WFTW Body: 

શું તમે તેમના સામર્થ્યની મહાનતા જોઈ છે જે તે આપણામાં પ્રગટ કરી શકે છે? આ જગતમાં ઈશ્વરે અત્યાર સુધી જે મહાન સામર્થ્ય પ્રગટ કર્યું છે તે સર્જન કરવામાં નહીં, પરંતુ ઈસુના પુનરુત્થાનમાં હતું (એફેસીઓને પત્ર 1:20).

આપણે આપણી આસપાસના જગતમાં જે જોઈએ છીએ તે પહેલું સર્જન છે. ઈસુના પુનરુત્થાનમાં, બીજું સર્જન, નવું સર્જન શરૂ થયુ. નવું સર્જન જૂના સર્જન કરતાં વધુ સામર્થ્યવાન છે. ઉત્પત્તિ 1 માં તમે જે વાંચો છો તેના કરતાં યોહાન 20 માં તમે જે વાંચો છો તે વધુ સામર્થ્યવાન છે. ખ્રિસ્તનું પુનરુત્થાન આ જગતમાં જોવા મળતા સામર્થ્યની સૌથી મોટી અભિવ્યક્તિ હતી. નૈતિક સામર્થ્ય ભૌતિક સામર્થ્ય કરતાં મોટું છે.

પાઉલ પ્રાર્થના કરે છે કે આપણને એ હકીકતનો મર્મ સમજાય કે ઈશ્વર ઈચ્છે છે કે આપણે તે સામર્થ્યનો અનુભવ કરીએ. ઈશ્વર ઈચ્છે છે કે આપણે પહેલા આપણા આંતરિક જીવનમાં તે સામર્થ્યનો અનુભવ કરીએ. પછીથી એક દિવસ આપણે તેને આપણા શરીરમાં પણ અનુભવીશું. ઈશ્વરનું કાર્ય હંમેશા અંદરથી શરૂ થાય છે. એક દિવસ આપણે આપણા શરીરમાં ખ્રિસ્તના પુનરુત્થાનના સામર્થ્યનો અનુભવ કરીશું. આજે, ઈશ્વર ઈચ્છે છે કે આપણે આપણા આત્મામાં તે પુનરુત્થાનના સામર્થ્યનો અનુભવ કરીએ. પુનરુત્થાનનું સામર્થ્ય એવું સામર્થ્ય છે જે આપણને આત્મિક મરણમાંથી ઉઠાડશે. પાપનો નિયમ આપણને આત્મિક મરણ તરફ લઈ જાય છે. પુનરુત્થાનનું સામર્થ્ય આપણને તેની સામે ઉઠાડશે.

પુનરુત્થાનનું સામર્થ્ય, આપણને પાપના નિયમમાંથી ઉઠાડે છે, જે ગુરુત્વાકર્ષણના નિયમ વિરુદ્ધ પુસ્તક ઉપાડવા (જે તેને નીચે ખેંચવાનો પ્રયાસ કરે છે) જેવું છે. પુનરુત્થાનનું સામર્થ્ય આપણને સ્વર્ગીય સ્થાનો સુધી ઉંચકી લેશે. આપણે એફેસીઓને પત્ર 2:1-6 માં વાંચીએ છીએ કે જ્યારે આપણે આપણા પાપોમાં મરણ પામ્યા હતા, ત્યારે આ સામર્થ્યએ આપણને ઉઠાડ્યા અને સ્વર્ગીય સ્થાનોમાં ખ્રિસ્ત સાથે બેસાડ્યા (એફેસીઓને પત્ર 2:6). કેટલાકને લાગે છે કે આ કાલ્પનિક, ચિત્રો દ્વારા દર્શાવવામાં આવતી ભાષા છે. પરંતુ એવું નથી. તે ખરેખર સાચું છે. જો તમે માનતા નથી કે આ સાચું છે, તો તમને આનો કોઈ લાભ ક્યારેય મળશે નહીં - કારણ કે આપણે આપણા વિશ્વાસના માપ પ્રમાણે પ્રાપ્ત કરીએ છીએ. ઈશ્વર સાચા રહો અને દરેક માણસ જૂઠો રહે. આપણી બધી લાગણીઓ ભ્રામક છે. આપણી દ્રષ્ટિ પણ આપણને છેતરી શકે છે.

બે નાના છોકરાઓ સૂર્યાસ્ત જોતા હોવાની એક વાર્તા છે. મોટા છોકરો જે લગભગ 12 વર્ષનો હતો તેણે કહ્યું, “જો, સૂર્ય ફરે છે. સવારે પૂર્વમાં ફરતો હતો, હવે પશ્ચિમમાં છે.” નાનો છોકરો જે ફક્ત 6 વર્ષનો હતો તેણે કહ્યું, “ના. તને યાદ છે પપ્પાએ આપણને શું કહ્યું હતું. સૂર્ય ફરતો નથી. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે.” મોટા છોકરાએ કહ્યું, “હું જે જોઉં છું અને જે અનુભવું છું તેના પર હું વિશ્વાસ કરું છું. મેં સૂર્યને પૂર્વમાં જોયો અને હવે તે પશ્ચિમમાં છે. અને પૃથ્વી મારા પગ નીચે ફરતી હોય તેવું મને નથી લાગતું. તે સ્થિર હતી.” નાના છોકરાએ કહ્યું, “હું પપ્પા પર વિશ્વાસ કરું છું.”

કોણ સાચું હતું - જે પોતાના પિતા પર વિશ્વાસ કરતો હતો તે, કે તે જેણે જે જોયું અને અનુભવ્યું તેના પર વિશ્વાસ કરતો હતો? ઘણા ખ્રિસ્તીઓ પણ તેઓ જે જુએ છે અને અનુભવે છે તેના દ્વારા જીવે છે. પરંતુ આપણી ઈન્દ્રિયો આપણને છેતરી શકે છે. તેથી હું મારા સ્વર્ગીય પિતા પર વિશ્વાસ કરું છું; અને તે જે કહે છે તે હંમેશા સાચું છે, ભલે હું તેને જોઈ શકતો નથી કે અનુભવી શકતો નથી.

તો હું ઈશ્વર જે કહે છે તે માનું છું કે મને ઉઠાડીને ખ્રિસ્તમાં સ્વર્ગીય સ્થાનોમાં બેસાડવામાં આવ્યો છે. મને મારી લાગણીઓ શું કહે છે તેની પરવા નથી. હું જાણું છું કે મારી લાગણીઓ મારી દ્રષ્ટિ જેટલી જ ભ્રામક છે. મેં જોયું છે કે જ્યારે હું મારા સ્વર્ગીય પિતા જે કહે છે તે માનું છું, ત્યારે મારા જીવનમાં બધું બરાબર થાય છે. જ્યારે આપણે આપણા સ્વર્ગીય પિતાને માનતા નથી, ત્યારે આપણને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અહીં આપણને કહેવામાં આવ્યું છે કે આ અદ્ભુત પુનરુત્થાનનું સામર્થ્ય બધા લોકો માટે ઉપલબ્ધ નથી, પરંતુ ફક્ત તે લોકો માટે છે જેઓ વિશ્વાસ કરે છે. જો તમે આની પર વિશ્વાસ કરતા નથી, તો તમે આ સામર્થ્યનો અનુભવ કરી શકશો નહીં. ઈસુએ થોમાને કહ્યું, "જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે" (યોહાન 20:29). હું તેમાંથી એક છું.