“તમે સાંકડે બારણેથી અંદર પેસો. કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તે પહોળો છે, ને તેનું બારણું મોટું છે, ને ઘણા તેમાં થઈને પેસે છે” (માથ્થી 7:13-14).
વિનાશ એ સનાતન નરક છે. શું ઈસુએ પહાડ પરના ઉપદેશમાં નરક વિશે વાત કરી હતી? તેમણે ચોક્કસ કહ્યું. તેમણે તેના વિશે ત્રણ વખત વાત કરી. ચાલો વિનાશના માર્ગ પર નજર કરીએ. માથ્થી 5:22 માં, ઈસુએ કહ્યું, "જો તમે તમારા ભાઈ પર ગુસ્સે છો, તો તમે કોર્ટ સમક્ષ દોષિત છો. જો તે ગુસ્સો ગુસ્સાના શબ્દોમાં વ્યક્ત થાય છે, તો તમે સુપ્રીમ કોર્ટ સમક્ષ દોષિત છો. જો તે ગુસ્સાના ગંભીર શબ્દો સુધી આગળ વધે છે, તો તમે નરકમાં વિનાશમાં જવા માટે પૂરતા દોષિત થશો." ફરીથી, ઈસુ માથ્થી 5:28 માં કહે છે, "સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે. અને જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. અને જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે," નહિંતર, ઈસુ માથ્થી 5:30 માં કહે છે, તમને નરકમાં નાખી દેવામાં આવી શકે છે. તે વિનાશનો માર્ગ છે. અનિયંત્રિત ક્રોધ અને અનિયંત્રિત જાતીય ઈચ્છાનો માર્ગ પહોળો માર્ગ છે, અને તે માર્ગે ચાલતા ઘણા લોકો છે. દુનિયા એવા લોકોથી ભરેલી છે જેઓ ગુસ્સે છે અને જાતીય વાસનાથી ભરેલા છે, અનિયંત્રિત પાપી જાતીય ઈચ્છાઓ, ગરીબ સ્ત્રીઓનું શોષણ કરે છે, વગેરે. તે વિનાશનો પહોળો માર્ગ છે.
જો કોઈ પુરુષ કહે કે તે નવો જન્મ પામેલો ખ્રિસ્તી છે, પણ ગરીબ સ્ત્રીઓનું શોષણ થઈ રહ્યું છે તેનો લાભ લઈને ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી જુએ છે તો શું? જો આ ખ્રિસ્તી પોતાનો ગુસ્સો બાહ્ય રીતે વ્યક્ત કરે તો શું? આ વિનાશનો માર્ગ છે. ભલે તે પોતાને ખ્રિસ્તી કહે કે બિન-ખ્રિસ્તી, તેનાથી કોઈ ફરક પડતો નથી. તે વિનાશના માર્ગ પર છે. તે પહોળો માર્ગ છે.
ક્યારેક એવા ઉપદેશકો દ્વારા માર્ગ પહોળો કરવામાં આવે છે જેઓ કહે છે કે આપણે આટલા સંકુચિત મનના બનવાની જરૂર નથી અને કહે છે કે જે લોકો આ બાબતો પર કાબુ મેળવે છે, તેઓ જ અનંતજીવનમાં પ્રવેશ કરશે. ના, તેઓ ઈસુએ શીખવ્યું તેના કરતાં બારણું વધારે પહોળું કરે છે. ઈસુએ કહ્યું કે જીવનનો માર્ગ સોયના નાકા જેવો હતો. શું ઊંટ સોયના નાકામાંથી પસાર થઈ શકે છે? ના. ઈસુએ કહ્યું કે ઊંટ માટે સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે પણ જે માણસ પોતાનામાં સમૃદ્ધ છે તેના માટે ઈશ્વરનું રાજ્ય મેળવવું સહેલું નથી. આપણી સમૃદ્ધિ ફક્ત સંપત્તિમાં જ નથી. તે આપણી બુદ્ધિ હોઈ શકે છે. જ્યારે આપણે શાસ્ત્રવચન વિશે વાત કરીએ છીએ ત્યારે તે આપણી બૌદ્ધિક દલીલો હોઈ શકે છે. આપણે બૌદ્ધિક દલીલો સાથે ઈશ્વરના વચનોની ગંભીરતા ઓછી કરી દઈએ છીએ. તમે વિનાશ તરફ દોરી જતા પહોળા માર્ગેથી ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાના નથી. પણ જે બારણું નાનું છે, અને માર્ગ સાંકડો છે, તે છે જે જીવન તરફ દોરી જાય છે. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં આ જ રીતે ઉપદેશ આપ્યો હતો. ઈસુ જે કહી રહ્યા છે તે એ છે કે, “મેં અત્યાર સુધી જે કહ્યું છે તે ખૂબ જ સાંકડું બારણું અને ખૂબ જ સાંકડો માર્ગ છે, પરંતુ તે માર્ગ જીવન તરફ દોરી જાય છે. ખૂબ જ ઓછા લોકો છે જેમને તે જડે છે.” શું તમે અપેક્ષા રાખો છો કે ઘણા બધા લોકો પહાડ પરના ઉપદેશમાં વર્ણવેલ માર્ગ પસંદ કરશે? બિલકુલ નહીં.
