આપણે જેઓ મંડળીનું નેતૃત્વ કરીએ છીએ, તેમણે વધસ્તંભના માર્ગ પર ચાલીને આપણી મંડળીના બીજાઓ માટે ઉદાહરણ બનવું જોઈએ. ઈસુની જેમ આપણે તેમના આગેવાન નહિ પણ આપણે તેમના સેવક બનવાની ખૂબ ઇચ્છા રાખવી જોઈએ. ઈસુએ કહ્યું, “તમે જાણો છો કે વિદેશીઓ પર જેઓ રાજ્ય કરનારા કહેવાય છે, તેઓ તેમના પર ધણીપણું કરે છે. અને તેઓમાં જે મોટા તેઓ તેમના પર અધિકાર ચલાવે છે. પણ તમારામાં એમ નથી; પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો સેવક થાય. અને જે કોઈ પ્રથમ થવા ચાહે તે સહુનો દાસ થાય. કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, ને ઘણાંની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે.” (માર્ક 10:42-45).
આપણે ક્યારેય આપણાં હોદ્દા કે 'આગેવાન' તરીકેના કોઈપણ પદને પ્રેમ ન કરવો જોઈએ (માથ્થી 23:10). આપણે આપણી જાતને મંડળીના અન્ય ભાઈ-બહેનો કરતાં કોઈપણ રીતે મહાન હોવાની કલ્પના ન કરવી જોઈએ. હકીકતમાં, આપણને આદેશ આપવામાં આવ્યો છે કે આપણે મંડળીમાં બીજા બધાને આપણા કરતાં વધુ મહત્વપૂર્ણ માનીએ—વધુ આત્મિક નહિ (તે અશક્ય છે) પણ વધુ મહત્વપૂર્ણ ગણીએ. (ફિલિપીઓને પત્ર 2:3).
આપણે બીજાઓના આગેવાન બનતા પહેલા તેમના સાથી ભાઈ બનવું જોઈએ. પ્રેરિત યોહાન, 95 વર્ષની ઉંમરે મંડળીને લખતી વખતે, પોતાને કહે છે, "હું યોહાન, તમારો ભાઈ..." (પ્રકટીકરણ 1:9). ખેદજનક રીતે, ઘણા આગેવાનો પોતાને ફક્ત આગેવાન તરીકે જ ગણે છે. આપણે હંમેશા મંડળીમાં સામાન્ય ભાઈઓ તરીકે રહેવા માટે ઈશ્વર પાસેથી કૃપા માંગવી જોઈએ. અને જો આપણે આ રીતે જીવવું હોય, તો આપણે હંમેશા ઈશ્વર સાથે ગાઢ "મોઢામોઢ" ના સંબંધમાં રહેવું જોઈએ.
આત્મિક અધિકાર, ઈશ્વર દ્વારા આપવામાં આવ્યો હોવાથી, આપણે ક્યારેય બીજાઓ પર દાવો કરવો જોઈએ નહિ અથવા બીજાઓને આધીન થવા દબાણ કરવું જોઈએ નહિ. આપણે ક્યારેય બીજાઓને આપણી આજ્ઞાનું પાલન કરવા દબાણ કરવું જોઈએ નહિ, અને આપણે ક્યારેય કોઈની સાથે સંઘર્ષ કરવો જોઈએ નહિ (તિમોથીને બીજો પત્ર 2:24,25). જો ઈશ્વર આપણને ટેકો આપી રહ્યા છે, તો આપણે ક્યારેય આપણી સ્થિતિનો બચાવ કરવો પડશે નહિ, કારણ કે ઈશ્વર પોતે આપણો બચાવ કરશે અને આપણો અધિકાર સ્થાપિત કરશે. જો કે, જો કોઈ પોતે બીજાઓ પર પોતાનો અધિકાર સ્થાપિત કરવા માંગે છે, તો તે સ્પષ્ટ પુરાવો હશે કે તેનો અધિકાર ઈશ્વર દ્વારા આપવામાં આવ્યો નથી.
