જ્યારે કોઈ દંપતી સાથે મળીને ઘર બાંધવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેઓ એક સમયે એક ઈંટ બાંધે છે. આ શારીરિક અને આત્મિક બંને રીતે સાચું છે. આપણે કઈ આત્મિક "ઈંટો" નો ઉપયોગ કરીએ છીએ?
આપણે એકબીજા પ્રત્યેના વિચારો અને એકબીજા સાથે જે શબ્દો બોલીએ છીએ તેને તે ઘરના બાંધકામમાં વપરાતી ઈંટો સાથે સરખાવી શકીએ છીએ. ફક્ત તમે જ નક્કી કરી શકો છો કે તમે તમારા પોતાના ઘરના બાંધકામમાં કયા પ્રકારની ઈંટોનો ઉપયોગ કરી રહ્યા છો. ઘણા યુગલો એવી ગુણવત્તાવાળી ઈંટોનો ઉપયોગ કરી રહ્યા છે, કે તેમના ઘર તૂટી જાય છે, તેમાં કંઈ નવાઈ પામવા જેવું નથી.
જ્યારે ભૌતિક ઘર બાંધવાની વાત આવે છે, ત્યારે આપણે ચકાસેલી ગુણવત્તાવાળી ઈંટોનો ઉપયોગ કરવામાં ખૂબ કાળજી રાખીએ છીએ કારણ કે આપણે લાંબા સમય સુધી ટકી રહે તેવું બાંધકામ ઇચ્છીએ છીએ. પણ ભૌતિક ઘરો સદાકાળ ટકતા નથી. તે એક દિવસ નાશ પામશે. આપણે જે વાસ્તવિક ઘર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તે આપણા જીવનસાથી સાથેનો સંબંધ છે જે આપણે અનંતકાળ માટે બાંધીએ છીએ. તો પછી તમારા સંબંધમાં વિચારો અને શબ્દોથી સાવધ રહો. તેમને એકબીજા પ્રત્યે શુદ્ધતા અને ભલાઈના વિચારો અને શબ્દો બનવા દો.
હિબ્રૂઓને પત્ર 12:15 કડવાશરૂપી જડ સામે ચેતવણી આપે છે. આ આપણા જીવનસાથી પ્રત્યે આપણા હૃદયમાં રચાઈ શકે છે. કલોસીઓને પત્ર 3:19 માં બાઈબલ પતિઓને પણ આદેશ આપે છે કે તેઓ પોતાની પત્નીઓ પ્રત્યે કઠોર ન થાય. હૃદયના કઠોર વિચારો અને વલણને મારી નાખવા જોઈએ. આપણા વિચાર-જીવનમાં, લોહીનું નિશાન હોવું જોઈએ - એક વધસ્તંભ જેના પર આપણે મરણ પામીએ છીએ. મારે પ્રેમહીન વિચારો, સ્વાર્થી વિચારો અને વિભાજનનું કારણ બનતા વિચારોને મારી નાખવાની જરૂર છે. ક્યારેય ભૂલશો નહીં કે શેતાન હંમેશા નજીક હોય છે, તે તેના પથરાં અને ઈંટો તમારા હાથમાં મૂકે છે, એવી આશામાં કે તમે તેનો ઉપયોગ તમારું ઘર બાંધવા માટે કરશો. આપણામાંથી જેઓ પરિણીત છે તેઓ જાણે છે કે આપણા જીવનસાથી પ્રત્યે કઠોર, સ્વાર્થી, કડવા, શંકાસ્પદ વિચારો આવે માટે કેવા પરીક્ષણો આવે છે. શેતાન સ્વાર્થની ઈંટો લાવે છે જેથી આપણે ફક્ત આપણા પોતાના હિતોનો વિચાર કરીને આપણું ઘર બાંધી શકીએ. તે તમારા જીવનસાથી પ્રત્યે શંકાની ઈંટો લાવે. શંકા પ્રત્યે મરણ પામો અને વિશ્વાસ કરવાનું શીખો. શંકાસ્પદ વિચારો એ સૌથી ખરાબ ઈંટો છે જે શેતાન લાવે છે.
તેવી જ રીતે, આપણે જે શબ્દો બોલીએ છીએ તે પણ એવી ઈંટો છે જેનાથી આપણે આપણું ઘર બાંધીએ છીએ. જો પરિણીત લોકો દ્વારા ઉચ્ચારવામાં આવેલા બધા શબ્દો ટેપ કરીને વગાડવામાં આવે (જે ખરેખર ન્યાયચુકાદાના દિવસે થશે), તો મને આશ્ચર્ય થાય છે કે આપણામાંથી કેટલા લોકોને તે સાંભળવામાં આનંદ થશે. અથવા આપણે છુપાઈ જવા માટે નાસી જઈશું? કેટલાક યુગલો માટે તે કેટલું અદ્દભૂત હશે જેમણે એકબીજા સાથે દયાળુ અને પ્રેમાળ શબ્દો વાપર્યા છે. ન્યાયચુકાદાના દિવસે આખી દુનિયા પણ તેમની વાતચીત સાંભળે એવો તેમનો ભરોસો હશે.
