જ્યારે ઈસુએ માથ્થી 24 માં તેમના શિષ્યોને તેમના પુનરાગમન વિશે જણાવ્યું, ત્યારે તેમણે એક કરતા વધુ વખત ભાર મૂક્યો કે તેઓએ જાગૃત રહેવું જોઈએ (માથ્થી 24:42,44; 25:13). ભવિષ્યવાણીના તથ્યોનું જ્ઞાન હોવા કરતાં દરેક સમયે આત્મિક રીતે જાગૃત અને તૈયાર રહેવું એ સૌથી મહત્વની બાબત છે. માથ્થી 25 માં (જે માથ્થી 24 ની ભવિષ્યવાણીઓ પછી આવે છે), ઈસુ એવા ત્રણ ક્ષેત્રો વિશે જણાવે છે જ્યાં આપણને પ્રભુના આગમન માટે તૈયાર રહેવા માટે જાગૃત અને વિશ્વાસુ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
1. ખાનગી જીવનમાં વિશ્વાસુપણું
આ દ્રષ્ટાંતમાં, ઈસુએ દસ કન્યાઓ વિશે વાત કરી (માથ્થી 25:1-13). તેમાંથી કોઈ પણ વેશ્યા નહોતી (આત્મિક વ્યભિચારની વ્યાખ્યા માટે જુઓ યાકૂબનો પત્ર 4:4). તેઓ બધી કન્યાઓ હતી. બીજા શબ્દોમાં કહીએ તો, માણસોની નજરમાં તેઓની સાક્ષી સારી હતી. તેઓના દીવા પ્રકાશી રહ્યા હતા (માથ્થી 5:16). તેમના સારા કાર્યો બીજાઓ દ્વારા જોવામાં આવતા હતા. છતાં આ બધી કન્યાઓમાં માત્ર પાંચ જ બુદ્ધિમાન હતી. પણ શરૂઆતમાં આ વાત દરેક માટે સ્પષ્ટ નહોતી. માત્ર પાંચે જ પોતાની કુપ્પીઓમાં તેલ લીધું હતું (માથ્થી 25:4).
જેમ દીવાનો પ્રકાશ રાત્રિના સમયે દેખાતો હતો, તેમ કુપ્પીમાં રહેલું તેલ દેખાતું નહોતું. તે ઈશ્વર સમક્ષ આપણા એ ગુપ્ત જીવનની વાત કરે છે જે આ દુનિયાના અંધકારમાં માણસો જોઈ શકતા નથી. આપણા બધા પાસે એક કુપ્પી છે. પ્રશ્ન એ છે કે આપણી પાસે તેમાં તેલ છે કે નહિ. સમગ્ર પવિત્ર શાસ્ત્રમાં તેલનો ઉપયોગ પવિત્ર આત્માના પ્રતીક તરીકે કરવામાં આવ્યો છે અને તે અહીં ઈશ્વરના એ જીવનનો ઉલ્લેખ કરે છે જે પવિત્ર આત્મા આપણા આત્મા સાથે સંપર્ક કરીને આપે છે. તે જીવનનું બાહ્ય પ્રકટીકરણ એ પ્રકાશ છે (યોહાન 1:4). આંતરિક તત્વ એ તેલ છે. ઘણા લોકો ફક્ત તેમની બાહ્ય સાક્ષીમાં જ મગ્ન હોય છે. આ તેમની મૂર્ખતા છે. પરીક્ષણ અને કસોટીના સમયે જ આપણને ખબર પડે છે કે માત્ર બાહ્ય પ્રકાશ જ પૂરતો નથી. વિજયી રીતે આગળ વધવા માટે દૈવી જીવનના આંતરિક તત્વની જરૂર છે.
