written_by :   Zac Poonen categories :   The Home Knowing God Disciples
WFTW Body: 

માણસનું સૌથી મોટું સન્માન અને વિશેષાધિકાર ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવી એ છે. આ વાત પ્રભુ ઈસુએ તેમના શિષ્યોને શીખવી હતી. તેમણે એક વાર કહ્યું હતું કે જેઓ તેમના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ આકાશના રાજ્યમાં પ્રવેશ કરશે (માથ્થી 7:21). તેમણે એમ પણ કહ્યું હતું કે જેઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરે છે તે જ તેમના સાચા ભાઈઓ અને બહેનો છે (માથ્થી 12:50). આ બાબતનું મહત્વ પ્રેરિતો દ્વારા તેમની પેઢીને યોગ્ય રીતે સમજાવવામાં આવ્યું હતું. પિતરે જાહેર કર્યું કે ઈશ્વર માણસોને પાપથી મુક્ત કરે છે જેથી તેઓ તેમની ઈચ્છા પ્રમાણે કરી શકે (પિતરનો પહેલો પત્ર 4:1,2). પાઉલે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વાસીઓને ખ્રિસ્ત ઈસુમાં નવેસરથી ઉત્પન્ન કરવામાં આવે છે જેથી તેઓ ઈશ્વર દ્વારા તેમના માટે પહેલેથી જ બનાવેલા માર્ગ પર ચાલી શકે. તેથી તેમણે એફેસસના ખ્રિસ્તીઓને અણસમજુ ન બનવા, પરંતુ તેમના જીવન માટે પ્રભુની ઈચ્છા શું છે તે સમજવા માટે પ્રોત્સાહિત કર્યા (એફેસીઓને પત્ર 2:10; 5:17). તેમણે કલોસીના ખ્રિસ્તીઓ માટે પ્રાર્થના કરી કે તેઓ ઈશ્વરની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાય. તેમણે તેઓને કહ્યું કે તેમનો સાથી કાર્યકર એપાફ્રાસ પણ તેમના માટે પ્રાર્થના કરી રહ્યો હતો કે તેઓ ઈશ્વરની બધી ઈચ્છા પૂરી કરે (કલોસીઓને પત્ર 1:9,4:12). પ્રેરિત યોહાને શીખવ્યું કે જેઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ સદા માટે રહેશે (યોહાનનો પહેલો પત્ર 2:17).

પ્રેરિતોનાં કૃત્યો 13:22 સૂચવે છે કે દાઉદને "ઈશ્વરનો મનગમતો માણસ" કહેવામાં આવ્યો હતો કારણ કે તે ફક્ત ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવા માંગતો હતો. દાઉદ પોતે આપણને અન્યત્ર કહે છે કે તે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવામાં આનંદ અનુભવતો હતો (ગીતશાસ્ત્ર 40:8). તે સંપૂર્ણ માણસ ન હતો. તેણે ઘણા પાપો કર્યા, કેટલાક ખૂબ જ ગંભીર હતા, જેના માટે ઈશ્વરે તેને સખત સજા કરવી પડી. છતાં ઈશ્વરે તેને માફ કર્યો અને તેનામાં આનંદ મેળવ્યો કારણ કે મૂળભૂત રીતે દાઉદ ઈશ્વરની બધી ઈચ્છા પ્રમાણે કરવા માંગતો હતો. આ આપણને એવું માનવા માટે પ્રોત્સાહિત કરે છે કે આપણી બધી અપૂર્ણતાઓ છતાં, આપણે પણ ઈશ્વરના મનગમતા પુરુષો અને સ્ત્રીઓ બની શકીએ છીએ - જો આપણા હૃદય તેમની ઈચ્છા પ્રમાણે કરવા માટે તૈયાર હોય તો.