જ્યારે કોઈ આત્મિક આગેવાન પર હુમલો થાય કે તેની નિંદા કરવામાં આવે છે, ત્યારે તે ક્યારેય પોતાનો બચાવ કરતા નથી અથવા પોતાની જાતને સાચા સાબિત કરવાનો પ્રયત્ન કરતા નથી. બાઇબલ કહે છે, "ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેમને પગલે ચાલો, માટે તેમણે તમોને નમૂનો આપ્યો છે... તેમણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહિ. દુ:ખો સહન કરીને ધમકી આપી નહિ, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધા." (પિતરનો પહેલો પત્ર 2:21, 23).
ઈસુએ ક્યારેય માણસો પર પોતાનો અધિકાર સ્થાપિત કરવા માટે સંઘર્ષ કર્યો નહિ. તેમણે તેમનો બચાવ કરવા અને તેમને ન્યાયી ઠેરવવાનું કામ ઈશ્વર પર છોડી દીધું. આ તે માર્ગ છે જેમાં મંડળીના બધા આગેવાનોએ ચાલવું જોઈએ. જો આપણે પોતે ઈશ્વરના અધિકાર હેઠળ રહીએ, તો આપણે સુરક્ષિત રીતે આપણો પક્ષ ઈશ્વરના હાથમાં સોંપી શકીએ છીએ. આપણે બધી નિંદા, ટીકા અને આપણી પીઠ પાછળ થતી વાતોને અવગણી શકીએ છીએ, કારણ કે ઈશ્વરનું વચન છે કે તે પોતે આવા હુમલાઓ સામે પોતાના સેવકોનો બચાવ કરશે. આત્મિક આગેવાન પર હુમલો કરવા માટે બીજાઓ દ્વારા બનાવેલ કોઈ પણ શસ્ત્ર ક્યારેય સફળ થશે નહિ (યશાયા 54:17). મેં મારા જીવનમાં વારંવાર આની વાસ્તવિકતાનો અનુભવ કર્યો છે. આવા અનુભવો મેળવવાથી ધન્યતા મળે છે.
આજે મંડળી આવા આત્મિક વિચારો ધરાવતા આગેવાનોના અભાવને કારણે ખૂબ જ પીડાય છે. ઈસુએ એક વખત તેમની પાસે આવતા ટોળા તરફ જોયું અને તેમને તેમના પર ખૂબ દયા આવી. "લોકો પાળક વગરના ઘેટાં જેવા હતા અને તેમની સમસ્યાઓ એટલી બધી હતી કે તેઓ જાણતા ન હતા કે શું કરવું અથવા મદદ માટે ક્યાં જવું" (માથ્થી 9:36). આજે પણ પરિસ્થિતિ એવી જ છે. આપણને એવા આગેવાનોની સખત જરૂર છે જેમનામાં પાળકનું હૃદય અને સેવકની ભાવના હોય, એવા માણસો જે ઈશ્વરનો ભય રાખે અને તેમના વચનથી ધ્રૂજે—મંડળીઓમાંના જરૂરિયાતમંદ લોકોને મદદ કરે.
