written_by :   Zac Poonen categories :   The Church Knowing God Disciples
WFTW Body: 

“ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરવામાં આવી છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે” (માથ્થી 5:10). અગાઉ આપણે જોયું, “આત્મામાં જેઓ રાંક તેઓને ધન્ય છે કારણ કે આકાશનું રાજ્ય તેઓનું છે.” જ્યારે આપણે રાંક બનીએ છીએ અને શાંતિની ઈચ્છા રાખીએ છીએ અને ન્યાયીપણા માટે ભૂખ્યા અને તરસ્યા હોઈએ છીએ, અને નમ્રતાની ઈચ્છા રાખીએ છીએ અને આપણે આપણા હકો માટે લડતા નથી, ત્યારે આપણે જોઈશું કે આપણે દુનિયામાં એવા લોકોને મળીશું જેઓ દુષ્ટ સતાવણી કરનારા છે. જે લોકો ભક્તિભાવથી જીવવા માંગે છે તેઓ બધાની સતાવણી કરવામાં આવશે. તેથી જો આપણે ન્યાયીપણાથી જીવવા માંગીએ છીએ, તો આપણી સતાવણી કરવામાં આવશે.

તિમોથીને બીજો પત્ર 3:12, પવિત્ર આત્મા દ્વારા પ્રેરિત એક સંપૂર્ણ નિવેદન છે. પાઉલ કહે છે, “જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છે છે, તેઓ સર્વ પર સતાવણી થશે જ.” તે “કેટલાક” કહેતું નથી; તે “ઘણા” કહેતું નથી; તે “મોટાભાગના” કહેતું નથી. તે કેટલાક, ઘણા, મોટાભાગના, અથવા બધા હોઈ શકે છે. તે "સર્વ" કહે છે. સર્વમાં ખ્રિસ્ત ઈસુમાં દરેક વિશ્વાસીનો સમાવેશ થાય છે (દરેક વ્યક્તિ જે પોતાને વિશ્વાસી કહે છે તે નહીં, પરંતુ દરેક વ્યક્તિ જે ભક્તિભાવથી જીવન જીવવા માંગે છે તે).

ન્યાયીપણાને લીધે સતાવણીનો અર્થ શું છે? આપણે વિચારવાની જરૂર છે કે ન્યાયીપણા માટે ઊભા રહેવાનો અર્થ શું છે. તેનો અર્થ એ છે કે તમારા કાર્યસ્થળ પર અથવા કોઈ પરિસ્થિતિમાં, તમે કહો છો, "હું તે ખોટું નહીં કરું." ઘણી નોકરીઓ છે જેમાં લોકો સમાધાન કરે છે - તેઓ જૂઠું બોલે છે, તેઓ છેતરપિંડી કરે છે, અને તેઓ કંઈક અધર્મ કરવા માટે લાંચ આપે છે. જ્યારે ખ્રિસ્તીઓ તે રીતે કરે છે, ત્યારે તેઓને અલબત્ત સતાવણીનો સામનો કરવો પડશે નહીં; પરંતુ જો તેઓ તે માર્ગે જવાનો ઈનકાર કરે છે, જો તેઓ લાંચ લેવાનો ઈનકાર કરે છે, અથવા કંઈક અધર્મ કરવાનો ઈનકાર કરે છે, તો તેઓ તેમની ઉપરના લોકો તરફથી ધમકીઓનો સામનો કરી શકે છે, જેઓ તે લાંચ અથવા બીજા કશાનો હિસ્સો ઈચ્છે છે. આવા ઘણા કિસ્સાઓ છે. જ્યારે તમે પ્રામાણિકતા માટે મક્કમ ઊભા રહો છો, ત્યારે તમે તમારી નોકરી ગુમાવી શકો છો અથવા તમારા અધિકારીનો અણગમો અનુભવી શકો છો, પરંતુ આકાશનું રાજ્ય તમારું છે. આ પ્રક્રિયામાં તમે કદાચ કોઈક દુન્યવી બાબત ગુમાવી શકો છો - કદાચ કોઈ પદ, કદાચ કોઈ બઢતી - પણ બદલામાં તમને આકાશમાંનું કંઈક મળશે. શું તે પામવા યોગ્ય છે?

કોઈ વ્યક્તિ પ્રવેશ મેળવવા માટે અથવા નોકરી મેળવવા માટે કોઈ પરિસ્થિતિમાં જૂઠું બોલે છે તો શું તે યોગ્ય છે? તે જૂઠું બોલવા યોગ્ય નથી! એક ખ્રિસ્તી વ્યક્તિ માટે તે ક્યારેય યોગ્ય નથી. ઘણું સારું એ હશે કે તે એવું ન કરે કારણ કે તે ઈશ્વરની ઈચ્છાની બહાર હશે. જો તમે કોઈ પરિસ્થિતિમાં જૂઠું બોલીને પ્રવેશ મેળવો છો, તો તમે ખાતરી કરી શકો છો કે ઈશ્વર તમને ત્યાં લઈ ગયા નથી. જ્યારે તમે કોઈ મુશ્કેલીનો સામનો કરો છો, ત્યારે શેતાન તમને કહી શકે છે, "અહીં જૂઠું બોલ કારણ કે જૂઠું સર્વશક્તિમાન છે; તે તને કંઈપણ મેળવી શકે છે." અને પવિત્ર આત્મા કહે છે, "ના, તે જૂઠું છે; ઈશ્વર સર્વશક્તિમાન છે. જૂઠું બોલવું એ તમે જે ઈચ્છો છો તે મેળવવાનો સૌથી શક્તિશાળી માર્ગ નથી. ઈશ્વર માટે મક્કમ ઊભા રહો. ઈશ્વર તમને જે આપવા ઈચ્છે છે, તે આપવા ઈશ્વર સક્ષમ છે." પછી તમે જોશો કે ઈશ્વર તમને તે આપશે જે તમારે મેળવવું જોઈએ.