નવો કરાર વિશ્વાસીઓને ઈસુની જેમ ચાલવા અને તેમના ઉદાહરણને અનુસરવા માટે આગ્રહ કરે છે. ઈસુના સમગ્ર જીવન અને સેવાકાર્યનો માર્ગદર્શક સિદ્ધાંત તેમના પિતાની ઈચ્છા પૂર્ણ કરવાનો હતો. જ્યાં સુધી તેમના પિતાએ તેમને કહ્યું ન હતું ત્યાં સુધી તેઓ આગળ ચાલ્યા નહીં. અને જ્યારે તેઓ આગળ ચાલ્યા, ત્યારે તેમના શત્રુઓની ધમકીઓ કે તેમના મિત્રોની વિનંતીઓ તેમને તેમના પિતા જે ઈચ્છે છે તે કરવાથી રોકી શક્યા નહીં. તેમના પિતાની ઈચ્છા પૂર્ણ કરવી તે તેમનો દૈનિક ખોરાક હતો (યોહાન 4:34). જેમ માણસો તેમના શરીરને પોષણ આપવા માટે ખોરાકની ઝંખના કરે છે, તેમ તેમણે તેમને મોકલનારની ઈચ્છા પૂર્ણ કરવા માટે ઝંખના કરી. દરેક વિશ્વાસીને ઈશ્વરની બધી ઈચ્છા પૂર્ણ કરવા માટે સમાન ભૂખ હોવી જોઈએ. પ્રાર્થના કરવી કેટલું સરળ છે, "જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ," અને પછી આપણા રોજિંદા જીવનમાં ઈશ્વરનું માર્ગદર્શન શોધ્યા વિના, આપણે ઈચ્છીએ તેમ કરવું.

બાઈબલ શીખવે છે કે ઈશ્વર પાસે આપણા દરેકના જીવન માટે એક ચોક્કસ યોજના છે (એફેસીઓને પત્ર 2:10). તેમણે આપણા માટે કારકિર્દીની યોજના બનાવી છે, આપણા માટે જીવનસાથી પસંદ કર્યો છે અને આપણે ક્યાં રહેવું જોઈએ અને આપણે દરરોજ શું કરવું જોઈએ તેનું પણ આયોજન કર્યું છે. દરેક બાબતમાં, તેમની પસંદગી શ્રેષ્ઠ હોવી જોઈએ, કારણ કે તે આપણને ખૂબ સારી રીતે જાણે છે અને તે દરેક બાબતને ધ્યાનમાં લે છે. નાની-મોટી બધી બાબતોમાં તેમની ઈચ્છા શોધવી એ સૌથી ડહાપણભર્યું છે.

ઘણા લોકોએ તેમની યુવાનીથી જ ઈશ્વરની ઈચ્છા શોધવામાં નિષ્ફળ રહીને પોતાના જીવનના વહાણને ભાંગી નાખ્યું છે. ખરેખર “યુવાવસ્થામાં ઝૂંસરી ઉપાડવી એ માણસને માટે સારું છે” (યર્મિયાનો વિલાપ 3:27). માથ્થી 11:28-30 માં, ઈસુ આપણને તેમની ઝૂંસરી આપણા પોતા પર લેવાનું આમંત્રણ આપે છે. ઝૂંસરી લેવાનો અર્થ શું છે? ખેતરો ખેડવા માટે ઉપયોગમાં લેવાતા બળદોને તેમની ગરદન પર ઝૂંસરી દ્વારા એકસાથે રાખવામાં આવે છે. જ્યારે નવા બળદને હળ ચલાવવાની તાલીમ આપવામાં આવે છે, ત્યારે તેને અનુભવી બળદ સાથે જોડવામાં આવે છે. આમ નવા બળદને, અનુભવી બળદની જ દિશામાં અને તે જ ગતિએ ચાલવાની ફરજ પાડવામાં આવે છે. ઈસુની ઝૂંસરી આપણા પર લેવાનો આ અર્થ છે. આપણે ઈસુ સાથે એવા માર્ગે ચાલવું પડશે જે તેમને પ્રસન્ન કરે, તેમના માર્ગદર્શન વિના કંઈ કરવા માટે ક્યારેય ઉતાવળ ન કરવી, અને જ્યારે તેઓ કોઈ નવા પગલા લેવાના આજ્ઞાપાલન માટે તેડે છે ત્યારે પાછળ ન રહેવું. ઝૂંસરીનો આ અર્થ બહુ ઓછા લોકો સમજે છે. હજુ પણ ઓછા લોકો તેને સ્વીકારવા તૈયાર છે. બળદને તેના માલિક દ્વારા ઝૂંસરી તેની ગરદન પર લેવાની ફરજ પાડવામાં આવે છે. પરંતુ ઈસુ આપણને આમંત્રણ આપે છે. અહીં કોઈ બળજબરી નથી. આ આમંત્રણને નકારવું કેટલું મૂર્ખતાભર્યું છે! આપણે ઈસુની હળવી ઝૂંસરી, જે સાચી સ્વતંત્રતા અને ઊંડો આરામ લાવે છે, તેના કરતા આપણી પોતાની ઈચ્છાશક્તિની ભારે ઝૂંસરી, તેની સાથે રહેલી હતાશાઓ, પરાજય અને દિલગીરી વધુ પસંદ કરીશું!