આપણે ક્યારેય લોકોને આપણા પ્રશંસક બનવા દેવા જોઈએ નહિ. નહિંતર તેઓ ક્યારેય ખ્રિસ્તને પોતાનું શિર ગણીને તેમની સાથેના વ્યક્તિગત સંબંધમાં વૃદ્ધિ પામશે નહિ. આપણે ક્યારેય કોઈને આપણી સાથે જોડવું જોઈએ નહિ. તેના બદલે, આપણે દરેકને ફક્ત ઈશ્વરના મુખ સમક્ષ રહેવા માટે વિનંતી કરવી જોઈએ. તેઓ જે કંઈ કરે છે તેમાં તેમણે આપણી મંજૂરી શોધવી જોઈએ નહિ. અને જો આપણે કોઈને આપણી સાથે જોડાતા જોઈએ, તો આપણે તેમને તાત્કાલિક દૂર કરવા જોઈએ. જ્યારે આપણે બીજાઓને સલાહ આપીએ છીએ, ત્યારે આપણે તેમને આપણી સાથે અસંમત થવાની અને તેઓને જે રીતે કરવું હોય તે રીતે કામ કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ. અને, પરિણામે, તેઓ કોઈ બાબતોમાં ગુંચવાઈ જાય, તો આપણે ઝડપથી તેમને મદદ કરવી જોઈએ, અને તેમને ક્યારેય એમ ન કહેવું જોઈએ કે, "મેં તમને કહ્યું હતું." એક ખરો આત્મિક આગેવાન આ રીતે પ્રતિક્રિયા આપશે.
"આત્માથી ભરપૂર થાઓ....અને ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો" (એફેસીઓને પત્ર 5:18,21).
ઈસુએ 30 વર્ષ સુધી પોતાના પૃથ્વી પરના સંજોગો અને પોતાના પૃથ્વી પરના માતાપિતાના અધિકારને આધીન રહીને આપણને નમૂનો આપ્યો છે. આ ક્ષેત્રોમાં વિશ્વાસુ રહ્યા પછી જ, તેમના પિતાએ તેમના બાપ્તિસ્મા વખતે તેમને આ પ્રમાણપત્ર આપ્યું: "આ મારો પ્રિય પુત્ર છે જેના પર હું પ્રસન્ન છું". આપણા આગેવાનો માટે પણ આ જ માર્ગ છે.
બાઇબલ કહે છે, "તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો; કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે [કામ] કરે, પણ શોકથી નહિ, કેમ કે એથી તમને ગેરલાભ થાય." (હિબ્રૂઓને પત્ર 13:17) . અને તે આદેશ આગેવાનો માટે પણ છે. ઈશ્વરે આપણને જે સંજોગોમાં રાખ્યા છે તેને આપણે આધીન થવું જોઈએ અને ઈશ્વરે આપણી ઉપર જે સત્તા સ્થાપી છે તેને પણ આપણે આધીન થવું જોઈએ — પછી ભલે તે જગતની હોય કે મંડળીની. પછી આપણે પણ ઈશ્વર પાસેથી આવી જ સાક્ષી મેળવી શકીએ છીએ — કે તે આપણાથી પ્રસન્ન છે.
આપણે ક્યારેય એવી ઈચ્છા ન રાખવી જોઈએ કે કોઈ આપણને આધીન રહે. જો આપણે આગેવાન છીએ એટલા માટે જ બીજાઓ આપણને આધીન રહે એવું ઇચ્છીએ છીએ, તો તે સૂચવે છે કે આપણે અસુરક્ષિત છીએ અને ખરેખર ઈશ્વરને ઓળખતા નથી—કારણ કે ઈશ્વર લોકોને તેમને આધીન રહેવાની અથવા તેમની વિરુદ્ધ બંડ કરવાની સ્વતંત્રતા આપે છે—અને આપણે ઈશ્વરથી મોટા નથી. તેથી આગેવાન તરીકે આપણને કોઈ આધીન રહે એવી માંગ કરવાનો કોઈ અધિકાર નથી. આપણને સેવા કરવા માટે તેડવામાં આવ્યા છે, આધીન કરવા માંગવા માટે નહિ.
આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણા વ્યક્તિત્વની શક્તિ દ્વારા આપણે કોઈને આધીન ન થવા દઈએ. એક મજબૂત મનના આગેવાન માટે પોતાના વ્યક્તિત્વની શક્તિથી મંડળીમાં બીજાઓ પર કાબૂ મેળવવો ખૂબ જ સરળ છે! તે દુષ્ટ બાબત છે. આવી આત્મા-શક્તિને મારી નાખવી જોઈએ. મંડળીમાં લોકોને આપણી સાથે અસંમત થવાની છૂટ હોવી જોઈએ. કોઈએ આપણાથી ડરવું જોઈએ નહિ. ઈસુએ પિતરને પણ તેમને ઠપકો આપવાની છૂટ આપી (માથ્થી 16:22). પોતાને પૂછો કે શું તમારા ભાઈઓ તમને ઠપકો આપવા માટે મુક્ત છે? જો નહિ, તો તમારે તમારી સ્વ બડાઈમાંથી મુક્તિ મેળવવાની અને ઈસુ જ્યારે આ પૃથ્વી પર ચાલ્યા હતા ત્યારે તે જેવા હતા તેવા પોતાને નમ્ર બનાવવાની જરૂર પડશે.
આપણે ક્યારેય મંડળીને સરમુખત્યારશાહીની જેમ ચલાવવી જોઈએ નહિ, જ્યાં ભાઈઓ અને બહેનો ઘણા નિયમો અને કાયદાના બોજ હેઠળ જીવે. તે મંડળીને એક કાયદેસર ક્લબ બનાવશે, જેમાં ખરેખર ઈશ્વરીય ભાઈઓ અને બહેનો ક્યારેય ઘર જેવું અનુભવશે નહિ. પરંતુ, તેના બદલે, દૈહિક 'જીહજૂરિયાઓને' (જેઓ ગર્ભિત રીતે તમારું પાલન કરે છે) શક્તિ મળશે. તે દુષ્ટ બાબત છે.
આપણે આપણી મંડળીમાં ઘણા નિયમો બનાવીને બીજાઓમાં પવિત્રતા ઉત્પન્ન કરી શકતા નથી. આપણે વચનનો ઉપદેશ આપવો જોઈએ, પરંતુ લોકોને ચોક્કસ રીતોનું પાલન કરવા દબાણ ન કરવું જોઈએ. જો લોકો ફક્ત આપણને ખુશ કરવા માટે, વ્યક્તિગત ખાતરી વિના, કંઈ કરે છે, તો તેમના કાર્યો ફક્ત મૃત કાર્યો જ રહેશે, ભલે તે કાર્યો માણસની નજરમાં "ન્યાયી" અને સારા લાગે.
મૃત કાર્યો એ કાર્યો છે જે લોકોને ખુશ કરવા અથવા પ્રભાવિત કરવા માટે કરવામાં આવે છે. પરંતુ બધા મૃત કાર્યો ઈશ્વર માટે અસ્વીકાર્ય છે. ઈશ્વર જે કાર્યો સ્વીકારે છે તે તે છે જે ફક્ત તેમને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. જો આપણે ભાઈઓ અને બહેનોને આવા કાર્યો કરવા માટે દોરીએ છીએ, તો તેમને મુક્ત રાખવા જોઈએ—જેમ ઈશ્વરે પોતે આદમ અને હવાને એદન વાડીમાં સ્વતંત્ર છોડી દીધા હતા તે પ્રમાણે. ખરી પવિત્રતા ફક્ત ઈશ્વરના ભયમાં જ પૂર્ણ થઈ શકે છે (કરિંથીઓને બીજો પત્ર 7:1), અને કોઈ મંડળીના આગેવાનના ભય દ્વારા નહિ.
જો ઈશ્વર તમારી મંડળીમાં નાના ભાઈઓને સેવાના સ્થળે ઊભા કરે છે, જ્યાં લોકોને તમારા કરતાં તેમના પર વધુ વિશ્વાસ હોય, તો તમારે આને ઈશ્વરના કાર્ય તરીકે સ્વીકારવું જોઈએ, અને કૃપા કરીને આવા અભિષિક્ત નાના ભાઈઓને મંડળીમાં પ્રાધાન્ય આપવું જોઈએ. નહિંતર તમે તમારી જાતને ઈશ્વર સામે લડતા જોશો.