આપણે સંપૂર્ણ નથી, પરંતુ આપણે પોતાને નમ્ર બનાવવાનું, સારા શબ્દો બોલવાનું અને શેતાન દ્વારા આપણી જીભ પર મૂકેલા ખરાબ શબ્દોને મારી નાખવાનું શીખી શકીએ છીએ. પતિ-પત્ની એકબીજા સાથે બોલતા બધા મલિન શબ્દો વિશે વિચારો ('તમારા પિતા આવા હતા' અથવા 'તમારી બહેન આવી હતી' વગેરે). દુઃખની વાત છે કે ઘણા લોકો આવી ઈંટોથી પોતાના ઘર બાંધે છે. પરંતુ આવા દયનીય ધોરણ વચ્ચે, આપણે એક એવું ઘર બાંધવાની જરૂર છે જે ઈશ્વરને મહિમા આપે છે, ઈશ્વરે તેમના વચનમાં આપણને આપેલા નમૂના અનુસાર.
એફેસીઓને પત્ર 4:29 કહે છે, "તમારા મોંમાંથી કોઈ મલિન શબ્દ ન નીકળે.” મલિન શબ્દો સડેલી ઈંટો સમાન છે. જો આપણે, પતિ-પત્ની તરીકે, આ એક સરળ નિયમનું પાલન કરીએ: ફક્ત એવા શબ્દો બોલીએ જે ઉન્નતિને માટે આવશ્યક હોય - તો એક વર્ષમાં, આપણી પાસે વર્ષોથી બાંધેલા બધા સડેલા ઘરો કરતાં વધુ સારું ઘર હશે. તે ચોક્કસપણે આપણામાંના દરેક માટે એક શક્યતા છે. તમારા ઘરમાં બીજા કોઈની નિંદા કરવાનું પરીક્ષણ આવશે. પણ તે ફક્ત એક પરીક્ષણ છે. જો કોઈ તમારા ઘરની મુલાકાત લે, અને તમે ગપસપ કરવાનું શરૂ કરો, તો તમે સડેલી ઈંટોથી તમારું ઘર બાંધી રહ્યા છો. શેતાને તમને સડેલી ઈંટો સોંપી દીધી છે, અને તમે તેને સરળતાથી સ્વીકારી લીધી છે. તેને તમારા ઘરમાં એવું કરવા ન દો. જો તમે ઈશ્વરના માર્ગને ગંભીરતાથી અનુસરવાનું નક્કી કરો છો, તો તમારી પાસે સ્વર્ગીય ઘર હશે તેમાં કોઈ શંકા નથી.
પુનર્નિયમ 33:16 માં, ઈશ્વરને "ઝાડમાં રહેનાર" તરીકે ઓળખવામાં આવ્યા છે. તે નિર્ગમન 3 નો ઉલ્લેખ કરે છે જ્યાં ઈશ્વરે બળતા ઝાડવામાંથી મૂસા સાથે વાત કરી હતી. આ બાઈબલમાં ઉલ્લેખિત ઈશ્વરનું પ્રથમ નિવાસસ્થાન છે. શું તમે કલ્પના કરી શકો છો કે જ્યારે તે ઝાડવું સળગી રહ્યું હતું ત્યારે તેમાં કોઈ જંતુઓ અથવા બેક્ટેરિયા બચી ગયા હશે? આગ દરેક જંતુઓ અને બેક્ટેરિયાનો નાશ કરી દે છે. આપણને આપણા ઘરોમાં બધા જંતુઓ અને બેક્ટેરિયાનો નાશ કરવા માટે તે અગ્નિ - પવિત્ર આત્માની અગ્નિની જરૂર છે. હું કયા જંતુઓ અને બેક્ટેરિયાનો ઉલ્લેખ કરી રહ્યો છું? એકબીજા પ્રત્યેના આપણા અધર્મી વિચારો, આપણે જે કઠોર, મલિન શબ્દો બોલીએ છીએ, બિનજરૂરી ગપસપ વગેરે. જ્યારે આપણે પવિત્ર આત્મા પામીએ છીએ, જ્યારે પવિત્ર આત્માની અગ્નિ આપણા ઘરો પર હોય છે, ત્યારે આપણું ઘર જંતુમુક્ત હોય છે. આપણું ઘર ભૌતિક રીતે વ્યવસ્થિત ન હોય તો કોઈ વાંધો નથી, પરંતુ આપણા શબ્દો અને વિચારો સ્વચ્છ હોવા જોઈએ.
ઈશ્વર જેની કાળજી રાખે છે અને માણસ જેની કાળજી રાખે છે તેમાં આ તફાવત છે. ફરોશીઓ બહારથી શુદ્ધ રહેતા હતા, પણ ઈસુના શિષ્યો અંદરથી શુદ્ધ રહે છે. તેમના વિચારો અને શબ્દો યથાર્થ છે જેથી ઈશ્વર તેમના ઘરોમાં રહી શકે. જો આપણે આ માટે પ્રયત્ન કરીશું, તો આપણા ઘરો જૂના કરારના મંડપ જેવા હશે જ્યાં ઈશ્વરનો ગૌરવ ઉતર્યો હતો. જો આપણી પાસે આવા ઘણા ઘરો હોય તો તે અદ્દભૂત હશે. ઝાડવામાં રહેતા ઈશ્વર એવા ઘરમાં પણ રહેશે જેમાં તેમનો મહિમા થઈ શકે.