આજે ઘણા ક્ષેત્રો એવા છે જ્યાં ખ્રિસ્તીઓ જૂના કરાર હેઠળ જીવી રહ્યા છે; તેઓ જાણતા નથી કે નવો કરાર પચાસમાના દિવસે સ્થાપિત થયો હતો. તે લગભગ એના જેવું છે કે ભારતના લોકો જાણતા ન હોય કે આપણે 1947 માં સ્વતંત્ર થયા હતા. શું તમે કલ્પના કરી શકો છો કે કોઈને આ વાતની જાણ ન હોય? ખ્રિસ્તીઓ માટે હજુ પણ જૂના કરાર હેઠળ જીવવું એટલું જ હાસ્યાસ્પદ છે.
મોટાભાગના ખ્રિસ્તીઓ ઘણા ક્ષેત્રોમાં જૂના કરાર હેઠળ રહે છે. જૂના કરારમાં, તમે ફક્ત તમારા પાપોની માફી મેળવી શકો છો (ગીતશાસ્ત્ર 103); નવા કરારમાં, રોમનોને પત્ર 6:14 કહે છે કે પાપ તમારા પર રાજ કરશે નહિ. જ્યારે લોકો ફક્ત પાપોની માફી મેળવે છે અને પાપ પર જય પામતા નથી, ત્યારે તેઓ જૂના કરારમાં જીવી રહ્યા છે. જૂના કરારમાં, એક સભા હતી જે એક શરીર તરીકે સાથે કાર્ય કરી શકતી નહોતી. જ્યારે આજે એક મંડળી એવી હોય - જે શરીર તરીકે સાથે કાર્ય કરી શકતી ન હોય તો - તે સાબિત કરે છે કે તે ખરેખર ફક્ત એક જૂના કરારની સભા છે. જ્યારે દશાંશ આપવા પર ભાર મૂકવામાં આવે છે, ત્યારે તે પણ જૂનો કરાર છે.
આજે ખ્રિસ્તી ધર્મમાં દશાંશ આપવા પર જે ભાર મૂકવામાં આવે છે તે સંપૂર્ણપણે જૂના કરાર પર આધારિત છે, તેથી આપણે નવા કરારના સિદ્ધાંતોને સમજવાની જરૂર છે. નવા કરારમાં એવો કોઈ નિયમ નથી કે જે કહે કે તમારે 10% ચૂકવવા જ જોઈએ. દશાંશ આપવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનો છેલ્લો ઉલ્લેખ જૂના કરારમાં, માલાખીના પુસ્તકમાં છે. જ્યારે ઈસુએ માથ્થી 23 માં તેનો ઉલ્લેખ કર્યો, ત્યારે તે એવા લોકો સાથે વાત કરી રહ્યા હતા જેઓ હજુ પણ જૂના કરાર હેઠળ હતા - ફરોશીઓ અને યહૂદી લોકો. નવો કરાર પચાસમાના દિવસે સ્થાપિત થયો હતો, અને તે પછી, ખ્રિસ્તીઓને દશાંશ ચૂકવવાનો એક પણ આદેશ નથી. દશાંશનો કોઈ ઉલ્લેખ નથી.
હિબ્રૂઓના પુસ્તકમાં ઈબ્રાહિમે મેલ્ખીસેદેકને 10% આપ્યા હોવાનો અસ્પષ્ટ ઉલ્લેખ છે, પરંતુ તે એવો નિયમ નહોતો જેનું પાલન ઈબ્રાહિમ કરી રહ્યો હતો. તે જે ઇચ્છે તે આપી શકતો હતો. તે 10% હતું, પરંતુ ઈબ્રાહિમ કોઈ નિયમનું પાલન કરી રહ્યો ન હતો, અને જો તેણે 10% ન આપ્યા હોત તો તેણે કોઈ પાપ ન કર્યું હોત.
નવા કરારમાં, આપવાના સિદ્ધાંતો એ છે કે તે ગુપ્ત (માથ્થી 6:1-4), રાજીખુશીથી (કરિંથીઓને બીજો પત્ર 9:7), અને તમે જે કમાણી કરો છો તેના પ્રમાણમાં (કરિંથીઓને પહેલો પત્ર 16:2) હોવું જોઈએ. તમારે કેટલું આપવું જોઈએ તેનો કોઈ નિયમ નથી. ઈશ્વરે તમને સમૃદ્ધ કર્યા હોય તે મુજબ તમે આપી શકો છો. જો તમારી પાસે ઘણું બધું હોય, અને તમારી પાસે ઘણું બધું બચતું હોય, તો તમે વધુ આપી શકો છો; અને જો તમારી પાસે ઘણું બધું ન હોય, તો તમારે આપવાની જરૂર નથી. તે ઠીક છે, કારણ કે ઈશ્વર અબજોપતિ છે, અને તે નથી ઇચ્છતા કે તેમના કોઈપણ ગરીબ બાળકોને તેમને આપવાથી સહન કરવું પડે.