મને નૌકાદળમાં કામ કરતી વખતે ઘણી પરિસ્થિતિઓ યાદ છે, જ્યારે મારે મારા વરિષ્ઠ અધિકારીઓ સામે મક્કમ ઊભા રહીને કહેવું પડતું હતું, "માફ કરશો, સાહેબ, હું એવું કરી શકતો નથી કારણ કે મારો અંતરાત્મા મને પરવાનગી આપતો નથી. હું એક ખ્રિસ્તી છું." અને લશ્કરમાં આ કહેવું ખૂબ જ જોખમી, ખતરનાક છે. જો તમે ધર્મનિરપેક્ષ નોકરીમાં આવું કહો છો, તો તમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે અને કાઢી મૂકવામાં આવે છે. પરંતુ જ્યારે તમે લશ્કરમાં આવું કહો છો, ત્યારે તમને કોર્ટ-માર્શલ થવાનો ભય હોય છે, જેનો અર્થ છે કે કોર્ટમાં લઈ જવામાં આવે છે અને કદાચ જેલમાં ધકેલી દેવામાં આવે છે, કારણ કે લશ્કરમાં આદેશોનું પાલન ન કરવું એ ખૂબ જ ગંભીર બાબત છે. મને ઘણી પરિસ્થિતિઓ યાદ છે જ્યાં આવું બન્યું હતું અને મારી સંભાળ રાખવા માટે મારે ઈશ્વર પર ભરોસો રાખવો પડ્યો હતો. જો તેઓ મને એવું કંઈક કરવાનું કહે જે મારા અંતરાત્માનું ઉલ્લંઘન કરે, તો હું કહેતો, "માફ કરશો, સાહેબ, હું એક ખ્રિસ્તી છું, હું તે કરી શકતો નથી." અધિકારી ગમે તેટલો વરિષ્ઠ હોય, તેનાથી કોઈ ફરક પડતો ન હતો.

શક્ય છે કે તેના કારણે મને કોઈ રીતે તકલીફ પડી હોય, એટલે કે કમાન્ડિંગ ઓફિસર મારા પ્રમોશન માટે સારી ભલામણ ન આપે. એકવાર અડધા કલાકની અંદર મારી બદલી બીજી પોસ્ટ પર કરવામાં આવી. મને અસુવિધા થઈ, પણ એ ઠીક છે. તમે આને સતાવણી બિલકુલ ન કહી શકો; શરૂઆતના ખ્રિસ્તીઓને સિંહો ખાઈ જતા હતા તેની સરખામણીમાં આ નાના મચ્છરના કરડવા જેવું છે. પરંતુ શરૂઆતના ખ્રિસ્તીઓએ પણ આનો સામનો કર્યો હતો.

ઈશ્વર આમાં તમારી કસોટી કરશે. હું જાણું છું કે ઈશ્વરે અલગ અલગ સમયે મારી કસોટી કરી છે અને હું માનું છું કે જો હું તે સ્થળોએ તે કસોટીમાં નિષ્ફળ ગયો હોત, તો હું આજે જ્યાં છું ત્યાં ન હોત અને મારી પાસે ઈશ્વરે મને આપેલી સેવા ન હોત. જો તમે પ્રામાણિક હોત અને ન્યાયીપણા માટે કેટલીક જગ્યાએ દુન્યવી નુકસાન સહન કરવા તૈયાર હોત તો કદાચ તમારી પાસે સેવા હોત. આકાશનું રાજ્ય અમુક હદ સુધી તમારું હોત, પરંતુ તમે તેમાંથી થોડું ગુમાવ્યું. તમે ભૂતકાળ વિશે કંઈ કરી શકતા નથી; તમે જે ગુમાવ્યું છે તે જતું રહ્યું છે અને તમે તેને પાછું મેળવી શકતા નથી. પરંતુ તમે ભવિષ્ય વિશે કંઈક કરી શકો છો. કહો કે, "પ્રભુ, આવનાર દિવસોમાં, હું જે ન્યાયનું છે અને પ્રામાણિક છે તેના માટે મક્કમ ઊભો રહેવા માંગુ છું." ખ્રિસ્તી વ્યકતિએ કોઈપણ ક્ષેત્રમાં કુટિલ હોવું જોઈએ નહીં. કોઈ પણ પ્રકારના લાભ માટે ખ્રિસ્તી વ્યક્તિએ જૂઠું બોલવું કે છેતરપિંડી કરવી જોઈએ નહીં. ઈશ્વર એવા લોકોની શોધમાં છે જેઓ ન્યાયી જીવન જીવતા હોય જેથી તે તેમને વધુ મોટી સેવા સોંપી શકે.