ઈસુએ કહ્યું, “પૃથ્વી પર પોતાને માટે દ્રવ્ય એકત્ર ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે. પણ તમે પોતાને માટે આકાશમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી. કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે” (માથ્થી 6:19-21). ઘણા લોકો માનતા નથી કે પૈસાને પ્રેમ કરવો ખોટું છે. પૈસા હોવા એ પાપ નથી, પૈસાને પ્રેમ કરવો એ પાપ છે.
એ સમજવું ખૂબ જ સરળ છે કે આપણે આ આજ્ઞાનું પાલન કર્યું છે કે નહિ. જો તમારું મન સ્વર્ગીય બાબતો કરતાં પૃથ્વીની બાબતો વિશે વધુ વિચારી રહ્યું છે - જો તમે સ્વર્ગીય બાબતો કરતાં તમારી પૃથ્વીની સંપત્તિ અને મિલકતો વિશે વધુ વિચારી રહ્યા છો - તો ચોક્કસ રીતે તમારું હૃદય આ પૃથ્વી પર છે, અને તમારો ખજાનો પણ અહીં છે. આપણે આ આજ્ઞાનું પાલન કર્યું છે કે નહિ તે જાણવાનો માર્ગ એ છે કે દિવસ દરમિયાન પોતાને પૂછવું કે આપણું હૃદય ક્યાં સ્થિત છે. આપણા કામની વચ્ચે (અથવા બીજા કશાની વચ્ચે), જો આપણે થોડા નાણાકીય નુકસાનને કારણે ખૂબ જ પરેશાન થઈએ છીએ અથવા નાણાકીય લાભને કારણે ઉત્સાહિત થઈએ છીએ, તો આ સૂચવે છે કે આપણો ખજાનો આ પૃથ્વી પર છે.
મને યાદ છે કે ઘણા વર્ષો પહેલા, જ્યારે કોઈએ મને એક નાની નાણાકીય ભેટ આપી હતી, ત્યારે ઈશ્વરે મને એક પ્રશ્ન પૂછ્યો હતો - 'શું તારો આનંદ વધ્યો છે?' મને અચાનક દોષિત હોવાનો અનુભવ થયો અને મેં પ્રભુ સમક્ષ કબૂલાત કરી કે આ થોડા પૈસા મળવાથી મારો આનંદ વધ્યો છે. મને તે દિવસે સમજાયું કે મારે ફક્ત પ્રભુમાં આનંદ કરવો જોઈએ, પૈસામાં નહિ. મેં એ પણ શીખ્યું કે પૈસાના વધારાએ ક્યારેય મારા આનંદમાં વધારો ન કરવો જોઈએ. જો તે મારા આનંદમાં વધારો કરે છે, તો તેનો અર્થ એ છે કે મારો આનંદ પૈસામાં છે.
બાઇબલ કહે છે કે હંમેશા પ્રભુમાં આનંદ કરો - અને પ્રભુ હંમેશા એવાને એવા જ રહે છે - તેથી જો તમે પૈસા મેળવો છો કે પૈસા ગુમાવો છો, તો પ્રભુમાં તમારો આનંદ વધવો કે ઘટવો જોઈએ નહિ. તે એક સરખો જ રહેવો જોઈએ. જો ગુમાવવાથી તમારા આનંદમાં ઘટાડો થાય છે, તો ચોક્કસ તમારું હૃદય પૈસામાં હતું. જો તમારો આનંદ વધે છે કારણ કે તમે કેટલાક પૈસા મેળવ્યા છે, તો તમે ખાતરી કરી શકો છો કે તમારું હૃદય ત્યાં હતું. આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ. તે આપણા પૃથ્વીના જીવન માટે આપણને જે જોઈએ છે તે બધું પૂરું પાડશે, પરંતુ આપણે આ પૃથ્વીની બાબતોમાં આપણો આનંદ ન શોધવો જોઈએ. આપણે આ પૃથ્વીની બાબતોનો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ તેમાં આપણો આનંદ ન શોધવો જોઈએ.
