આપણે માથ્થી 5:42 માં વાંચીએ છીએ કે, “તારી પાસે જે ઉછીનું લેવા ઈચ્છે છે તેનાથી મોં ન ફેરવ.” ક્યારેક આપણે શાસ્ત્રની સરખામણી શાસ્ત્ર સાથે કરીને બાબતોને વધુ સારી રીતે સમજીએ છીએ, તેથી આ કલમને શ્રેષ્ઠ રીતે સમજવા માટે આપણે એક સમાંતર ફકરો જોવો જોઈએ. ઈસુએ લૂક 6:35 માં કહ્યું હતું, “પાછું લેવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો/કચવાયા વગર ઉછીનું આપો.”
મને યાદ છે કે એક ભાઈ મારી પાસે આવ્યો અને કહ્યું કે તેણે આ બીજા ભાઈને ત્રણ હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા જેણે કહ્યું હતું કે તે તે પરત કરશે. ઘણો સમય વીતી ગયો હતો અને તેણે હજુ સુધી તે પાછા આપ્યા ન હતા. મેં આ ભાઈને કહ્યું કે તેણે પોતે જ શાસ્ત્રનો અનાદર કર્યો છે, કારણ કે શાસ્ત્ર કહે છે કે “પાછું લેવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો.” જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો છો, તેઓને જો તમે ઉછીનું આપો, તો તેમાં તમારી મહેરબાની શાની? કેમ કે પાછું લેવા માટે પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે (લૂક 6:34). પરંતુ જ્યારે તમે એક વિશ્વાસી તરીકે ઉધાર આપો છો ત્યારે તમારે અલગ હોવું જોઈએ - પાછું લેવાની આશા રાખશો નહીં.
ઈસુનો કહેવાનો અર્થ એ હતો કે તમારે ફક્ત એટલી રકમ ઉછીની આપવી જોઈએ જેટલી તમે ભેટ તરીકે આપી શકો. તેથી, મેં આ ભાઈને કહ્યું કે જ્યારે આ બીજા ભાઈએ ઉધાર માંગ્યું ત્યારે તેણે કદાચ ત્રણ હજાર રૂપિયા ઉછીના ન આપવા જોઈતા હતા. તેણે કહેવું જોઈતું હતું કે, "માફ કરશો, હું તમને ત્રણ હજાર રૂપિયા આપી શકતો નથી, પણ હું તમને 500 આપી શકું છું." બીજા શબ્દોમાં કહીએ તો, ફક્ત એટલા જ પૈસા ઉછીના આપો જે તમને ફરી ક્યારેય પાછા ન મળે તો તમને વાંધો ના હોય. તેને ભેટ તરીકે માનો, અને જો તે તે પરત ન કરે, તો કંઈ વાંધો નહિ. પરંતુ જો તમે તે ન કર્યું, તો તમે શાસ્ત્રનો અનાદર કર્યો છે. આપણે આ બાબતોમાં ભાવના સમજવાની જરૂર છે.