પહાડ પરનો ઉપદેશ બિન-ખ્રિસ્તીઓ માટે નથી. તે બિન-શિષ્યો માટે નથી. આ તે લોકો માટે છે જેમણે તેમના જીવનમાં પશ્ચાતાપ અને ખ્રિસ્તમાં વિશ્વાસનો પાયો પહેલેથી જ નાખ્યો છે., જેઓ નવો જન્મ પામ્યા છે, અને જેઓ ઈશ્વરના બાળકો બન્યા છે. જો કોઈ વ્યક્તિએ પહાડ પરના ઉપદેશને અનુસરવાનો પ્રયાસ કરતી વખતે તે પહેલું પગલું ભર્યું નથી, તો તે એ વ્યક્તિ જેવો છે જે પાયા વિના ઘર બનાવી રહ્યો છે. પરંતુ અહીં, તે એવા શિષ્યો વિશે વાત કરી રહ્યા છે જેઓ પ્રભુને અનુસરવા માંગે છે. તેઓ જોશે કે આ એક ખૂબ જ સાંકડું બારણું છે, અને તે શોધનારા બહુ ઓછા છે. મને નથી લાગતું કે માથ્થી 5-7 માં લખેલી વાતોનું પાલન કરવા માટે લોકોના ટોળો દોડી આવશે.
જ્યારે તમે હજારો લોકોવાળી અતિ વિશાળ મંડળી જુઓ છો, ત્યારે તમને આશ્ચર્ય થશે કે શું આ તે "થોડા" લોકો છે જેમણે જીવનનો માર્ગ શોધી કાઢ્યો છે. અથવા શું આ લોકો ખોટા ઉપદેશકો દ્વારા ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, અને વિનાશ તરફ દોરી જતા પહોળા માર્ગ પર જઈ રહ્યા છે? આપણે તેમાંથી કોઈનો ન્યાય કરવા માંગતા નથી. જો એક નાના વિસ્તારમાં ત્રીસ હજાર લોકો પહાડ પરના ઉપદેશનું પાલન કરવા અને ઈસુને અનુસરવા માંગે છે તો મને આનંદ થશે. જો ત્રણ લાખ લોકોની મંડળી હોય જે ખ્રિસ્તને અનુસરવા માંગે છે તો મને આનંદ થશે. હું એવા 300,000 લોકોથી ખુશ નહીં થાઉં જેઓ પૃથ્વી પર ખ્રિસ્તને અનુસર્યા વિના ફક્ત સ્વર્ગમાં જવા માંગે છે. મેં જે જોયું છે તેના પરથી, મોટાભાગની મંડળીમાં બેઠેલા લોકો પૃથ્વી પર ખ્રિસ્તને અનુસર્યા વિના સ્વર્ગમાં જવા માંગે છે. તે ઈસુ ખ્રિસ્તની ખરી મંડળી નથી. તે એક એવી મંડળી છે જેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર ચોક્કસપણે ચાલશે, અને જ્યાં ઉપદેશકોએ બારણું પહોળું કર્યું છે જેથી ઘણા લોકો કિંમત ચૂકવ્યા વિના અંદર પ્રવેશ કરી શકે. બારણું એટલું પહોળું છે કે તમે પૈસાને પ્રેમ કરી શકો અને કલ્પના કરી શકો કે તમે ઈશ્વરને પણ પ્રેમ કરો છો. તેઓએ બારણું પહોળું કર્યું છે, અને પોતાને છેતરતા હોય છે કે તેઓ તે મંડળીમાં ઈસુના શિષ્યો બનાવી રહ્યા છે.
આપણે ખૂબ સ્પષ્ટપણે જોવાની જરૂર છે કે પહાડ પરના ઉપદેશના અંતે ઈસુએ સમજાવ્યું હતું કે આ બારણું ખૂબ નાનું છે, અને આ માર્ગ ખૂબ જ સાંકડો છે જે જીવન તરફ દોરી જાય છે. ખરેખર તે શોધનારા ખૂબ જ ઓછા છે.