પૈસા એક અદ્દભૂત ચાકર છે, પરંતુ તે એક ભયંકર માલિક છે - અગ્નિ જેવો. આપણે આપણા ઘરોમાં, રસોઈ કરવા માટે, અગ્નિ વિના જીવી શકતા નથી. પરંતુ જો તે ચૂલાની આગ માલિક બને છે, તો ઘર બળી જશે. તે એક ભયંકર માલિક છે - તમારા આખા ઘરને બાળી નાખવા સક્ષમ છે - પરંતુ જો તમે તેને નિયંત્રણમાં રાખો છો (જ્યારે તમે બટન ફેરવો છો ત્યારે કહો, "તને ક્યારે ચાલુ કરવો અને ક્યારે બંધ કરવો તે હું નક્કી કરીશ. હું, તું નહિ." આમ તમે ઘરના માલિક છો), તો તે એક અદ્દભૂત ચાકર છે. પૈસા એવા જ હોવા જોઈએ. જેમ આપણને અગ્નિની જરૂર છે, તેમ આ પૃથ્વી પર રહેવા માટે આપણને પૈસાની જરૂર છે, પરંતુ તે ચાકર હોવો જોઈએ. તમારે કહેવું જોઈએ, "પૈસા, હું નક્કી કરીશ કે તું મને નિયંત્રિત કરવાનો નથી; હું તને નિયંત્રિત કરવાનો છું. તું મારા મનને નિયંત્રિત નહિ કરે અને મને હંમેશા તારા વિશે વિચારવા માટે મજબૂર નહિ કરે. હું ઈશ્વર અને સ્વર્ગની બાબતો વિશે વિચારવાનો છું, પણ હું તારો ઉપયોગ કરવાનો છું." આ એક આત્મિક માણસનું સ્થાન છે.
સોનું ખૂબ જ સારી વસ્તુ છે જો તેનો ઉપયોગ સેવક તરીકે કરવામાં આવે. બાઇબલ કહે છે કે સ્વર્ગમાં પણ સોનું છે! પરંતુ ત્યાં, આપણે સોનાની શેરીઓ વિશે વાંચીએ છીએ. તેનો અર્થ એ છે કે તમે તેના પર ચાલો છો, તે તમારા પગ નીચે છે. સ્વર્ગીય ખ્રિસ્તી વ્યક્તિ અને દુન્યવી ખ્રિસ્તી વ્યક્તિ વચ્ચે આ તફાવત છે. સ્વર્ગીય ખ્રિસ્તી વ્યક્તિએ પોતાના પગ નીચે સોનું રાખ્યું છે - તે તેમના પર રાજ કરતું નથી - પરંતુ એક દૈહિક ખ્રિસ્તી વ્યક્તિ તેના માથા પર સોનું પહેરે છે અને તે હંમેશા તેમના મનમાં રહે છે.
તેથી જો પૈસા હંમેશા તમારા મનમાં હોય, તો તમે તેને પ્રેમ કરો છો, પછી ભલે તમને તે ગમે કે ન ગમે. તે એક છોકરા જેવું છે જે છોકરીને પ્રેમ કરે છે અને હંમેશા તેના વિશે વિચારે છે. જે હંમેશા પૈસા વિશે વિચારે છે તે પૈસાના પ્રેમમાં છે, અને પૈસાનો પ્રેમ તમામ પ્રકારની દુષ્ટતાનું મૂળ છે. પૈસાને પ્રેમ કરવા માટે તમારે ધનવાન બનવાની જરૂર નથી. મેં ભારતમાં ક્યારેય એવો ભિખારી જોયો નથી જે પૈસાને પ્રેમ ન કરે. દરેક ભિખારી પૈસાને પ્રેમ કરે છે. જો તમે તેમને 50 પૈસા આપો તો તેઓ તેને ધિક્કારશે. તેઓ પૈસાને પ્રેમ કરે છે અને વધુ ઇચ્છે છે. આમ, જેની પાસે સંપત્તિ છે તે જ માણસને પૈસા પ્રત્યે પ્રેમ થાય છે એવું નથી હોતું. ગરીબ લોકો પણ પૈસાને એટલો જ પ્રેમ કરે છે જેટલો અમીર લોકો કરે છે.