“જો તું સંકટને દિવસે નાહિમ્મત થઈ જાય, તો તારું બળ થોડું જ છે” (નીતિવચનો 24:10). જીવનની કટોકટીઓ આપણને બતાવે છે કે આપણે કેટલા મજબૂત કે નબળા છીએ. આ દ્રષ્ટાંતમાં, કટોકટી એ હતી કે વરરાજાએ આવવામાં વિલંબ કર્યો. સમય જ આપણી આત્મિકતાની વાસ્તવિકતા સાબિત કરે છે. જે વિશ્વાસ રાખે છે તે અંત સુધી ટકી રહે છે અને તારણ પામે છે. સમય એ પણ સાબિત કરે છે કે કોના જીવનમાં આંતરિક તત્વ છે અને કોનામાં નથી. ઘણા લોકો એવા બીજ જેવા હોય છે જે તરત જ ઉગી નીકળે છે, પણ તેમનું કોઈ આંતરિક જીવન હોતું નથી. તેમના હૃદયમાં જમીનની ઊંડાઈ નથી (માર્ક 4:5). આ જ કારણ છે કે નવા વિશ્વાસીઓની આત્મિકતા અથવા તેમની સંપૂર્ણ નિષ્ઠાનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. જો આપણે ધીરજ રાખીએ તો સમય બધું જ પ્રગટ કરશે. ખ્રિસ્તના આગમન માટે તૈયાર રહેવાનો માર્ગ એ છે કે ઈશ્વરની નજરમાં આપણા વિચારો, વલણ અને હેતુઓમાં, શુદ્ધતા અને વિશ્વાસુપણાનું આંતરિક જીવન હોવું જોઈએ જે આપણી આસપાસના લોકો જોઈ શકતા નથી. જો આપણી પાસે આ નથી, તો જો આપણે એમ વિચારતા હોઈએ કે આપણે ખ્રિસ્તના આગમન માટે તૈયાર છીએ, તો આપણે આપણી જાતને છેતરી રહ્યા છીએ.
2. આપણા સેવાકાર્યમાં વિશ્વાસુપણું
બીજા દ્રષ્ટાંતમાં, ઈશ્વરે આપણને આપેલા તાલંતોના વિશ્વાસુ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે (માથ્થી 25:14-30). આ તાલંતો ભૌતિક સંપત્તિ, પૈસા, કુદરતી ક્ષમતાઓ, જીવનમાં તકો, આત્મિક કૃપાદાનો વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે. આ ક્ષેત્રમાં બધા સમાન નથી - કેમ કે આપણે દ્રષ્ટાંતમાં જોઈએ છીએ કે એકને પાંચ, બીજાને બે અને બીજાને માત્ર એક જ મળ્યું. પણ તેમની પાસે જે હતું તેમાં વિશ્વાસુ રહેવા માટે દરેક પાસે સમાન સમય હતો. જેને વધુ આપવામાં આવ્યું છે, તેની પાસેથી વધુ અપેક્ષા રાખવામાં આવે છે. તેથી, જેણે પોતાના બેના ચાર કર્યા તેને તેટલું જ ઇનામ મળ્યું જેટલું પાંચના દસ કરનારને મળ્યું. જો કે, જેણે પોતાના તાલંતને 'જમીનમાં' દાટી દીધું હતું (માથ્થી 25:18) તેના પર ન્યાયચુકાદો આવ્યો - એટલે કે તે વ્યક્તિ જેણે પોતાના ઈશ્વરદત્ત તાલંતનો ઉપયોગ આ દુનિયા માટે કર્યો અને ઈશ્વર માટે નહિ. કોઈ એમ કહી શકતું નથી કે તેને કશું મળ્યું નથી - કેમ કે દરેકને ઈશ્વર તરફથી કોઈ ને કોઈ તાલંત મળ્યું છે. પ્રશ્ન એ છે કે આપણે આ તાલંતોનો ઉપયોગ શાના માટે કરીએ છીએ. આપણે જે આપણા પોતાના માટે વાપરીએ છીએ તે જમીનમાં દાટેલા તાલંત સમાન છે. જે આપણે ફક્ત ઈશ્વરના મહિમા માટે વાપરીએ છીએ તે જ સનાતન સંપત્તિ તરીકે ગણવામાં આવશે. આ માપદંડ દ્વારા આપણે મોટાભાગના વિશ્વાસીઓની દરિદ્રતા જોઈ શકીએ છીએ. આપણું સૂત્ર હોવું જોઈએ "સર્વ ઈશ્વર માટે અને કંઈ જ પોતાના માટે નહિ". ત્યારે જ આપણે ખ્રિસ્તના પુનરાગમન માટે તૈયાર રહીશું. જો આપણે આપણી પાસે જે કંઈ છે તે બધું છોડી ન દીધું હોય તો આપણે ઈસુના શિષ્યો બની શકતા નથી. જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તના પુનરાગમન માટે તૈયાર હોવાનો દાવો કરતી હોય, પણ પોતાની તમામ ઈશ્વરદત્ત મિલકતો અને આશીર્વાદોનો ઉપયોગ પ્રભુના મહિમા માટે નથી કરતી, તો તે માત્ર પોતાની જાતને છેતરે છે.