જો તમે પૃથ્વી પરના પ્રેમાળ પિતા છો, તો તમે ચોક્કસપણે ઈચ્છશો કે તમારા બાળકો તમારા કરતા વધુ શિક્ષણ મેળવે. એક ખરા આત્મિક પિતાની પણ આવી જ ઝંખના હશે—કે તેમના આત્મિક બાળકો આત્મિક રીતે તેનાથી આગળ વધે. જો તમે જેમની સેવા કરો છો તેમના માટે આવી ઝંખના ન હોય, તો તમે આત્મિક પિતા નથી. તો તમે આગેવાન બનવા માટે અયોગ્ય છો. પછી તમે તમારા વિસ્તારમાં ખ્રિસ્તના શરીરના નિર્માણમાં અવરોધ બનશો.
જે આગેવાનો સત્તાવાદી વલણ ધરાવે છે અને જેઓ મંડળીમાં તેમના મિત્રો પ્રત્યે પક્ષપાત બતાવે છે તેઓ કલ્પના કરી શકે છે કે તેઓ આવા પાપી વર્તન માટે ઈશ્વરના ન્યાયચુકાદાથી બચી ગયા છે. પરંતુ ઈશ્વર દરેક બાબતની નોંધ લે છે અને આવી બાબતોની સચોટ નોંધ રાખે છે. તેમના નિયત સમયે, તે આવા અવિશ્વાસુ આગેવાનોનો સખત ન્યાય કરશે. પછી દરેક વ્યક્તિ જોશે કે ઈશ્વર એવા આગેવાનને પણ છોડતા નથી જે દંભી છે, અથવા જે પોતાના ટોળાના માલિક બને છે, અથવા જે બીજાઓ પર કઠોરતાથી શાસન કરે છે, વગેરે. ઈશ્વર કોઈ પક્ષપાત કરતા નથી! તેથી, "જે કોઈ વિચારે છે કે તે ઊભો છે તેણે ધ્યાન રાખવું જોઈએ કે તે પડી ન જાય" (કરિંથીઓને પહેલો પત્ર 10:12).
હિબ્રૂઓને પત્ર 12:26-28 આપણને કહે છે કે “ઈશ્વર કંપાયમાન થયેલી વસ્તુઓનો સૃષ્ટ વસ્તુઓની જેમ નાશ કરે છે કે, જેથી જેઓ કંપાયમાન થયેલી નથી, તેઓ કાયમ રહે”
આપણી આસપાસ, ખ્રિસ્તી જગતમાં, આપણે મહાન પ્રચારકોને પાપમાં પડતા જોઈએ છીએ, અને જે મંડળીઓ નવા કરારના નમૂનાને અનુસરતી હોય તેવું લાગતું હતું, તેઓ વિભાજિત થઈ રહી છે અને પાયામાંથી હચમચી રહી છે. જો આપણે ખ્રિસ્તના દેહને આજના સમયમાં ચાલી રહેલી આ બધી ઉથલપાથલની વચ્ચે અટલ બાંધવો હોય—એક બાજુ ખ્રિસ્તી જગતમાં જોવા મળતી સાંસારિકતા અને બાંધછોડની વચ્ચે, અને બીજી બાજુ જોવા મળતા કાયદાવાદ અને ફરોશીવાદની વચ્ચે—તો આપણે ઈશ્વરની સેવા "આદરભાવથી તથા ભય સાથે કરવી જોઈએ—કેમ કે આપણા ઈશ્વર ભસ્મ કરી નાખનાર અગ્નિ છે" (હિબ્રૂઓને પત્ર 12:29).
આપણે આપણા જીવનના અંત સુધી, દરેક સમયે નમ્રતાના માર્ગ પર ચાલીએ. આમીન.