જ્યારે ઈસુએ કહ્યું, "તારી પાસે જે ઉછીનું લેવા ઈચ્છે છે તેનાથી મોં ન ફેરવ" ત્યારે તેનો અર્થ શું હતો? જ્યારે હું એક યુવાન ખ્રિસ્તી હતો, ત્યારે હું નૌકાદળના અધિકારી તરીકે ઘણા પૈસા કમાઈ રહ્યો હતો (મારી જરૂરિયાત કરતાં ઘણા વધારે) અને મારી પાસે બચાવવા માટે પુષ્કળ પૈસા હતા. મંડળીમાં એક ગરીબ ભાઈ હતો જે આ જાણતો હતો અને મારી પાસે આવીને પૈસા ઉછીના માંગતો હતો. મેં પૂછ્યું કે તેને કેટલા પૈસા જોઈએ છે અને તે એક મહિનામાં તે પાછા આપવા સંમત થયો. બીજો મહિનો આવ્યો અને તે મારી પાસે આવ્યો અને કહ્યું કે તે હજુ પણ ઉધાર લીધેલા પૈસા પાછા આપી શકતો નથી અને તેણે વધુ પૈસા માંગ્યા, તેથી મેં તેને વધુ પૈસા આપ્યા. મારા મનમાં આ કલમ હતી, "તારી પાસે જે ઉછીનું લેવા ઈચ્છે છે તેનાથી મોં ન ફેરવ" અને મેં તેને મહિનાઓ સુધી પૈસા આપવાનું ચાલુ રાખ્યું. હું ફક્ત એ વિચારીને ચૂપ રહ્યો કે હું શાસ્ત્રનું પાલન કરી રહ્યો છું. હું એક યુવાન, નવો બાપ્તિસ્મા પામેલો ખ્રિસ્તી હતો અને જ્યાં સુધી હું સમજતો હતો ત્યાં સુધી હું શાસ્ત્રમાં કહેલી વાત કરી રહ્યો હતો, પરંતુ થોડા સમય પછી આ પૈસા લેનાર વ્યક્તિ વિશ્વાસમાંથી પાછો પડી ગયો અને દારૂ પીવા અને અન્ય ખરાબ ટેવોમાં લાગી ગયો. જ્યારે મેં તે સાંભળ્યું, ત્યારે મેં તેને લખ્યું કે જો તે પૈસાનો ઉપયોગ દારૂ ખરીદવા અને શેતાનના રાજ્યને નાણાં પૂરા પાડવા માટે કરે છે, તો તેણે મને પૈસા પાછા આપવા જોઈએ કારણ કે આ પૈસા ઈશ્વરના રાજ્ય માટે વાપરવાના હતા. તે મારા પર ખૂબ ગુસ્સે થયો અને તેણે કહ્યું કે મૃતપાય સંપ્રદાયો પણ મારા જેવી માંગણીઓ કરતા નથી.
અને પ્રભુએ મને તે ભૂલી જવાનું કહ્યું. મેં તેને ક્યારેય જવાબ આપ્યો નહીં અને મને ક્યારેય પૈસા પાછા મળ્યા નહીં. મેં વિચાર્યું, "પ્રભુ, મેં શું ખોટું કર્યું? મેં તમારા શાસ્ત્રનું પાલન કર્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, 'તારી પાસે જે ઉછીનું લેવા ઈચ્છે છે તેનાથી મોં ન ફેરવ’” અને પ્રભુએ મને કંઈક એવું શીખવ્યું જેણે આ લગભગ 50 વર્ષો દરમિયાન મને મદદ કરી છે. એટલે કે, તમારે શાસ્ત્રની સરખામણી શાસ્ત્ર સાથે કરવી જોઈએ. પ્રભુએ મને બતાવ્યું કે મેં તે પૈસાને મારા પોતાના તરીકે ગણ્યા છે. એક શાસ્ત્રમાં કહ્યું હતું કે જે માંગે છે તેને મારે ઉછીનું આપવું જોઈએ, પરંતુ બીજું એક શાસ્ત્ર છે જે કહે છે કે મારી પાસે જે કંઈ છે તે મારું નથી - પૃથ્વી પરનું બધું પ્રભુનું છે. "કેમ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે" (કરિંથીઓને પહેલો પત્ર 10:26). તેથી જ્યારે મને એવો પગાર મળે છે જે મને મારો લાગે છે, ત્યારે મારે સમજવું પડે છે કે તે મારો નથી; મારે તેનો ત્યાગ કરવો જોઈએ. મારે તે પ્રભુને આપવો જોઈએ. ભલે હું મહિનાની પહેલી તારીખે મારો પગાર એકત્રિત કરું અને તે મારા બેંક ખાતામાં હોય, મારે જાણવું જોઈએ કે તે મારા પૈસા નથી; તે ઈશ્વરના પૈસા છે.
