“સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે” (માથ્થી 5:9). શું આપણને પોતાને ઈશ્વરના દીકરા કહેવડાવવાનો અધિકાર છે? અહીં કહેવામાં આવ્યું છે કે આપણે પોતાને ઈશ્વરના દીકરા કહેવડાવતા નથી; તે જણાવે છે કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે. એનો અર્થ એ છે કે જ્યારે આપણે સલાહ કરાવનારા હોઈશું ત્યારે ઈશ્વર આપણને પોતાના દીકરા કહેશે. સલાહ કરાવનારા તરીકેની આપણી પ્રતિષ્ઠા હોવી જોઈએ. સલાહ કરાવનારાની વિરુદ્ધના લોકો એટલે મુશ્કેલી સર્જનાર લોકો. તમારી મંડળીમાં તમારી પ્રતિષ્ઠા શું છે? કદાચ તમે કહો, “હું મુશ્કેલી સર્જનાર નથી અને હું સલાહ કરાવનાર નથી, પણ હું તટસ્થ છું.” સારું, તો પછી તમને ઈશ્વરના દીકરા ન કહી શકાય! અહીં કહેવામાં આવ્યું છે “સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે.” સલાહ કરાવનારાઓ તે છે જે હંમેશા શાંતિ શોધે છે.
જ્યારે ઈસુનો જન્મ થયો, ત્યારે સ્વર્ગમાંથી દૂતો આવ્યા અને કહ્યું, "પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓને શાંતિ થાઓ” (લૂક 2:14). જેઓ શાંતિ શોધે છે તેમનાથી ઈશ્વર પ્રસન્ન છે. દુનિયા તમામ પ્રકારના ઝઘડા, લડાઈ, કચકચ, બડબડાટ, અને ફરિયાદોથી ભરેલી છે. જો આપણે સ્વર્ગની દૃષ્ટિએ આ પૃથ્વીને જોઈએ, તો આપણે તેને આ કારણે અંધકારથી ભરેલી જોઈશું. પરંતુ આ અંધકારની વચ્ચે પ્રકાશની થોડી જગ્યાઓ છે - તે ઈશ્વરના બાળકો છે, ઈશ્વરના દીકરા છે; અને ઈશ્વરના આ દીકરાની એક નિશાની એ છે કે તેઓ સલાહ કરાવનારા છે.
ફિલિપીઓને પત્ર 2 માં આપણને એ જ વાતનું પુનરાવર્તન જોવા મળે છે. તે શા માટે કહે છે કે આપણે કચકચ, તકરાર અને ફરિયાદ કર્યા વિના બધું જ કરવું જોઈએ (ફિલિપીઓને પત્ર 2:14)? આપણે આપણા જીવનમાં દરેક બાબત કોઈ પણ કચકચ, કોઈ પણ ફરિયાદ કર્યા વિના અને કોઈ પણ તકરાર કર્યા વિના કરવી જોઈએ - તે ખૂબ જ ઉચ્ચ ધોરણ છે. પરંતુ તે કલમ 15 માં કહે છે કે, આ એકમાત્ર માર્ગ છે જેના દ્વારા આપણે પોતાને નિર્દોષ સાબિત કરી શકીએ છીએ, "કુટિલ અને આડી પ્રજા વચ્ચે ઈશ્વરના નિર્દોષ બાળકો." આ એકમાત્ર માર્ગ છે જેના દ્વારા આપણે આ અંધકારવાળી દુનિયામાં પ્રકાશ તરીકે દેખાઈ શકીએ છીએ. તે કેવી રીતે બને? અંધકાર શું છે? તે કચકચ, તકરાર અને ફરિયાદ છે. પ્રકાશ શું છે? તે એવા લોકો છે જે શાંતિ રાખે છે અને કચકચ કે ફરિયાદ કરતા નથી.
જ્યારે ઈસુએ પોતાના શિષ્યોને ઈઝરાયલના લોકો પાસે મોકલ્યા ત્યારે તેમણે સિત્તેર લોકોને બબ્બેની જોડીમાં, દરેક જગ્યાએ જ્યાં તેઓ પોતે પછીથી જવાના હતા ત્યાં આગળ જવા માટે નિયુક્ત કર્યા (લૂક 10:1). તેમણે તેમને નિર્દેશ આપ્યો કે જ્યારે પણ તેઓ કોઈ શહેરમાં પ્રવેશ કરે ત્યારે તેમની સાથે રહેવા માટે શાંતિપ્રિય માણસ શોધો. તેમણે કહ્યું, “વળી જે કોઈ ઘરમાં તમે પેસો ત્યાં પ્રથમ એમ કહો કે, ‘આ ઘરનાંને શાંતિ થાઓ.’ જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હોય તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો નહિ હોય, તો તે તમારી પાસે પાછી વળશે.” (લૂક 10:5-6).
