written_by :   Zac Poonen categories :   The Church Knowing God Disciples
WFTW Body: 

"તમે જગતનું મીઠું છો" (માથ્થી 5:13). ઈસુએ આ વાત લોકોની ભીડને કહી ન હતી. યાદ રાખો કે પહાડ પરનો ઉપદેશ મુખ્યત્વે તેમના શિષ્યો માટે હતો અને લોકો આસપાસ બેસીને સાંભળતા હતા. આ લોકોની ભીડ ચોક્કસપણે જગતનું મીઠું નથી - તેમની પાસે કોઈ મીઠું નથી. પરંતુ શિષ્યો જગતનું મીઠું બનવાના હતા. ઈસુ શબ્દ ચિત્રોનો ઉપયોગ કરવામાં માહેર હતા, અને પવિત્ર આત્માની પ્રેરણા અને પ્રકટીકરણ દ્વારા તેમની પાછળનો અર્થ સમજવાનું તેમણે આપણા પર છોડી દીધું. "તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું બેસ્વાદ થયું હોય તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે બીજા કંઈ કામનું નથી.”

તે આ ચિત્રનો ઉપયોગ આપણને બતાવવા માટે કરી રહ્યા છે કે તેમના શિષ્યો હંમેશા સંખ્યામાં ઓછા રહેશે. જો તમારી પાસે ભાત અને દાળની પ્લેટ હોય, તો તમે ભાત અને દાળની આખી પ્લેટમાં કેટલું મીઠું નાખવાના છો? તમે અડધી ચમચી પણ નહીં નાખો. આખી પ્લેટનો સ્વાદ યોગ્ય બનાવવા માટે તમારે ખૂબ જ ઓછા મીઠાની જરૂર છે. પરંતુ જો મીઠું બેસ્વાદ હોય, તો ભલે તમે તેમાં 20 ચમચી નાખો, તો પણ સ્વાદમાં કોઈ ફરક પડવાનો નથી. તેથી મુદ્દો જથ્થાનો નથી, પરંતુ ગુણવત્તાનો છે. જ્યારે ઈસુ કહે છે, "જો મીઠું બેસ્વાદ થયું હોય" (માથ્થી 5:13), ત્યારે તે મીઠાના જથ્થા વિશે બિલકુલ વાત કરી રહ્યા નથી.

ખોરાકની તુલનામાં મીઠાના જથ્થાનું પ્રમાણ એ જગત પરના ખરા શિષ્યોના પ્રમાણ જેટલું જ છે જે વિશ્વની વસ્તી (અને ક્યારેક મંડળીમાં લોકોની સંખ્યા પણ!) ની તુલનામાં છે. ખરા શિષ્યો ખૂબ ઓછા છે.

પરંતુ ફક્ત તે જ ખરા શિષ્યો છે જેમને જગતનું મીઠું કહેવામાં આવે છે. તેમના કારણે જ જગત ન્યાયચુકાદાથી બચી ગયું છે. ઈબ્રાહિમે એકવાર ઈશ્વરને સદોમના દુષ્ટ શહેર વિશે પ્રાર્થના કરી હતી, જેના વિષે ઈશ્વરે કહ્યું હતું કે તે તેનો નાશ કરશે. તેણે ઈશ્વરને પૂછ્યું (શું તે હજુ પણ તેનો નાશ કરશે તે અંગે), "ધારો કે પ્રભુ, તમને સદોમમાં ફક્ત દસ ન્યાયી લોકો મળે તો?" (ઉત્પત્તિ 18:32 ), યહોવાએ કહ્યું, “જો તે શહેરમાં દસ ન્યાયી લોકો મળશે તો પણ હું સદોમનો નાશ કરીશ નહિ.” શહેરને નાશ પામવાથી બચાવવા માટે દસ લોકો પૂરતા હતા, પરંતુ ત્યાં દસ પણ નહોતા, તેથી તે નાશ પામ્યું.