એવું પણ બને છે કે તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય, તમે પૈસાથી મુક્ત રહી શકો છો. તે તેના પ્રત્યેના તમારા વલણનો પ્રશ્ન છે. જો તમારા ઘરમાં એક નોકર હોય, અને તે તમારા ઘરનો કબજો લઈ લે, તો તે ભયંકર બાબત કહેવાય. તમારી પાસે થોડા પૈસા હોઈ શકે છે (જેમ કે એક નોકર હોય), પરંતુ તેણે તમારા ઘરનો કબજો લઈ લીધો છે અને તમારી વિચારસરણી પર રાજ કરે છે. બીજી બાજુ, તમારી પાસે ઈબ્રાહિમ જેવા 318 નોકરો હોઈ શકે છે, છતાં તેઓ બધા તેના નોકર હતા અને તેનું પાલન કરતા હતા. ઈબ્રાહિમની જેમ, તમારી પાસે પણ ઘણા પૈસા હોઈ શકે છે, અને જો તમે તેના પર રાજ કરો છો, તો તમે તેનો ઉપયોગ ઈશ્વરના મહિમા માટે કરી શકો છો.
પૈસાનો પ્રેમ એ બધી દુષ્ટતાનું મૂળ છે, (જરૂરી નથી કે પુષ્કળ પૈસા હોવા જોઈએ). આ તફાવત સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેં ઘણા ગરીબ લોકોને જોયા છે જેઓ પૈસાને ખૂબ પ્રેમ કરે છે, અને મેં એવા ધનવાન લોકોને જોયા છે જેઓ તેને પ્રેમ કરતા નથી. મેં જોયું છે કે તે તમારી પાસે કેટલું છે તેનો પ્રશ્ન નથી, પરંતુ તમે શાને પ્રેમ કરો છો તેનો છે. આ તે છે જેના વિશે ઈસુ વાત કરી રહ્યા હતા. તમારું મન ઉપરની બાબતો પર કેન્દ્રિત હોવું જોઈએ. સ્વર્ગમાં ધન એકઠું કરો. તમે શું વિચારી રહ્યા છો, તમારું હૃદય ક્યાં છે તે તપાસો, જેથી તમે શાને પ્રેમ કરો છો તે શોધી શકો.
પછી ઈસુ માથ્થી 6:22 માં પૈસાના સંબંધમાં આંખ વિશે વાત કરે છે, "શરીરનો દીવો આંખ છે, એ માટે જો તમારી આંખ નિર્મળ હોય, તો તમારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે." આનો અર્થ એ છે કે તે એક પ્રશ્ન છે કે તમે પૈસાને કેવી રીતે જુઓ છો. જો તમારી આંખ ખરાબ હોય, તો તેનો અર્થ એ છે કે તમે પૈસાને ખૂબ જ મહત્વપૂર્ણ બાબત તરીકે જુઓ છો, પૃથ્વી પરના તમારા જીવન માટે સૌથી મહત્વપૂર્ણ, અને તમારું શરીર અંધકારથી ભરેલું હશે. "જો તમારામાં જે પ્રકાશ છે તે અંધકાર છે, તો તે અંધકાર કેટલો મોટો છે." એ વાત આશ્ચર્યજનક છે કે ઘણા લોકો જેમના બધા સિદ્ધાંતો સાચા છે, અને બીજાઓની નજરમાં સારા ખ્રિસ્તી છે, જેઓ નિયમિતપણે મંડળીની ભજનસેવાઓમાં જાય છે છતાં તેઓ પૈસાને ખૂબ પ્રેમ કરે છે. તેઓ અન્ય મૃત સંપ્રદાયોને પણ તુચ્છ ગણે છે, તે જાણ્યા વગર કે એ મૃત સંપ્રદાયોના લોકો પૈસાના પ્રેમથી તેમના કરતા વધુ મુક્ત છે, જેઓ નવા કરારની મંડળી હોવાનો દાવો કરે છે.
તમારી જાતને આના જેવા કેટલાક મૂળભૂત પ્રશ્નો પૂછો: શું તમને થોડા વધુ પૈસા મળે ત્યારે તમે ઉત્સાહિત થાઓ છો? શું તમે પૈસા ગુમાવો છો ત્યારે તમે હતાશ થાઓ છો? પછી તમે પૈસાને પ્રેમ કરો છો. જો આપણો આનંદ ફક્ત પ્રભુમાં હોય તો તે સંપૂર્ણપણે અપ્રભાવિત રહેશે. જો આપણો આનંદ પૃથ્વીની બાબતોમાં હોય, તો તે આપણી આવકમાં થતા ફેરફારોથી પ્રભાવિત થશે.