બીજા શબ્દોમાં કહીએ તો, તે જે કહી રહ્યા હતા તે એ હતું: “તમને કદાચ એવા શહેરમાં ફક્ત એક જ ઘર મળશે જ્યાં એક માણસ શાંતિપ્રિય હોય.” નહીં તો તેમણે તેમને એક ઘરથી બીજા ઘરમાં જવા કેમ ન કહ્યું? જો આવા 10,20,30 કે 100 ઘર હોય તો શું? ઈસુ જાણતા હતા કે આવા ઘર મળવાની શક્યતા ખૂબ જ ઓછી છે. પરંતુ આવા ઘરો બરાબર એવા પ્રકારના છે જ્યાં ઈશ્વર રહે છે.
શું તમારું ઘર શાંતિપ્રિય ઘર છે? શું પતિ તરીકે તમારા વિશે એવું કહી શકાય કે તમે શાંતિપ્રિય માણસ છો? ઝઘડો કરવા માટે હંમેશા બે લોકોની જરૂર પડે છે; જો એક વ્યક્તિ લડવાનો ઈનકાર કરે તો તમારી વચ્ચે ઝઘડો થઈ શકતો નથી. તે બિલકુલ એવું છે કે તમારા બંને હાથ એકબીજા સાથે અથડાવાથી અવાજ આવે છે. ફક્ત એક હાથે તાળી પાડવાથી અવાજ ન થઈ શકે. જો એક હાથ તાળી પાડવાનો ઈનકાર કરે છે, તો બીજો હાથ અવાજ ન કરી શકે; ઝઘડો એ જ છે. જો કોઈ (કહો કે પતિ કે પત્ની) લડવાનો ઈનકાર કરે છે અને પોતાના માટે મરણ પામે છે, તો કોઈ લડાઈ નહીં થાય. તેના બદલે, શાંતિ રહેશે. તેથી હું ક્યારેય બીજી વ્યક્તિ પર શાંતિના અભાવનો દોષ ન મૂકી શકું, પછી ભલે તે મારી મંડળીમાં હોય કે મારા ઘરમાં હોય કે બીજે ક્યાંય હોય.
તમે એમ ન કહી શકો કે, "મારી પત્ની જ શાંતિમાં ખલેલ પહોંચાડે છે," અથવા "મારો પતિ શાંતિમાં ખલેલ પહોંચાડે છે." કારણ કે તમે તે ઝઘડા અને લડાઈમાં સહકાર આપો છો તેથી શાંતિ નથી. જો એક હાથ બીજા હાથ સાથે જોડાવવાનો ઈનકાર કરે છે તો કોઈ અવાજ આવી શકતો નથી. તેથી જ્યાં સંઘર્ષ હોય એવી પરિસ્થિતિમાં, જો તમે શાંતિ શોધી રહ્યા છો, તો તમે તમારી જાત માટે મરણ પામશો, ભલેને સામેવાળી વ્યક્તિ ગમે તેટલી ઉશ્કેરાય. ત્યાર પછી શાંતિ રહેશે.
જો હું માનું છું કે ઈશ્વર સર્વોપરી છે અને મારી ક્ષમતા કરતાં વધુ કસોટી ક્યારેય થવા દેશે નહીં, તો હું મારી જાત માટે મરવા તૈયાર થઈશ. ઘણા લોકો કહે છે કે જો તમે આ માર્ગ અપનાવશો, તો લોકો ફક્ત તમારો ફાયદો ઉઠાવશે; તેઓ તમારી સાથે પગલુંછણિયાની જેમ વર્તશે અને તમારા પર ચાલશે. એવું નથી. જો તમે કરિંથીઓને પહેલો પત્ર 10:13 પર વિશ્વાસ કરો છો, જે કહે છે કે, "ઈશ્વર ક્યારેય તમારી ક્ષમતા કરતાં વધુ તમારી કસોટી થવા દેશે નહીં," તો તમે જાણશો કે તે લોકોને તમારો ફાયદો ઉઠાવવા દેશે નહીં, અને તમે આત્મવિશ્વાસથી શાંતિના માર્ગ પર આગળ વધશો. તમને નીતિવચનોના પુસ્તકમાં જે કહેલું છે તે મળશે, "યહોવાનું નામ મજબૂત કિલ્લો છે, ન્યાયીઓ તેમાં નાસી જઈને સહીસલામત રહે છે" (નીતિવચનો 18:10). જ્યારે તમે કોઈ વિવાદમાં પડો, ત્યારે ઈસુના નામમાં આશ્રય લો અને પછી તમને નીતિવચનો 16:7 ની પરિપૂર્ણતા જોવા મળશે, કે 'જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવા રાજી થાય છે, ત્યારે તે તેના શત્રુઓને પણ તેની સાથે સલાહસંપમાં રાખે છે.” ઈશ્વર શું કરી શકે છે તે અદ્ભુત છે! મેં એનો અનુભવ કર્યો છે. જો તમે પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરશો, તો તમે જોશો કે તમારા શત્રુઓ પણ વશ થઈ જશે.
“સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે.” ઈશ્વરના દીકરાનો અર્થ ઈશ્વરના બાળકોના અર્થ કરતાં અલગ છે. ઈશ્વરના બાળકો નાના શિશુઓ છે; દીકરા એક પરિપક્વ વ્યક્તિ છે જે જાણે છે કે પોતા માટે કેવી રીતે મરણ પામવું અને ઈસુના પગલે કેવી રીતે ચાલવું.