3. સાથી વિશ્વાસીઓની સેવામાં વિશ્વાસુપણું
છેલ્લા ભાગમાં, જરૂરિયાતમંદ સાથી વિશ્વાસીઓ પ્રત્યેના આપણા વલણ વિશે ઈસુ જણાવે છે (માથ્થી 25:31-46). તે જરૂરિયાત આત્મિક કે શારીરિક હોઈ શકે છે. અહીં આપણે જોઈએ છીએ કે કેટલાક લોકો રાજ્યના વારસદાર બને છે કેમ કે તેઓએ તેમના સાથી વિશ્વાસીઓની સેવા પ્રભુની સેવા સમજીને કરી હતી. તેમની સેવા એટલી બધી ગુપ્ત હતી કે તેમના ડાબા હાથને ખબર નહોતી કે તેમનો જમણો હાથ શું કરી રહ્યો છે (માથ્થી 6:3). એટલું બધું કે જ્યારે પ્રભુ તેમને તેઓએ કરેલા ભલા કાર્યોની યાદ અપાવે છે, ત્યારે તેમને તે યાદ પણ નથી હોતું! (માથ્થી 26:38).
ઈસુએ અહીં એ પણ શીખવ્યું કે તેમના ભાઈઓમાંના નાનામાં નાના માટે આપણે જે પણ સેવા કરીએ છીએ તેને ઈસુને કરેલી સેવા માનવામાં આવે છે (માથ્થી 25:40). તે નોંધપાત્ર છે કે તે અહીં 'નાનામાં નાના' વિશે વાત કરે છે, કેમ કે આપણી વૃત્તિ સૌથી મહત્વપૂર્ણ વિશ્વાસીઓની સેવા કરવાની અને ગરીબ અને તિરસ્કૃત લોકોને અવગણવાની હોય છે! જેઓ ખાવા-પીવામાં, લેવા-વેચવામાં અને ફક્ત પોતાના માટે બાંધકામ અને વાવેતર કરવામાં મગ્ન છે, તેઓ જ્યારે ઈસુ પાછા ફરશે ત્યારે ચોક્કસપણે પાછળ રહી જશે (લૂક 17:28,34). જેઓની પ્રભુ માટેની સેવામાં સાથી વિશ્વાસીઓની સેવા કરવાની પ્રેમાળ ચિંતા સામેલ હતી, તેઓને જ ઉપર લઈ જવામાં આવશે. અન્ય એક શાસ્ત્રભાગમાં, ઈસુએ લોકોના બીજા જૂથ વિશે વાત કરી - જે આ જૂથથી વિપરીત છે. આ એવા લોકો છે જેઓ પ્રભુના નામે કરેલા તમામ સારા કાર્યોને યાદ રાખે છે. તેઓ પણ ન્યાયના રાજ્યાસન પર છે, અને તેઓ પ્રભુને યાદ અપાવે છે કે તેઓએ ઈસુના નામે ભૂતોને કાઢ્યા છે, ઉપદેશ આપ્યો છે, બીમારોને સાજા કર્યા છે, વગેરે. પણ પ્રભુ દ્વારા તેઓનો અસ્વીકાર કરવામાં આવે છે, ભલે તેઓએ આ બધી બાબતો કરી હોય, કેમ કે તેમનામાં પ્રથમ આવશ્યકતા એટલે કે ઈશ્વર સમક્ષ પવિત્રતાના ગુપ્ત જીવનનો અભાવ હતો. તેઓ પોતાના કૃપાદાનોની મહાનતામાં મગ્ન હતા.