તે પછીની વાત એ છે કે, "જૂઠા ઉપદેશકો સંબંધી સાવધાન રહો" (માથ્થી 7:15). આ ફકરાના સંદર્ભમાં આપણે જોવાની જરૂર છે કે આ જૂઠા ઉપદેશકો કોણ છે. શું આ જૂઠા ઉપદેશકો એવા છે જે મંડળીમાં આવે છે પરંતુ કોઈ બીજા ધર્મ વિશે વાત કરે છે, અને કોઈ બીજા ધર્મના પવિત્ર પુસ્તકમાંથી શિક્ષણ આપવાનું શરૂ કરે છે? ના. જૂઠા ઉપદેશકો એ છે જે "ઘેટાંને વેશે આવે છે." ઘેટાંને વેશનો અર્થ ઈસુ ખ્રિસ્તના સેવક અને ખ્રિસ્તના ઘેટાં હોવાનો દેખાવ છે. તેઓ ઘેટાંને વેશે આવે છે. તેઓ ઘેટાં જેવા દેખાય છે. તેઓ હાથમાં બાઇબલ લઈને આવે છે, પરંતુ તેઓએ માર્ગ પહોળો કર્યો છે. તેઓ શાસ્ત્રના આદેશોને સમજાવે છે, કહે છે કે, "આ આદેશ જરૂરી નથી," અથવા "તેનો અર્થ આટલો જ નથી..." આ લોકોએ શાસ્ત્રવચનમાં ઘણી બધી બાબતો સમજાવવાનો પ્રયાસ કર્યો છે. જો તેઓ ફિલિપીઓને પત્ર 4:4 જેવી કલમ પર આવે છે, "પ્રભુમાં સદા આનંદ કરો," તો તેઓ કહે છે, "તેનો અર્થ 24/7 નથી. તેનો અર્થ સામાન્ય રીતે, અથવા મોટાભાગે." જ્યારે ફિલિપીઓને પત્ર 4:6 કહે છે, "કશાની ચિંતા ન કરો," ત્યારે તેઓ કહે છે, "તેનો અર્થ 'કશાની નહીં' એવો નથી. તેનો અર્થ સામાન્ય રીતે તમારે ચિંતા ટાળવી જોઈએ." જ્યારે થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર 5:18 માં કહે છે કે "દરેક સંજોગોમાં આભારસ્તુતિ કરો કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી છે,” ત્યારે તેઓ કહેશે કે "એનો અર્થ દરેક સમયે એવો નથી."
છેલ્લા દિવસે જ્યારે તમે ઈસુ ખ્રિસ્ત સમક્ષ ઊભા રહેશો ત્યારે તમને ખબર પડશે કે આ બધાનો અર્થ એ જ હતો જે ઈશ્વરે કહ્યું હતું. ખ્રિસ્તે તે જ કહ્યું જે ઈશ્વરના કહેવાનો અર્થ હતો. જો તમે બાઇબલમાં આ શબ્દો પર વિશ્વાસ નથી કરતા, તો તમારે પ્રામાણિક રહેવું જોઈએ અને બાઇબલના તે પાનાઓને ભૂંસી નાખવા જોઈએ અથવા ફાડી નાખવા જોઈએ.
જો તમે કહો છો કે બાઇબલ ઈશ્વરનું વચન છે, પણ પછી તમે તેનું પાલન ન કરો તો તમે અપ્રમાણિક અને દંભી છો. ઈશ્વર આ દંભનો ન્યાય કરશે. ઈશ્વર એક પ્રામાણિક વ્યક્તિને પ્રેમ કરે છે. હું માનું છું કે ઈશ્વર ઘણા અવિશ્વાસીઓને દંભી ખ્રિસ્તીઓ કરતાં વધુ પ્રેમ કરે છે કારણ કે તેઓ પ્રામાણિક છે. તેઓ ઈશ્વરને નથી માનતા. તેઓ એવું વર્તન કરે છે જાણે ઈશ્વર હોય જ નહિ. દુનિયામાં વેપારી કહે છે કે પૈસા સિવાય કોઈ ઈશ્વર નથી. તે પૈસાની પૂજા કરે છે, અને તે પ્રામાણિક છે. પરંતુ ખ્રિસ્તીઓ, જેઓ કહે છે કે ઈસુ ખ્રિસ્ત ખરા ઈશ્વર છે અને બાઇબલ ઈશ્વરનું વચન છે, અને જો તેઓ તે દુન્યવી લોકોની જેમ જીવે છે, તો તેઓ દંભી છે. યાદ રાખો કે જ્યારે ખ્રિસ્ત પૃથ્વી પર હતા, ત્યારે તેમણે બીજા કોઈ કરતાં દંભીઓને વધુ દોષિત ઠેરવ્યા હતા. વ્યભિચારી સ્ત્રીને બચાવી લેવામાં આવી હતી. વધસ્તંભ પર ચોરને બચાવી લેવામાં આવ્યો હતો. ખૂનીને બચાવી લેવામાં આવ્યો હતો. પરંતુ દંભીઓ નરકમાં ગયા.