રાર્થના કરતી વખતે તમારે તમારી આંખો બંધ કરવી જોઈએ. તમે ખુલ્લી આંખોથી પ્રાર્થના કરી શકો છો, કારણ કે ઈસુએ પણ ક્યારેક એવું કર્યું હતું.

આપણે આપણી આંખો બંધ કરીએ છીએ જેથી આપણે આપણી આસપાસના વાતાવરણથી વિચલિત ન થઈએ, જેથી આપણે આપણી આસપાસના લોકો પાસેથી માન ન માંગીએ. એક અર્થમાં આપણે જ્યારે આપણી આંખો બંધ કરીએ છીએ ત્યારે લોકોને પણ બંધ કરી દઈએ છીએ. આપણે આપણું મન પણ બંધ કરીને કહેવું જોઈએ, "પિતા, મેં હવે દરવાજા બંધ કરી દીધા છે અને હું તમને પ્રાર્થના કરી રહ્યો છું." પ્રાર્થના કરવાની આ રીત છે, અને આપણે જાહેરમાં પણ તે કરી શકીએ છીએ. આપણે ગુપ્ત રીતે આપણા પિતાને પ્રાર્થના કરીએ છીએ, અને આપણા પિતા, જે ગુપ્ત રીતે જુએ છે, તે આપણને બદલો આપશે. તમે ખાતરી રાખી શકો છો કે જો તમે તમારા પિતા ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છો, અને માણસો પાસેથી માન ઈચ્છતા નથી, તો તે ચોક્કસપણે તમને બદલો આપશે અને તે પ્રાર્થનાનો જવાબ આપશે.

ઈસુ આપણને માથ્થી 6:7 માં પ્રાર્થના કઈ રીતે ન કરાવી તે અંગે વધુ સલાહ આપે છે, "અને તમે પ્રાર્થના કરતાં વિદેશીઓની જેમ અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે, ‘અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે." વિદેશીઓ જે ભૂલો કરે છે તેમાંની એક છે અર્થહીન પુનરાવર્તનનો ઉપયોગ છે. કેટલાક ધર્મોને કંઈક મંત્રોચ્ચાર કરવાની ટેવ હોય છે. તેઓ કોઈ ધાર્મિક વાક્યનું પુનરાવર્તન કરે છે, અને તે અર્થહીન બાબત બની જાય છે.

કોઈ આત્મિક ભાષા લઈને તેનું પુનરાવર્તન કરવું શક્ય છે. આપણે "હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા" કહી શકીએ છીએ અને થોડા સમય પછી તે તદ્દન અર્થહીન બની જાય છે. તે એક ધાર્મિક વિધિ બની જાય છે. "પ્રભુની સ્તુતિ કરો, પ્રભુની સ્તુતિ કરો, પ્રભુની સ્તુતિ કરો" જેવા શબ્દસમૂહો માટે પણ આ જ વાત સાચી છે. ઈસુએ કહ્યું, "અર્થહીન પુનરાવર્તનનો ઉપયોગ કરશો નહીં." જો તમે નવો કરાર વાંચો છો, તો તમને ખબર પડશે કે હાલેલુયા શબ્દ ફક્ત પ્રકટીકરણ 19 માં આવે છે, અને તે કહે છે, "આના કારણે હાલેલુયા," અને પછી તે બીજી વાર કહે છે, "આના કારણે હાલેલુયા." આપણે ઈશ્વરની સ્તુતિ કેમ કરીએ છીએ તેનું કોઈ કારણ હોવું જોઈએ, અને તેથી આપણે માત્ર અર્થહીન રીતે "હાલેલુયા" ન કહેવું જોઈએ. આપણે દરેક બાબતમાં આભાર માનવો જોઈએ, પરંતુ જો તે અર્થહીન પુનરાવર્તન હોય, તો તે ખૂબ મૂર્ખતાભર્યું હોઈ શકે છે, અને ઈશ્વર સમક્ષ તેનું કંઈ મૂલ્ય નથી. તે ઈશ્વરનું નામ વૃથા લેવું પણ હોઈ શકે છે કારણ કે હાલેલુયાનો છેલ્લો ભાગ, 'યાહ', યહોવાનું ટૂંકું સ્વરૂપ છે, અને યહૂદી લોકો તે નામનો ઉલ્લેખ કરતા પણ ખૂબ ડરતા હતા, જેથી તેઓ ઈશ્વરનું નામ વૃથા ન લે. મારું માનવું છે કે ઘણા ખ્રિસ્તીઓ ઈશ્વરનું નામ વૃથા લે છે, જ્યારે તેઓ "હાલેલુયા" કહે છે. હું ઘણીવાર ઈશ્વરની સ્તુતિ કરતી વખતે તે કહું છું, પરંતુ હું તેને દરેક વખતે અર્થપૂર્ણ રીતે કહેવા માંગુ છું. હું તે શબ્દનો ઉપયોગ કરવાની વિરુદ્ધ નથી, અને ઈશ્વર પણ નથી, પરંતુ તે અર્થપૂર્ણ હોવો જોઈએ, અને અર્થહીન પુનરાવર્તન નહીં.