જો તમે આ સિદ્ધાંતો સમજી શકતા નથી, તો ઘણા પાળકો અને ઉપદેશકો તમારું શોષણ કરશે અને તમારો આર્થિક લાભ લેશે. પરંતુ આ ધ્યાનમાં રાખો કે, જ્યારે આપણે આપીએ છીએ, ત્યારે આપણે ગુપ્ત રીતે આપવું જોઈએ. તમે શું આપી રહ્યા છો તે જાહેર કરવા માટે જો કોઈ મંડળી તમને દબાણ કરે છે તો તે વાસ્તવમાં તમને માથ્થી 6:1-4 ના ઈશ્વરના વચનનો અનાદર કરવાનું કહે છે. શક્ય હોય ત્યાં સુધી આપણું બધું દાન ગુપ્ત, સ્વૈચ્છિક અને રાજીખુશીથી હોવું જોઈએ.
એટલા માટે હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે આપણે લોકોની સામે થેલી ન મૂકવી જોઈએ અને જ્યારે લોકો રાજીખુશીથી દાન ન આપી રહ્યા હોય ત્યારે તેમને દાન આપવા દબાણ ન કરવું જોઈએ. તેમના માટે ગુપ્ત રીતે આપવું કદાચ શક્ય ન હોય, કારણ કે તેમના પડોશીઓ તેમને આપતા જોઈ રહ્યા છે. મારું માનવું છે કે તે કરવાની રીત એ છે કે મંડળીમાં ક્યાંક એક બોક્સ રાખવું જ્યાં લોકો સ્વેચ્છાએ ગુપ્ત રીતે, રાજીખુશીથી અને તેમની ક્ષમતા અનુસાર દાન આપે. પરંતુ બહુ ઓછી મંડળીઓ આ પ્રમાણે કરે છે કારણ કે મોટાભાગના ખ્રિસ્તી ઉપદેશકો અને મોટાભાગની ખ્રિસ્તી મંડળીઓમાં પૈસા માટે જબરદસ્ત પ્રેમ છે.
યાદ રાખો કે માથ્થી 5:20 – "ફરોશીઓના ન્યાયીપણા કરતાં તમારું ન્યાયીપણું વધારે હોવું જોઈએ" – લગભગ પહાડ પરના ઉપદેશના બાકીના ભાગ માટેનું મથાળું આ હોઈ શકે છે: "શાસ્ત્રીઓ અને ફરોશીઓના ન્યાયીપણા કરતાં આપણું ન્યાયીપણું કઈ રીતે વધારે હોય, જેથી આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ."
આપણા દાનની બાબતમાં, ઈસુ કહે છે કે આપણું વલણ ફરોશીઓ, ઢોંગીઓથી, જેઓ ઇચ્છતા હતા કે લોકો જાણે કે તેઓ શું આપી રહ્યા છે, તેમનાથી સંપૂર્ણપણે અલગ હોવું જોઈએ. તેમણે કહ્યું કે માણસો સમક્ષ તમારા ન્યાયીપણાનું પાલન કરવાથી સાવધ રહો. તે મૂળભૂત સિદ્ધાંત છે. ઈસુએ કહ્યું હતું કે લોકો જુએ તે માટે આવું ન કરો.
આપણે ક્યારેક આ બાબતો લોકો જુએ તે ટાળી શકતા નથી, અને જો લોકો આકસ્મિક રીતે તેના વિશે જાણી જાય, અથવા જો તેનાથી બચવાનો કોઈ રસ્તો ન હોય તો આપણે દોષભાવ અનુભવવાની જરૂર નથી, પરંતુ આપણે માણસો જુએ તે માટે આ બાબતો કરતા નથી. મુદ્દો એ છે. નહિંતર તમને તમારા સ્વર્ગીય પિતા તરફથી કોઈ પુરસ્કાર નહિ મળે. આ કલમ મુજબ, એવા ઘણા લોકો છે જેમણે પ્રભુના કાર્ય માટે દાન આપ્યું છે જેમને સ્વર્ગમાં કોઈ પુરસ્કાર મળશે નહિ, કારણ કે તેઓ ઇચ્છતા હતા કે બીજા લોકો જાણે કે તેઓએ કેટલું આપ્યું છે.
જો તમે ગુપ્ત રીતે દાન કરો છો, તો તમારા પિતા, જે ગુપ્ત રીતે જુએ છે, તે તમને બદલો આપશે. તે એક અદભૂત પુરસ્કાર છે જેનું ઈશ્વરે વચન આપ્યું છે, કે જો આપણે અહીં તેમની આજ્ઞાનું પાલન કરીશું, તો એક દિવસ, જ્યારે ખ્રિસ્ત ફરીથી આવશે, ત્યારે બલિદાનયુક્ત અને ગુપ્ત રીતે દાન કરનારાઓ માટે એક મહાન બદલો હશે.