યર્મિયાના સમયમાં, યહોવાએ તે સંખ્યાને વધુ ઘટાડી દીધી. યર્મિયા એવા સમયે પ્રબોધવાણી કરી રહ્યો હતો જ્યારે ઈઝરાયલને બાબિલના રાજા દ્વારા બંદીવાન બનાવવામાં આવવાનું હતું (તે ઈશ્વરની સજા હતી), પરંતુ તે પહેલાં, યર્મિયા પ્રબોધવાણી કરવા ગયો. તેણે 40 વર્ષ સુધી તેમને ઉપદેશ આપ્યો અને ચેતવણી આપી, પરંતુ તેઓએ તેનું સાંભળ્યું નહીં. યહોવાએ યર્મિયાને કહ્યું, “યરૂશાલેમના મહોલ્લાઓમાં આમતેમ ફરો, અને જુઓ ને જાણો, ને તેના ચોકોમાં શોધો, ન્યાય કરનાર અને સત્યને માર્ગે ચાલનાર એવો કોઈ પુરુષ મળે, એવો એક પણ હોય, તો હું તેને ક્ષમા કરીશ” (યર્મિયા 5:1). તે આશ્ચર્યજનક છે, પરંતુ એક પણ ન્યાયી માણસ નહોતો, અને તેથી આખું શહેર બંદીવાન થઈ ગયું.

ઘણી વાર ઈશ્વર આ રીતે આસપાસ જુએ છે. બાબિલના સમયમાં હઝકિયેલ પણ એક પ્રબોધક હતો અને ઈશ્વરે હઝકિયેલ દ્વારા કહ્યું, "તેઓની અંદર મેં એવો માણસ શોધ્યો કે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે છીંડામાં ઊભો રહીને મને તેનો નાશ કરતાં વારે; પણ મને એવો એકે માણસ મળ્યો નહિ” (હઝકિયેલ 22:30). ઈશ્વર એ જ શબ્દો બોલ્યા: ગુણવત્તા, જથ્થો નહીં. તે 10,000 લોકોની ભીડની શોધમાં ન હતા. પણ તે એક માણસની શોધમાં હતા.

જો એક માણસ ખરા હૃદયવાળો અને સુધારાવાદી હોય તો ઈશ્વર શું કરી શકે છે તે આશ્ચર્યજનક છે. મૂસાનો વિચાર કરો - જૂના કરારમાં એક માણસ જેના દ્વારા ઈશ્વર 20 લાખ ઈઝરાયલીઓને બચાવી શક્યા. ઈઝરાયલમાં બીજો કોઈ એવો નહોતો જે આગેવાન બનવા માટે યોગ્ય હોય. એલિયાના સમયમાં, ભલે 7000 લોકો બાલ (7000 વિશ્વાસીઓનું ચિત્ર જે મૂર્તિઓની પૂજા કરતા નથી) ને ઘૂંટણિયે ન નમ્યા, પણ ફક્ત એક જ માણસ (એલિયા) હતો જે સ્વર્ગમાંથી અગ્નિ નીચે લાવી શકતો હતો. આજે પણ એ જ પ્રમાણ છે. 7000 વિશ્વાસીઓમાંથી તમને કદાચ એક જ વિશ્વાસી મળશે જે તેમના સેવાકાર્ય અથવા પ્રાર્થના દ્વારા સ્વર્ગમાંથી અગ્નિ નીચે લાવી શકે.

7000 લોકો કહેશે, "હું આ કરતો નથી, અને હું તે કરતો નથી." તેમની સાક્ષી નકારાત્મક છે! "હું ફિલ્મો જોતો નથી, હું પીતો નથી, હું જુગાર રમતો નથી અને હું સિગારેટ પીતો નથી." તેઓ બાલની પૂજા કરતા નથી, પરંતુ સ્વર્ગમાંથી અગ્નિ કોણ નીચે લાવી શકે છે? જે ઈશ્વરની સમક્ષ રહે છે, જેમ કે એલિયા; એલિયા પાસે મીઠું હતું.

નવા કરારમાં પણ એવું જ છે. શું તમે કલ્પના કરી શકો છો કે જો પ્રેરિત પાઉલનું અસ્તિત્વ ન હોત તો મંડળીને કેટલું નુકસાન થયું હોત અને આપણે કેટલું નુકસાન સહન કર્યું હોત? શાસ્ત્રમાં કેટલું બધું ઓછું હોત? તે એક માણસ હતો! અલબત્ત, એક માણસ નિષ્ફળ જવાને કારણે ઈશ્વરનું કાર્ય અવરોધાય નહીં (ઈશ્વર બીજા કોઈનો ઉપયોગ કરી શક્યા હોત), પરંતુ આપણે શાસ્ત્રમાં જે જોઈએ છીએ તે એ છે, કે 10,000 સમાધાન કરનારાઓ કરતા એક ખરા હૃદયવાળા વ્યક્તિ દ્વારા ઈશ્વર હંમેશા વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, "તમે મીઠા સમાન છો." ક્યારેય ફરિયાદ ન કરો કે, "અમે ઘણા ઓછા છીએ!"