તે સમયે મને એક ઉદાહરણ યાદ આવ્યું: જો કોઈએ મને 5000 રૂપિયા રાખવા અને પછી પાછા આપવા માટે આપ્યા હોય, અને તે સમયે બીજો કોઈ મારી પાસે આવે અને કહે કે તેણે સાંભળ્યું છે કે મારી પાસે 5000 રૂપિયા છે અને તે મારી પાસે 3000 રૂપિયા ઉછીના માંગે છે, તો હું શું કહીશ? હું કહીશ, "માફ કરશો ભાઈ; તે મારા પૈસા નથી, તે બીજા કોઈના છે. તેમણે મને ફક્ત તે પૈસા તેના માટે રાખવા કહ્યું છે. મને તેના વિશે પૂછવા દો અને જો તે મને તે તમને આપવાની પરવાનગી આપે, તો હું તે તમને આપીશ." આ પરિસ્થિતિને સંભાળવાનો આ રસ્તો જ યોગ્ય હશે કારણ કે તે મારા પૈસા નથી. જો મેં મારા પગારને ઈશ્વરના પૈસા તરીકે ગણ્યો હોત, તો હું તે આટલી સરળતાથી ન આપી દેત. જ્યારે તે ભાઈ મારી પાસેથી ઉધાર લેવા આવે, ત્યારે હું કહેતો, "હા, ઠીક છે; મારા માટે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ઉધાર આપવું યોગ્ય છે, પણ મને જેના પૈસા છે તેને (આ કિસ્સામાં, પ્રભુ) પૂછવા દો. હું તે પ્રભુ પાસે લાવીને કહેત, 'પ્રભુ, શું તમે ઈચ્છો છો કે હું તે આ વ્યક્તિને આપું?'" અને કદાચ પ્રભુએ હા કે ના કહ્યું હોત.
ઈશ્વર બોલે છે; તે એક જીવંત ઈશ્વર છે. કદાચ પહેલી વાર તે હા કહેશે, અને બીજી વાર તે કદાચ ના કહેશે, પણ મેં સાંભળવાની રાહ જોઈ નહીં. મેં નિયમના અક્ષરો વાંચ્યા અને હું ગુલામીમાં આવી ગયો, પણ મને ખૂબ આનંદ છે કે મેં મારા જીવનની શરૂઆતમાં જ શાસ્ત્રનું પાલન કરવાનો પાઠ શીખ્યો - "તે લખેલું છે" અને "તે પણ લખેલું છે." સમજવા માટે મારે શાસ્ત્ર અને શાસ્ત્રનું સંતુલન બનાવવાની જરૂર છે. આજે જે કોઈ મારી પાસેથી માંગે છે તેને હું ઉધાર આપવા તૈયાર છું, જેમ અહીં કહ્યું છે. પરંતુ હું એ પણ સ્વીકારવા માંગુ છું કે મારી પાસે જે કંઈ છે તે પ્રભુનું છે, તેથી હું પ્રભુને પૂછ્યા વિના તે આપી શકતો નથી અને જ્યારે લોકો મારી પાસે આવ્યા અને મારી પાસે પૈસા માંગ્યા ત્યારે મેં તે જ પ્રમાણે કર્યું. હવે હું કહું છું, "મને પ્રભુને પૂછવા દો; જો મારા આત્મામાં સ્વતંત્રતા હશે, તો હું તે તમને આપીશ." અને એવા સમય છે જ્યારે મેં આપ્યું છે અને મને તે ક્યારેય પાછું મળ્યું નથી, અને એવા સમય છે જ્યારે મેં આપ્યું નથી કારણ કે પ્રભુએ મને આપવાની સ્વતંત્રતા આપી નહીં, પરંતુ મારું હૃદય તૈયાર હતું.
આ એક એવું ઉદાહરણ છે જ્યાં આપણે ઈસુએ આ બધી વાતો કઈ ભાવનાથી કહી તે સમજવાની જરૂર છે. એનો અર્થ એ નથી કે આપણે લોકોને આપણી સાથે પગ લૂછણિયાની જેમ વર્તવા દેવાનું છે. મુખ્ય સિદ્ધાંત એ છે કે આપણે કોઈની સામે બદલો લેતા નથી અને આપણને દુઃખ પહોંચાડનાર વ્યક્તિ સામે વેર વાળવા માંગતા નથી.