કોઈ પણ બે માલિકોની સેવા કરી શકતું નથી. "કાં તો તે એકને ધિક્કારશે અને બીજાને પ્રેમ કરશે." ઈસુ અહીં જે કહે છે તે ખૂબ જ ક્રાંતિકારી વાત છે, જેમ ઈસુ લૂક 14:26 માં પિતા, માતા, પત્ની, બાળકો, ભાઈઓ અને બહેનોને ધિક્કારવા વિશે વાત કરે છે. ઈસુ ક્રાંતિકારી હતા. ઈસુ કહે છે કે જો તમે ઈશ્વરને પ્રેમ કરવા માંગતા હો, તો તમારે પૈસાને ધિક્કારવો પડશે (માથ્થી 6:24). મેમન પૈસા, રિયલ એસ્ટેટ, શેર અને સ્ટોકનો ઉલ્લેખ કરે છે. ઈસુ કહે છે કે જો તમે ઈશ્વરને પ્રેમ કરવા માંગતા હો, તો તમારે તે બધાને ધિક્કારવા જોઈએ. તમે તેનો ઉપયોગ કરી શકો છો, પરંતુ ઈશ્વર માટેનો તમારો પ્રેમ એટલો સર્વોચ્ચ હોવો જોઈએ - સૂર્યના તેજના જેવો - કે પૈસામાં તમારો રસ અદૃશ્ય થઈ જાય જેમ તારાઓ દિવસના પ્રકાશમાં અદૃશ્ય થઈ જાય. જો તમારા માટે એવું ન હોય, તો તમે ઈશ્વરની સેવા કરી શકતા નથી.
ઈસુ કહે છે, "જો તમે એકને પકડી રાખો છો, તો તમે બીજાને ધિક્કારો છો." તે વાક્યમાં "ઈશ્વર” અને "મેમન" (સંપત્તિ અને તેનો લોભ) મૂકો અને તે આ રીતે વંચાશે: "કોઈ પણ વ્યક્તિ ઈશ્વર અને ભૌતિક વસ્તુઓ (ભૌતિક સંપત્તિ, પૈસા) ની સેવા કરી શકતું નથી. કાં તો તે પૈસાને ધિક્કારશે અને ઈશ્વરને પ્રેમ કરશે અથવા ઈશ્વરને ધિક્કારશે અને પૈસાને પ્રેમ કરશે." ઈસુના કહેવાનો અર્થ એ છે કે જે કોઈ પૈસાને પ્રેમ કરે છે, તે ઈશ્વરને ધિક્કારે છે. તમે કદાચ પહેલા તે જાણતા ન હોવ, પરંતુ હવે તમે જાણો છો. ઈસુ કહી રહ્યા છે કે જો તમે પૈસાને પ્રેમ કરો છો, તો તમે ઈશ્વરને ધિક્કારો છો. તમને લાગે છે કે તમે ઈશ્વરને ફક્ત એટલા માટે પ્રેમ કરો છો કારણ કે તમે તેમના માટેના ઘણા ગીતો ગાઓ છો, પરંતુ ઈસુ તે નથી ઇચ્છતા.
ઈસુ કહે છે કે જો તમે ઈશ્વરને પકડી રાખશો, તો તમે પૈસાને ધિક્કારશો, અને જો તમે પૈસાને પકડી રાખશો, તો તમે ઈશ્વરને ધિક્કારશો. તમારી પાસે પૈસા હોઈ શકે છે અને પૈસા કમાઈ શકો છો, પરંતુ જે ક્ષણે તમે તેને પ્રેમ કરવાનું શરૂ કરો છો, તે ક્ષણે તમે ઈશ્વરને ધિક્કારવા લાગો છો. ઈશ્વરે કદાચ તમને સારી નોકરી અથવા વારસો આપ્યો હશે જ્યાં તમારી પાસે ઘણા પૈસા હોય, અને તે સારું છે. પરંતુ જો તમે તેને પ્રેમ કરો છો, અને તેને પકડી રાખો છો, તો તમે ઈશ્વરને ધિક્કારશો અને તમે ઈશ્વરનો તિરસ્કાર કરશો. જો આપણે ઈશ્વરની વિશ્વાસુપણે સેવા કરવા માંગતા હોઈએ તો આને સમજવું અને યોગ્ય વલણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.