આપણે હનોખ વિશે વાંચીએ છીએ કે તે "ઈશ્વર સાથે ચાલ્યો" (ઉત્પત્તિ 5:22) - એટલે કે, તે આગળ દોડ્યો નહીં કે પાછળ રહ્યો નહીં, પરંતુ ત્રણસો વર્ષ સુધી ઝૂંસરી હેઠળ એક બનીને ઈશ્વરના નિયુક્ત માર્ગમાં ચાલ્યો. પરિણામે, ઈશ્વરે સાક્ષી આપી કે તે હનોખના જીવનથી પ્રસન્ન છે (હિબ્રૂઓને પત્ર 11:5). આ એકમાત્ર માર્ગ છે જેનાથી આપણે ઈશ્વરને પ્રસન્ન કરી શકીએ છીએ - તેમની ઝૂંસરી હેઠળ, તેમની સંપૂર્ણ ઈચ્છામાં જીવીને અને આગળ વધીને. જ્યારે તે પાછા આવશે ત્યારે ફક્ત આ રીતે જ આપણે તેમની સમક્ષ અફસોસ વગર ઊભા રહી શકીશું.

કોઈ પણ વિશ્વાસી વ્યક્તિ પોતાના જીવન માટે ઈશ્વરની સંપૂર્ણ ઈચ્છા ચૂકી શકે છે. ઈશ્વરે શાઉલને ઈઝરાયલના રાજા તરીકે પસંદ કર્યો હતો, પરંતુ આખરે તેની અધીરાઈ અને આજ્ઞાભંગના પરિણામે, ઈશ્વરે તેને નકારવો પડ્યો. ખરું, તે થોડા વર્ષો સુધી રાજ્યાસન પર રહ્યો, પરંતુ તે પોતાના જીવન માટે ઈશ્વરની ઈચ્છા ચૂકી ગયો. સુલેમાન બીજું ઉદાહરણ છે. તેણે આ શરૂઆતના વર્ષોમાં ઈશ્વરને પ્રસન્ન કર્યા, પરંતુ પછીથી મૂર્તિપૂજક સ્ત્રીઓ સાથે લગ્ન કરીને તે પતિત થયો. નવા કરારમાં બે વાર આપણને અરણ્યમાં મૃત્યુ પામેલા ઈઝરાયલીઓના ઉદાહરણમાંથી ચેતવણી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. તેમના માટે ઈશ્વરની સંપૂર્ણ ઈચ્છા એ હતી કે તેઓ કનાનમાં પ્રવેશ કરે. પરંતુ બે સિવાય બધા અવિશ્વાસ અને આજ્ઞાભંગ દ્વારા ઈશ્વરના શ્રેષ્ઠને ચૂકી ગયા (કરિંથીઓને પહેલો પત્ર 10:1-12; હિબ્રૂઓને પત્ર 3:7-14). ઘણા વિશ્વાસીઓ પણ આજ્ઞાભંગ અને સમાધાન દ્વારા પોતાના જીવન માટે ઈશ્વરની સંપૂર્ણ યોજના ચૂકી ગયા છે - ઘણીવાર લગ્નમાં અથવા કારકિર્દીની પસંદગીમાં.

આપણામાંના દરેક પાસે એક જ જીવન છે. ધન્ય છે એ માણસ જે પાઉલની જેમ, અંતમાં કહી શકે છે કે તેણે ઈશ્વર દ્વારા નિયુક્ત કાર્ય પૂર્ણ કર્યું છે (તિમોથીને બીજો પત્ર 4:7).

“જગત તથા તેની લાલસા જતાં રહે છે, પણ ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે” (યોહાનનો પહેલો પત્ર 2:17).

"કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિબુદ્ધની જેમ નહિ, પણ ડાહ્યા માણસની જેમ, ચાલો. સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ભૂંડા છે. એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો” (એફેસીઓને પત્ર 5:15-17).