શું તમે જુઓ છો કે ખ્રિસ્તીઓએ આટલા સરળ આદેશને કેવી રીતે ગંભીરતાથી લીધો નથી? ઈસુએ કહ્યું હતું કે તે વિદેશીઓ છે જે કોઈ અર્થહીન રીતે કંઈક મંત્રોચ્ચાર જેવું પુનરાવર્તન કરે છે, અને તે આપણા જીવનમાં સાચું ન હોવું જોઈએ. આપણે ઈશ્વરનો આદર કરવો જોઈએ અને આપણે જે કહેવા માંગીએ છીએ તે કહેવાની જરૂર છે. તમે ભારતના રાજા, રાષ્ટ્રપતિ, કે વડાપ્રધાન સમક્ષ જઈને જ્યારે તમને ખબર પણ ન હોય કે તમે શું કહી રહ્યા છો ત્યારે ફક્ત કંઈક પુનરાવર્તન કરી શકતા નથી. આપણે ઈશ્વર માટે વધુ આદર રાખવો જોઈએ. અર્થહીન પુનરાવર્તન ટાળો.

ઈસુ એમ પણ કહે છે, “એવું ન ધારો કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે.” આ બીજી ભૂલ છે જે ઘણા લોકો પ્રાર્થનામાં કરે છે. તેઓ વિચારે છે કે જો તેઓ લાંબા સમય સુધી પ્રાર્થના કરશે, તો ઈશ્વર ચોક્કસપણે તેમનું સાંભળશે. “મેં 3 કલાક પ્રાર્થના કરી, તેથી ચોક્કસપણે ઈશ્વર મને સાંભળશે.” આ ઘણી બકવાસ છે, અને બિન-ખ્રિસ્તીઓ એવું જ વિચારે છે - જો તેઓ લાંબા સમય સુધી પ્રાર્થના કરશે, તો ઈશ્વર ચોક્કસપણે તેમનું સાંભળશે. તે સાચું નથી.

કાર્મેલ પર્વત પર, બઆલના પ્રબોધકોએ ઘણા કલાકો સુધી પ્રાર્થના કરી - કદાચ છ કલાક કે તેથી વધુ - પરંતુ કંઈ થયું નહીં. એલિયા ઉઠ્યો અને અડધી મિનિટ સુધી પ્રાર્થના કરી અને અગ્નિ ઉતરી આવ્યો. ઈશ્વર પ્રાર્થના સાંભળે માટે તેની લંબાઈ જરૂરી નથી. તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઘણા લોકો માને છે કે આખી રાત પ્રાર્થના કરવાથી તેમનું સાંભળવામાં આવશે. “સારું, મેં આખી રાત પ્રાર્થના કરી, તેથી અલબત્ત ઈશ્વર મારી પ્રાર્થનાનો જવાબ આપશે.” આ કોણે કહ્યું? પ્રાર્થનાનો જવાબ અને પાપથી મુક્ત હૃદય વિશ્વાસથી આવે છે. તે સૌથી મહત્વપૂર્ણ બાબતો છે. "જો હું મારા હૃદયમાં દુષ્ટતા રાખું છું," ગીતશાસ્ત્ર 66:18 કહે છે, "પ્રભુ મારું સાંભળશે નહીં."

જો તમે આખી રાત પ્રાર્થના કરો છો, અને તમારી પ્રાર્થના કેટલી સુંદર લાગે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. જો કોઈ પાપ છે જેનો ઉકેલ આવ્યો નથી, જો તમારા હૃદયમાં કબૂલાત ન કરાયેલ પાપ છે, જો તમારા અને તમારા ભાઈ વચ્ચે ખોટો સંબંધ છે, જો તમે કોઈને દુઃખ પહોંચાડો છો અને તમે ઈશ્વરને પ્રાર્થના કરો છો, તો ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળશે નહીં. જાઓ અને તમારા ભાઈ સાથે તે બાબતનો ઉકેલ લાવો. જો તમારી અને ઈશ્વર વચ્ચે, અથવા તમારા અને તમારા ભાઈ વચ્ચે, જો કબૂલાત અને સમાધાન થયું નથી, તો તમે ચોક્કસ પ્રાર્થના કરવામાં તમારો સમય બગાડી રહ્યા છો, પછી ભલે તમે 1 મિનિટ માટે પ્રાર્થના કરો કે 10 કલાક માટે.